Ahmedabad : દરિયાપુરમાં સર્વે કરવા ગયેલા આચાર્ય પર હુમલો
Ahmedabad survey : રાજ્યની 1130 જેટલી મદરેસા (Madresa) નો સર્વે કરવાનો શિક્ષણ વિભાગ દ્વારા આદેશ કરાયો છે, જેના ભાગરુપે આજે સવારથી જ રાજ્યભરમાં સર્વે (survey) ની કામગિરી શરુ કરાઇ છે. જો કે અમદાવાદ (Ahmedabad ) માં દરિયાપુર વિસ્તારની મદરેસાનો સર્વે કરવા ગયેલા આચાર્ય પર ટોળાએ હુમલો કરતાં ખળભળાટ મચી ગયો છે. આચાર્ય આ મામલે દરિયાપુર પોલીસમાં ફરિયાદ નોંધાવવા પહોંચ્યા છે.
ટોળાએ અચાનક હુમલો કર્યો
મદરેસામાં સર્વે કરવાના આદેશના ભાગરુપે શિક્ષણ વિભાગની એક ટીમ શનિવારે સવારે દરિયાપુર વિસ્તારના સુલતાન મહોલ્લામાં એક મદરેસામાં સર્વે કરવા પહોંચી હતી ત્યારે આચાર્ય પર ટોળાએ હુમલો કર્યો હતો. બાપુનગરની સ્મૃતિ વિદ્યાલયમાં ફરજ બજાવતા આચાર્ય પર ટોળાએ અચાનક હુમલો કર્યો હતો. હુમલા બાદ આચાર્ય દરિયાપુર પોલીસ મથકમાં ફરિયાદ કરવા પહોંચ્યા છે.
સંવેદનશીલ વિસ્તારમાં શિક્ષક જાય ત્યારે રક્ષણ પૂરું પાડવું જોઈએ
આ મામલે અમદાવાદ આચાર્ય સંઘની તીવ્ર પ્રતિક્રિયા સામે આવી છે. આચાર્ય સંઘે કહ્યું છે કે આ ઘટના ખૂબ જ દુઃખદ છે.
કોઈ મહત્વની જાણકારી મેળવવા માટે સંવેદનશીલ વિસ્તારમાં શિક્ષક જાય ત્યારે રક્ષણ પૂરું પાડવું જોઈએ. જો આ પ્રકારની પરિસ્થિતિ યથાવત રહે તો આવી સરકારની કામગીરી નહીં થાય તેમ જણાવી સંઘે કહ્યું કે જીવના જોખમે શિક્ષકો કામ કરતા હોય ત્યારે તેમની સુરક્ષાની ચિંતા કરવી જરૂરી છે.
મદરેસાઓમાં સર્વે કરવાનો આદેશ
ઉલ્લેખનિય છે કે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ સમક્ષ મદરેસામાં અભ્યાસ કરતા બાળકોને લઇને ફરિયાદ મળ્યા બાદ શિક્ષણ વિભાગે મદરેસાઓમાં સર્વે કરવાનો આદેશ કર્યો છે. મદરેસામાં અભ્યાસ કરતા બાળકો સામાન્ય સ્કૂલમાં અભ્યાસ કરતા ના હોવાથી સર્વેમાં તેની વિગતો એકત્ર કરાશે. સર્વેમાં મદરેસામાં અભ્યાસ કરતાં બિન મુસ્લિમ બાળકોની પણ વિગતો મેળવવા જણાવાયું છે.
આ પણ વાંચો---- Madresa : રાજ્યની 1130 જેટલી મદરેસાનો સર્વે કરવાનો શિક્ષણ વિભાગનો આદેશ
આ પણ વાંચો---- VADODARA : સ્માર્ટ વિજ મીટરના ત્રાસ સામે “પીડાદાયક” વિરોધ