જૂનાગઢ મનપાની સ્થાયી સમિતિની બેઠક મળી, શહેરમાં વિવિધ વિકાસ કામોને મંજૂરી અપાઈ
અહેવાલ - સાગર ઠાકર, જુનાગઢ
જૂનાગઢ મનપાની સ્થાયી સમિતિની બેઠળ મળી હતી, જેમાં શહેરમાં વિવિધ વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી હતી. શહેરમાં રખડતાં ઢોર તથા શ્વાન માટેની કામગીરી, નદી નાળા ઉંડા ઉતારવાની કામગીરી તથા આગામી ગિરનાર પરિક્રમાને લઈને રસ્તા, સફાઈ તથા પ્લોટની હરરાજીના કામોને મંજૂર કરવામાં આવ્યા હતા.
જૂનાગઢ મનપાની સ્થાયી સમિતિની બેઠકમાં કુલ ત્રણ કરોડના કામો મંજૂર કરાયા, જેમાં તાજેતરમાં યોજાયેલી રન ફોર જૂનાગઢ મેરેથોડ દોડના ત્રણ લાખ રૂપિયા મંજૂર કરાયા હતા. ઉપરાંત, શહેરમાં રખડતાં ઢોરને ચીપ લગાવવાની કામગીરી માટે 8.55 લાખ મંજૂર કરવામાં આવ્યા અને ડોગ સ્ટરીલાઈઝેશનની કામગીરી માટે નામદાર કોર્ટના આદેશ અને સરકારની સુચના મુજબ ટેન્ડરની શરતો મંજૂર કરવામાં આવી હતી.
જૂનાગઢ શહેરમાં ચોમાસામાં પુરની સ્થિતિ સર્જાઈ હતી અને બાદમાં તંત્ર સફાળુ જાગ્યું હતું અને શહેરમાં આવતા નદી તથા નાળાની સફાઈ અને તેને ઉંડા ઉતારવાની કામગીરીને આ બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. જેમાં કાળવા, સોનરખ અને લોલ નદીનો સમાવેશ થાય છે. આગામી 23 થી 27 નવેમ્બર સુધી ગિરનારની લીલી પરિક્રમા શરૂ થશે.
તેના માટે પરિક્રમા રૂટ પરના રસ્તાની મરામત, સફાઈ કામ, પાણીની સુવિધા તથા પ્લોટની હરરાજી સહીતના કામોને મંજૂર કરવામાં આવ્યા, સાથે અમૃત સ્કીમ પરર્ફોમન્સ ગ્રાંન્ટ અન્વયે સપ્લાય, ઇન્સ્ટોલેશન એન્ડ કમીશનીંગ ઓફ આઇ.ઓ.ટી.ડીવાઇસ ફોર વોટર સપ્લાયની કામગીરી હાથ ધરવા માટે કરવામાં આવેલ ટેન્ડર પ્રક્રિયા બાદ 1.65 કરોડના ખર્ચના મંજૂર કરવામાં આવ્યો હતો. ગત મહિને મુખ્યમંત્રી જૂનાગઢની મુલાકાતે હતા ત્યારે ટાઉનહોલ ખાતે એસી બંધ હોવાને લઈને ટકોર કરી હતી ત્યારે આ બેઠકમાં ટાઉનહોલના એસી માટે એક કરોડનો ખર્ચ પણ મંજૂર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો -- AMBAJI : મોહનથાળના બોક્સ ઉપર મોહિની કેટરર્સનું નામ જોવા મળતા નોંધાયો વિરોધ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે