Delhi Flood : દિલ્હીના રહેણાંક વિસ્તારોમાં 'પૂર', CM આવાસ સુધી પહોંચ્યું પાણી
દિલ્હીમાં પૂરની સ્થિતિ ધીમે ધીમે ગંભીર બની રહી છે. રાજધાનીમાં યમુના નદીના જળ સ્તરે 45 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ગઈકાલે રાત્રે 9 વાગ્યે, યમુનાનું જળસ્તર 1978માં 207.49 મીટરનું સ્તર વટાવીને 208.08 મીટરે પહોંચ્યું હતું, જે ખતરાના સ્તરથી 2.75 મીટર ઉપર છે.
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે યમુનાના જળસ્તરમાં વધારાને લઈને આજે ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ સાથે ગૃહમંત્રી અમિત શાહને પણ પત્ર લખવામાં આવ્યો છે. કેજરીવાલે માંગ કરી છે કે હરિયાણામાંથી છોડવામાં આવતા પાણીમાં ઘટાડો કરવામાં આવે. દિલ્હીના પૂર પ્રભાવિત વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
હવામાન વિભાગે આગામી ચાર દિવસ હળવા વરસાદની આગાહી કરી છે. આ સિવાય હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યાં 15 અને 16 જુલાઈએ હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ થઈ શકે છે. વરસાદ અને પૂરના કારણે હિમાચલમાં અત્યાર સુધીમાં 873 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. આજે પણ યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે, હરિયાણા-પંજાબમાં પણ પૂર જેવી સ્થિતિ છે. અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાની સમસ્યા છે. પંજાબના ફિરોઝપુરથી સરહદી ગામને જોડતો એકમાત્ર પુલ સતલજ નદીના વહેણમાં વહી ગયો હતો.
આ પણ વાંચો : Uttrakhand: ચમોલીમાં ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ હાઈવે બંધ, હિમાચલથી દિલ્હી સુધી તારાજી