Rajkot : 25 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર, સરકારી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડાયા
- ભવાનીનગરના ખાનગી ટ્રસ્ટમાં ઘટના બની
- રાજકોટમાં 25 બાળકોને ફૂડ પોઈઝનીંગની અસર
- શહેરના ભવાનીનગર વિસ્તારમાં બની ઘટના
રાજકોટમાં 25 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઇ છે. જેમાં શહેરના ભવાનીનગરના ખાનગી ટ્રસ્ટમાં ઘટના બની છે. છેલ્લા ત્રણ દાયકાથી અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ ખાનગી ટ્રસ્ટ દ્વારા છાશ વિતરણ કરાયું હતું. તેમાં છાશ વિતરણ બાદ 25 જેટલા બાળકોને ફૂડ પોઈઝનીંગની અસર થઇ છે.
15 જેટલા બાળકોને ઘરે સારવાર અપાઇ
રામનાથપરા વિસ્તાર પાસે આવેલ ભવાનીનગરમાં છાશ વિતરણ કરાયું હતું. તેમાં 10 જેટલા બાળકો ગુંદાવાડી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડાયા છે. તથા 15 જેટલા બાળકોને ઘરે સારવાર અપાઇ છે. હાલ તમામ બાળકોની તબિયત સ્થિર છે.
બાળકો બીમાર પડવાનું પ્રાથમિક કારણ ફૂડ પોઇઝનિંગ હોવાનું કહેવાય છે
ઉનાળાની ઋતુમાં ફૂડ પોઈઝનિંગનું જોખમ અનેકગણું વધી જાય છે, કારણ કે તીવ્ર ગરમીમાં બેક્ટેરિયા અને અન્ય હાનિકારક સુક્ષ્મસજીવો ઝડપથી વધે છે. આ હવામાન તેમના માટે ખૂબ જ અનુકૂળ છે. થોડી બેદરકારી પેટની ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં, સ્વસ્થ અને સલામત ખાવા-પીવા અંગે ખૂબ કાળજી રાખવી જરૂરી છે. તાજેતરમાં , ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં નિર્વાણ આશ્રય કેન્દ્રમાં 5 બાળકોનાં મૃત્યુ થયા હતા. અહીં 35 બાળકોને ઊલટી અને ઝાડા થયા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે 20 બાળકોની હાલત ગંભીર થઇ હતી. બાળકો બીમાર પડવાનું પ્રાથમિક કારણ ફૂડ પોઇઝનિંગ હોવાનું કહેવાય છે.
ઉનાળામાં ઝાડા, હીટ સ્ટ્રોક, ઉલટી, બેભાન થવું તેમજ ફૂડ પોઈઝનિંગ સામાન્ય
ઉનાળામાં ઝાડા, હીટ સ્ટ્રોક, ઉલટી, બેભાન થવું તેમજ ફૂડ પોઈઝનિંગ સામાન્ય છે. વાસ્તવમાં, જ્યારે ઉનાળામાં તાપમાન વધે છે, ત્યારે બેક્ટેરિયા અને સૂક્ષ્મ જીવો ઝડપથી વધે છે, જે ખોરાકને સરળતાથી ચેપ લગાડે છે. સૌથી મોટો ડર બહારના ખોરાકનો છે, જે આપણે ખૂબ ઉત્સાહથી ખાઈએ છીએ. આ સિવાય ખરાબ પાણી પણ ફૂડ પોઈઝનિંગનું કારણ બની શકે છે. ફૂડ પોઈઝનિંગ ઘણીવાર નાના બાળકો, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને પરેશાન કરે છે. ફૂડ પોઇઝનિંગના મોટાભાગના કેસોમાં ઇ. કોલી બેક્ટેરિયાનો ચેપ જોવા મળે છે. જેની સીધી અસર લોહી, કિડની અને નર્વસ સિસ્ટમ પર પડે છે. આ સિવાય સૅલ્મોનેલા, સ્ટેફાયલોકોસી અને ક્લોસ્ટ્રિડિયમ બોટ્યુલિયમ જેવા કીટાણુઓ પણ ખોરાકને ચેપ લગાડે છે. ક્લોસ્ટ્રિડિયમ બોટ્યુલિયમ દ્વારા થતા ચેપને સૌથી ખતરનાક માનવામાં આવે છે.
આ પણ વાંચો: Gujarati Top News : આજે 18 એપ્રિલ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?