Delhi : દિલ્હીમાં બે માળની ઇમારત પડતા બે મજૂરોના મોત, એકની હાલત અત્યંત ગંભીર
Delhi : દિલ્હીમાં અત્યારે હૃદય કંપાવતી ઘટના બની છે. દિલ્હીના કબીરનગરમાં બે માળના એક જર્જરીત ઇમારત પડી ગઈ હતી. આ ઇમારત પડવાથી બે મજૂરોના મોત થયાના સમાચાર પણ સામે આવ્યા છે. આ સાથે એક વ્યક્તિ ઘાયલ પણ થયો છે. ઘાયલ વ્યક્તિને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સુત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે અત્યારે ઘાયલ મજૂરની હાલત ગંભીર છે, તે મજૂર જીવન મરણનો જંગ ખેલી રહ્યો છે.
સવારે 2 વાગે ઘટી હતી આ ઘટના
આ ઘટના મામલે નોર્થ ઈસ્ટ ડીસીપી જોય તિર્કીએ જણાવ્યું હતું કે, ‘સવારે 2.16 વાગ્યે, વેલકમના કબીર નગરના ઘાટી વેલકમમાં એક બે માળની જૂની બાંધકામ હેઠળની ઈમારત ધરાશાયી થવાની જાણ થઈ હતી. રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. કામદારોને બહાર કાઢતા જ તેમને સારવાર માટે જીટીબી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
બે મજૂરોના મોત અને એક ગંભીર રીતે ઘાયલ
મળતી વિગતો પ્રમાણે 30 વર્ષીય અરશદ અને 20 વર્ષીય તૌહીદ નામના મજૂરોનું હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય કામદાર 22 વર્ષીય રેહાનની હાલત ગંભીર છે અને તેને સારવાર આપવામાં આવી રહી છે. આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ત્રણ મજૂરો કાટમાળ નીચે દટાયા હતા: સ્ટેશન ઓફિસર
ઉલ્લેખનીય છે કે, સ્ટેશન ઓફિસર અનૂપે આ ઘટના વિશે જણાવ્યું હતું કે, ‘અમને એક બિલ્ડિંગ ધરાશાયી થવાની માહિતી મળી હતી અને ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્રણ મજૂરો કાટમાળ નીચે દટાયા હતા.’ વિગતો મળી રહીં છે કે, આ ઇમારતનો પહેલા માળ એકદમ ખાલી હતો પરંતુ ગ્રાઉન્ડ ફ્લોર પર અત્યારે કામ ચાલી રહ્યું હતું. આ ઇમારતના માલિકનું નામ શાહિદ હોવાના જાણકારી મળી છે. આ મામલે કાનૂની કાર્યવાહી કરવાની પોલીસે જાણકારી આપી છે.