Pahalgam Terror Attack : મૃતક શૈલેષ કળથિયાના પત્નીએ સાંસદ સી.આર.પાટીલ સમક્ષ વ્યથા ઠાલવી
- જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતીના મોત થયા
- એક સુરતના અને ભાવનગરના બે વ્યક્તિ મોતને ભેટ્યા છે
- સી.આર.પાટીલ સમક્ષ વ્યથા ઠાલવી હતી અને ન્યાયની માંગણી કરી
Pahalgam Terror Attack : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતીના મોત થયા છે. જેમાં એક સુરતના અને ભાવનગરના બે વ્યક્તિ મોતને ભેટ્યા છે. તેમાં ભાવનગરના બંને મૃતકો પિતા-પુત્ર હતા. સુરતના શૈલેષ કળથિયાના મૃતદેહને બુધવારે રાત્રે સુરત એરપોર્ટ લાવવામાં આવ્યો હતો. તેમજ આજે ગુરુવારે સવારે તેમની અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં સાંસદ મુકેશ દલાલ પણ જોડાયા હતા. શૈલેષ કળથિયાના પરિવારજનોના હૈયાફાટ રૂદનથી માહોલ ગમગીન બની ગયો હતો.
મૃતક શૈલેષ કળથિયાના પત્નીએ સાંસદ સી.આર.પાટીલ સમક્ષ વ્યથા ઠાલવી
મૃતક શૈલેષ કળથિયાના પત્નીએ સાંસદ સી.આર.પાટીલ સમક્ષ વ્યથા ઠાલવી હતી અને ન્યાયની માંગણી કરી હતી. તેમણે કહ્યું કે, આટલા ટુરિસ્ટ હતા પણ કોઇ આર્મી, પોલીસ કે મેડિકલ કેમ્પ નહોતો. અમે સરકાર અને આર્મી ઉપર ભરોસો રાખીને ફરવા ગયા હતા એજ આર્મી કહે છે કે તમે ઉપર કેમ ફરવા જાઓ છો. વીઆઈપી માટે જે સર્વિસ છે તે આ લોકો માટે કેમ નથી. આર્મી કેમ્પમાં કહેતી હતી કે ઉપર અનેક લોકો ઈજાગ્રસ્ત છે છતાં સમયસર કોઈ મદદ કરી નહોતી. ઉપર આટલી મોટી ઘટના બની તો નીચે આર્મીને ખબર કેમ ન પડી?
મૃતક સ્મિત પરમારના માતા કાજલબેને હૈયાફાટ રૂદન કર્યું
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા અને અહીંથી ભાવનગર લઈ જવામાં આવ્યા હતા. મૃતદેહને જોતા જ મૃતક યતીશભાઈ પરમારના પત્ની અને મૃતક સ્મિત પરમારના માતા કાજલબેને હૈયાફાટ રૂદન કર્યું હતું. પિતા-પુત્રની અંતિમ યાત્રામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ સામેલ થયા હતા. કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા, પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, ભાવનગરના મેયર ભરતભાઈ બારડ, ચેરમેન રાજુભાઈ રાબડીયા, કલેકટર ડો.મનીષ બંસલ તથા નગરસેવકો સહિત અધિકારીઓ પણ સામેલ થયા હતા.