Rajkot : મહિલાએ શેરબજારમાં વધુ રૂપિયા કમાવવાની લાલચમાં રૂ.50 લાખનું રોકાણ કર્યું અને થઇ છેતરપિંડી
- પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રીય સાયબર માફિયા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે
- એકાઉન્ટ નંબરના આધારે આ ચાર શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી
- ખાતામાંથી રૂપિયા ઉપાડીને પોતાનું કમિશન મેળવીને બાકીની રકમનું આંગણીયું કરી દેતા
Rajkot : લોભિયા હોય ત્યાં ધુતારાઓ ભુખે ન મરે, આ કહેવત રાજકોટમાં લાગુ પડી છે. એક મહિલાએ શેરબજારમાં વધુ રૂપિયા કમાવવાની લાલચમાં 50 લાખ રૂપિયાનું રોકાણ કર્યું અને સાયબર માફિયાઓએ છેતરપિંડી આચરી જુઓ કઇ રીતે આંતરરાષ્ટ્રીય સાયબર માફિયા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
એકાઉન્ટ નંબરના આધારે આ ચાર શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી
સરકાર દ્વારા અનેક જનજાગૃતિ કરવામાં આવે પરંતુ એવા અનેક લોકો છે જેઓ સાયબર માફિયાઓની ચુંગાલમાંથી બચી શકતા નથી. રાજકોટ સાયબર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2024માં બીએસએનએલમાં ફરજ બજાવતા બેલાબેન વૈદ્ય નામના મહિલાએ શેરબજારમાં રોકાણની લાલચ આપીને 55 લાખની છેતરપિંડીની ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે ગુજરાત અને રાજસ્થાનના 4 શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસે દિનેશ ઉર્ફે સતીષ રાદડિયા, જેનિસ ઉર્ફે રવો ગરણિયા, મુસ્તાક મોહમદ અલી, લુમબતસિંહ રાવત નામના શખ્સોની ધરપકડ કરી છે. પોલીસના કહેવા પ્રમાણે આ શખ્સો પર આરોપ છે કરન્ટખાતા ખોલાવીને રૂપિયા બારોબાર ઉપાડીને છેતરપિંડી કરવાનો. પોલીસે શેરબજારના નામે છેતરપિંડીના કેસમાં જે એકાઉન્ટમાં ફ્રોડની રકમ હતી તે એકાઉન્ટ નંબરના આધારે આ ચાર શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કઇ રીતે આચરતા છેતરપિંડી ?
પોલીસના કહેવા પ્રમાણે મહિલાનો સોશિયલ મીડિયાના આધારે સંપર્ક થયો હતો. શેરબજારની ટિપ્સના આધારે મહિલાને FRAGEMWAY નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી અને વીઆઇપી વોટ્સઅપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યા હતા. જેમાં અલગ અલગ ખાતામાં રૂપિયા નાખવા માટે કહ્યું હતું. મહિલાએ શરૂઆતમાં રૂપિયા રોકાણ કર્યા હતા અને તેમાં 1 લાખ 98 હજાર રૂપિયા જેટલું વળતર પણ મળ્યું હતું જો કે બાદમાં રૂપિયાનું રોકાણ કરતા ગયા અને સાયબર ચાંચિયાઓ લાલચ આપતા ગયા જે આંકડો 55 લાખ રૂપિયા સુધી પહોંચી જતા રૂપિયા પરત આપવાનું બંધ કરી દેતા પોલીસનો સંપર્ક કર્યો હતો.
ખાતામાંથી રૂપિયા ઉપાડીને પોતાનું કમિશન મેળવીને બાકીની રકમનું આંગણીયું કરી દેતા
પોલીસના કહેવા પ્રમાણે ભોગ બનનાર મહિલા જે ખાતામાં રૂપિયા જમા કરાવતા હતા આ શખ્સો તુરંત જ ખાતામાંથી રૂપિયા ઉપાડીને પોતાનું કમિશન મેળવીને બાકીની રકમનું આંગણીયું કરી દેતા હતા. પોલીસના કહેવા પ્રમાણે આ છેતરપિંડીના તાર આંતરરાષ્ટ્રીય કક્ષાએ જોડાયેલા છે અને પાંચ રાજ્યોમાં આ રૂપિયાની લેતીદેતી થતી હોવાનું સામે આવ્યું છે. પોલીસના કહેવા પ્રમાણે આ કૌંભાડમાં વધુ કેટલાક આરોપીઓની ધરપકડ થાય તેવી શક્યતા છે. હાલ પોલીસે આ કેસમાં ચાર શખ્સોને પકડી પાડ્યા છે. હજુ અનેક શખ્સોની ધરપકડ થઇ શકે છે પરંતુ સાયબર ચાંચિયાઓના મૂળ સુધી પહોચવું પોલીસ માટે પણ મુશ્કેલ છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે આવા લેભાગુ તત્વોથી સાવચેત રહે. જેથી તમે પણ આ સાયબર ચાંચિયાઓના શિકાર ન બનો.
આ પણ વાંચો: Rajkot : ગોંડલમાં રાજકુમાર જાટના મોત કેસમાં સૌથી મોટો ખુલાસો થયો