પુંછ-રાજૌરીમાં મોટી કાર્યવાહીની તૈયારી, સેનાએ ટ્વીટ કરીને આપી માહિતી
અહેવાલ - રવિ પટેલ
25 ડિસેમ્બરે, જમ્મુ-કાશ્મીરના પૂંછમાં આતંકવાદી હુમલાના ચાર દિવસમાં, આર્મી ચીફ મનોજ પાંડેએ વિસ્તારની મુલાકાત લીધી હતી. આ દરમિયાન, સુરક્ષા બેઠકની સમીક્ષા કરતી વખતે, તેમણે કમાન્ડરોને 'ખૂબ જ વ્યાવસાયિક રીતે' વર્તન કરવાની સલાહ પણ આપી. સેનાએ તેમના સત્તાવાર એક્સ હેન્ડલ પરથી પોસ્ટ કરીને આ માહિતી આપી છે. ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, રક્ષા મંત્રી રાજનાથ સિંહ 27 ડિસેમ્બરે પૂંછ અને રાજૌરી સેક્ટરની મુલાકાત લઈ શકે છે.
સેનાએ ટ્વીટ કરીને માહિતી આપી
આર્મીના એડિશનલ ડિરેક્ટોરેટ જનરલ ઓફ પબ્લિક ઇન્ફોર્મેશન (ADGPI) એ 25 ડિસેમ્બરે તેમના સત્તાવાર એક્સ હેન્ડલ પર એક ટ્વિટમાં જણાવ્યું હતું કે આર્મી સ્ટાફ (COAS) કમાન્ડરોને મળ્યા હતા. ટ્વિટ અનુસાર, “COAS જનરલ મનોજ પાંડેએ પૂંછ સેક્ટરની મુલાકાત લીધી. તેમને વર્તમાન સુરક્ષા પરિસ્થિતિ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. COASએ ત્યાં હાજર કમાન્ડરો સાથે વાર્તાલાપ કર્યો અને તેમને ખૂબ જ વ્યાવસાયિક રીતે ઓપરેશન ચલાવવા અને તમામ પડકારો સામે અડગ રહેવા પ્રોત્સાહિત કર્યા.“
એક અહેવાલ મુજબ, આર્મી ચીફ પહેલા જમ્મુ પહોંચ્યા, ત્યારબાદ તેઓ સુરક્ષાની સ્થિતિનો તાગ મેળવવા ડેરા ગલી જવા રવાના થયા. આ પછી તેઓ રાજૌરીમાં 25 પાયદળ ડિવિઝનના મુખ્યાલયમાં ગયા અને જ્યાં હાજર કમાન્ડરોએ તેમને પરિસ્થિતિ વિશે માહિતી આપી.
જનરલ પાંડેએ તમામ અધિકારીઓને ઓપરેશન સંબંધિત વિવિધ પાસાઓ પર સંબોધન કર્યું હતું. તેમણે કમાન્ડરોને તેમના અભિગમમાં વધુ વ્યાવસાયિક, વ્યવહારુ બનવા અને લાગણીઓને કાબૂમાં રાખવા જણાવ્યું છે.
ચાર જવાનો શહીદ થયા હતા
21 ડિસેમ્બરે પૂંછના ટોપા પીર વિસ્તાર પાસે આતંકવાદીઓ સાથેની અથડામણમાં ઓછામાં ઓછા ચાર સેનાના જવાનો શહીદ થયા હતા. આતંકી સંગઠન PAFF એ આ હુમલાની જવાબદારી લીધી હતી. આતંકીઓએ સેનાની એક જીપ્સી અને એક ટ્રકને નિશાન બનાવી હતી. સેનાએ આતંકવાદીઓને શોધવા માટે પૂંછ અને રાજૌરીમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. એન્કાઉન્ટર પછી, સેનાએ સંબંધિત માહિતી માટે પૂછપરછ માટે 8 લોકોને ઝડપી લીધા હતા.
નાગરિકોના મોત, તપાસના આદેશ
પૂછપરછ માટે લઈ જવામાં આવેલા 8 લોકોમાંથી ત્રણ મૃત મળી આવ્યા હતા. જેને લઈને વિસ્તારના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રિપોર્ટ અનુસાર, સેનાએ આ મામલાની તપાસ માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો છે. આ તપાસમાં સેનાના બે વાહનો પર થયેલા આતંકી હુમલાની પણ તપાસ કરવામાં આવશે.
આ પણ વાંચો -- તમામ રાષ્ટ્રીય ધોરીમાર્ગોના ટોલનાકા પર એમ્બ્યુલન્સ તૈનાત કરાશે! હાલ આખા દેશમાં માત્ર 300 જ ઉપલબ્ધ