મૂઠી ઉંચેરા નવલોહીયા યુવાનને પ્રેરણાદાયી શ્રધ્ધાંજલી,108 લોકોએ કર્યું રક્તદાન
Inspiring Tribute: ગાંધીનગર જીલ્લાના સરઢવ ગામ માટે નિઃશ્વાર્થ ભાવથી અને સમર્પિતતાના ભાવથી સદૈવ સેવા માટે કાર્યરત અને યુવાનો માટે પ્રેરણારુપ સેવા કાર્યો કરનાર 50 વર્ષના નવલોહીયા યુવાન જયેન્દ્ર દશરથભાઈ પટેલ ઉર્ફે જેડીના દુબઈ ખાતે થયેલા આકસ્મિક અને આઘાતજનક અવસાનની ઘટનાએ ગાંધીનગર જીલ્લા,અમદાવાદ જીલ્લા અને મહેસાણા જીલ્લા સહિતના દેશ વિદેશમાં રહેતા તેમના ચાહકોમાં ભારે દુઃખ અને આઘાતની લાગણી ફેલાવી દીધી હતી.
જયેન્દ્ર પટેલ યુવાનો માટે પ્રેરણાદાયી રહ્યા
બાળપણથી જ સમાજ અને સરઢવ ગામ માટે સમર્પિતતાના ભાવથી નિઃશ્વાર્થ રીતે સેવા કાર્યો કરીને લોકચાહના મેળવનાર જયેન્દ્ર પટેલે સરઢવ ગામમાં ૧૧૧૧ જેટલા વ્રુક્ષોનું વાવેતર અને જતન કરીને ગામને હરીયાળું બનાવ્યું હતું. સેવા કાર્યોમાં સદાય તત્પર રહેતા જયેન્દ્ર પટેલ યુવાનો માટે પ્રેરણાદાયી રહ્યા છે.
આકસ્મિક મોત નીપજતાં આઘાત અને ઘેરો શોક છવાઈ ગયો
દુબઈ ખાતે જયેન્દ્ર પટેલનું આકસ્મિક મોત નીપજતાં આઘાત અને ઘેરો શોક છવાઈ ગયો હતો. જયેન્દ્ર પટેલની સેવા પરાયણ ભાવનાને વ્યક્ત કરવા માટે સરઢવ ગામના તમામ જ્ઞાતીના લોકો-યુવાનો અને કડવા પાટીદાર સમાજના સગા સંબંધીઓએ પ્રેરણાદાયી સંકલ્પ કર્યો હતો. સ્વર્ગસ્થ જયેન્દ્ર પટેલને સાચા અર્થમાં શ્રધ્ધાંજલી (Inspiring Tribute) અર્પવા માટે જયેન્દ્ર પટેલના અમદાવાદના સાયન્સ સીટી રોડ પરના ડીવાઈન હાઈલેન્ડ ખાતે રક્તદાનનો કાર્યક્રમ યોજ્યો હતો.
રક્તદાન કેમ્પનું આયોજન કરવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો
જયેન્દ્ર પટેલના ચાહકો, મિત્રો, સગાસંબંધીઓ સહિત દરેક વ્યક્તિઓએ રક્દાન કરી સાચા અર્થમાં શ્રધ્ધાંજલી આપવા તથા જયેન્દ્ર પટેલના પરમ આત્માને સદ્દગતી મળે માટે રક્તદાન કર્યું હતું.108 વ્યક્તિઓએ રક્તદાન કરી શ્રધ્ધાંજલી (Inspiring Tribute) આપીહતી. ઉલ્લેખનીય છે કે જયેન્દ્ર પટેલને શ્રધ્ધાંજલી અર્પવા અને નિઃશ્વાર્થ ભાવે સમાજ સેવાના ઉચ્ચતમ મુલ્યોને જાળવી રાખવા તથા યુવા પેઢીને પ્રેરણારુપ બનવા માટે જયેન્દ્ર પટેલની મૃત્યુ તારીખ ૨૬ જાન્યુઆરી ના રોજ દર વર્ષે રક્તદાન કેમ્પનું આયોજન કરવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
અહેવાલ - સંજય જોશી, અમદાવાદ