Gondal: ખેડૂતો નીચા ભાવે ડુંગળી વેચવા બન્યા મજબૂર
અહેવાલ - વિશ્વાસ ભોજાણી, ગોંડલ
સરકાર દ્વારા ડુંગળીની નિકાસ બંધી કરવામાં આવતાની સાથે જ ડુંગળીના ભાવો ગબડી જવા પામ્યા હતા. આ સાથે ખેડૂતો,વેપારીઓ અને ડુંગળીની ફેરી કરતા ફેરીયાઓને પણ મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. તેમ છતા ખેડૂતોના વિરોધ વચ્ચે ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવક અઢળક થવા પામી છે.
ખેડૂતોના વિરોધ વચ્ચે ગોંડલ માર્કેટ યાર્ડમાં સતાધીશો દ્વારા ડુંગળીની આવકનો પ્રારંભ કરવામાં આવતા માર્કેટ યાર્ડમાં એક જ દિવસમાં ડુંગળીના 70 હજાર કટ્ટાની આવક થવા પામી હતી. આ સાથે જ માર્કેટ યાર્ડ ડુંગળીથી ઉભરાઈ જવા પામ્યું હતું. આ સાથે જ હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 70/-થી 500/-સુધીના બોલાયા હતા.
ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીની અઢળક આવક થવા પાછળનું મુખ્ય કારણ ખેડૂતોના જણાવ્યા મુજબ લાલ ડુંગળી વધુ પડતા સમય સુધી સંગ્રહ થઈ શકતી ન હોવાથી ખેડૂતોનો માલ બગડતો હોવાની વિગતો જાણવા મળી છે. જેમને કારણે ખેડૂતોને ન છૂટકે નીચા ભાવે ડુંગળીનું વહેંચાણ કરવાની ફરજ પડી રહી છે.
ડુંગળીના નિકાસ પ્રતિબંધ હટાવવાની માંગ માર્કેટ યાર્ડના સતાધીશો,વેપારીઓ,ફેરીયાઓ થી લઈને ખેડૂતો સુધીના લોકો કરી રહ્યા છે. ત્યારે ગોંડલ માર્કેટ યાર્ડના ડુંગળીના વેપારઓના જણાવ્યા મુજબ સરકાર દ્વારા ડુંગળીની ઉંચામાં ખરીદી કરીને દિલ્હી જેવા અન્ય રાજ્યોમાં નીચામાં ડુંગળીનું વહેંચાણ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો કર્યા છે.
જેમને કારણે નિકાસ બંધી વચ્ચે ડુંગળીના વેપારીઓને વેપાર કરવો મુશ્કેલ બન્યો હોવાની સાથે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. જ્યારે સરકારના નાફેડ જેવી સંસ્થાઓ દ્વારા ડુંગળીની ખરીદી કરવામાં આવી રહી છે. એ સાઈજની ડુંગળીનું ઉત્પાદન સૌરાષ્ટ્રમાં થવા પામ્યુ નથી. તેમને લઈને વેપારીઓ ખેડૂતો બંન્નેને ડુંગળીએ રાતા પાણીએ રોવડાવ્યા છે.
બીજી તરફ ગોંડલ માર્કેટ યાર્ડમાંથી ખરીદી કરીને ગામડે ગામડે રીટેલ ડુંગળીનું વહેંચાણ કરતા ફેરીયાઓને પણ ડુંગળીની ગબડી પડેલ બજારની વચ્ચે ખોટ ભોગવવાની નોબત આવી છે. જેમને કારણે ડુંગળીના ખેડૂતોને પોષણક્ષમ ભાવો ન મળતા વેપારીઓ અને ફેરીયાઓને પણ માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો - Banaskantha: વડગામમાં ખેડૂતોએ રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું