Jallianwala Bagh Massacre: આજનો એ કાળો દિવસ જેના ઘા હજુ સુધી રૂઝાયા નથી, જાણો શું બન્યુ હતુ ?
Jallianwala Bagh Massacre: દર વર્ષે, જ્યારે પણ 13મી એપ્રિલ આવે છે, ત્યારે અંગ્રેજોની ક્રૂરતાની વાર્તાઓ ફરી તાજી થઈ જાય છે. આજે તે ઘટનાને 106 વર્ષ વીતી ગયા છે. પણ હજુ સુધી તેના ઘા તાજા છે. આ છે જલિયાંવાલા બાગની કહાની. જલિયાંવાલા બાગ હત્યાકાંડ - ભારતના સ્વતંત્રતા સંગ્રામની સૌથી દુ:ખદ અને ક્રૂર ઘટનાઓમાંની એક છે. તે હત્યાકાંડનું દ્રશ્ય કેવું હશે તેની કલ્પના પણ કરી શકાતી નથી. તે ઘટનાનું વર્ણન થોડા શબ્દોમાં કરી શકાય તેમ નથી. તો આવો જાણીએ જલિયાંવાલા બાગ હત્યાકાંડ વિશે.
આનું કારણ રોલેટ એક્ટ હોવાનું કહેવાય છે. આ ભારતીયો વિરુદ્ધ અંગ્રેજોનો 'કાળો કાયદો' હતો. 1919ના રોલેટ એક્ટ (Rowlatt Act 1919 )ના અમલ પછીની ઘટનાઓ પર નજર કરીએ તો-
-મહાત્મા ગાંધીએ 6 એપ્રિલ, 1919 થી અહિંસક 'સવિનય અસહકાર આંદોલન' શરૂ કર્યુ.
-9 એપ્રિલ, 1919 ના રોજ, પંજાબના બે અગ્રણી નેતાઓ, સત્યપાલ અને સૈફુદ્દીન કિચલુની ધરપકડ કરવામાં આવી, જેના કારણે અશાંતિ ફેલાઈ ગઈ. દેશભરમાં પ્રચંડ વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા.
- કાયદા વિરુદ્ધ આવા કોઈપણ વિરોધને રોકવા માટે અંગ્રેજોએ માર્શલ લો લાગુ કર્યો. બ્રિગેડિયર જનરલ ડાયરને પંજાબમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનો આદેશ આપવામાં આવ્યો. તેમને જલંધરથી અમૃતસર બોલાવવામાં આવ્યા હતા.
રોલેટ એક્ટ શું હતો?
પ્રથમ વિશ્વયુદ્ધ (1914-18) દરમિયાન સર સિડની રોલેટની આગેવાની હેઠળની સમિતિની ભલામણો પર રોલેટ એક્ટ પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદા મુજબ, બ્રિટિશ સરકારને ભારતમાં રાજકીય પ્રવૃત્તિઓને દબાવવા માટે ખાસ સત્તાઓ આપવામાં આવી હતી. જે હેઠળ કોઈપણ વ્યક્તિને કોઈપણ ટ્રાયલ વિના બે વર્ષ સુધી કસ્ટડીમાં રાખી શકાય છે.
13મી એપ્રિલે શું બન્યું હતું?
જલિયાંવાલા બાગ હત્યાકાંડ એ ભારતની આઝાદીની લડાઇની અત્યંત કરુણ અને દુઃખદ ઘટના છે, કારણ કે તેમાં મોટી સંખ્યામાં નિર્દોષ લોકો માર્યા ગયા હતા. જલિયાંવાલા બાગ હત્યાકાંડ 13 એપ્રિલ, 1919ના રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો. રોલેટ એક્ટના વિરોધમાં એકઠા થયેલા અહિંસક પ્રદર્શનકારીઓ પર જનરલ ડાયર નામના અંગ્રેજ અધિકારીએ ગોળીબાર કરવાનો હુકમ આપ્યો હતો. અચાનક થયેલા આ હુમલામાં 41 બાળકો સહિત લગભગ 400 વ્યક્તિઓના મૃત્યુ થયા હતા અને 1 હજારથી પણ વધુ લોકો ઘાયલ થયા હતા.
જનરલ ડાયરે સૈનિકોને ગોળીબાર કરવાનો આદેશ આપ્યો
રોલેટ એક્ટના વિરોધમાં 13 એપ્રિલ, 1919ના રોજ સાંજે ચાર વાગ્યે અમૃતસરના જલિયાંવાલા બાગ ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં પુરુષ-સ્ત્રીઓ અને બાળકો સહિત લગભગ 5000 જેટલા લોકો એકઠા થયા હતા. આ સભા દરમિયાન કેટલાક નેતાઓ ભાષણ આપી રહ્યા હતા ત્યારે જનરલ ડાયર 90 જેટલા સૈનિકોની ટુકડી લઈને બાગના પ્રવેશદ્વારે પહોંચે છે. તેણે કોઈપણ પ્રકારની પૂર્વ ચેતવણી આપ્યા વગર જ સૈનિકોને ગોળીબાર કરવાનો આદેશ આપી દીધો. અચાનક થયેલા ફાયરિંગથી મેદનીમાં ભાગદોડ મચી ગઈ. સૈનિકોએ લગભગ 10 મિનિટમાં કુલ 1650 રાઉન્ડ ગોળીઓ છોડી હતી, જેમાં લગભગ 400 નિર્દોષ લોકો માર્યા ગયા. જલિયાંવાલા બાગમાં લગાવેલી તકતી અનુસાર 120 મૃતદેહ કૂવામાંથી મળી આવ્યા હતા. અમૃતસરના ડેપ્યુટી કમિશ્નરના કાર્યાલયમાં 484 શહિદોની યાદી છે, જ્યારે જલિયાંવાલા બાગમાં 388 શહિદોની યાદી મૂકવામાં આવી છે. બ્રિટીશ રાજના દસ્તાવેજમાં જલિયાંવાલા કાંડમાં 200 લોકોને ઇજા થઇ હતી જ્યારે 397 લોકો શહીદ થયા હોવાનો ઉલ્લેખ છે.
આજે પણ ગોળીઓના નિશાન જલિયાંવાલા બાગની દિવાલો પર જોવા મળે છે.
આ હત્યાકાંડના સ્થળને એક સ્મારકમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે જેને રાષ્ટ્રીય સ્મારક માનવામાં આવે છે. આ સ્મારકમાં સંગ્રહાલય ગેલેરીઓ છે અને હત્યાકાંડની ઘટનાઓનું વર્ણન કરવા માટે દૈનિક પ્રકાશન અને ધ્વનિ શો રજૂ કરવામાં આવે છે. શહીદ કૂવા સાથે, ગોળીઓના નિશાનવાળી એક દિવાલ સાચવવામાં આવી છે, જેમાં સૈનિકો ગોળીબાર કરી રહ્યા હતા ત્યારે ઘણા લોકો કૂદી પડ્યા હોવાનું માનવામાં આવે છે.
શહીદોનુ સ્મારક
જલિયાવાલા બાગ હત્યાકાંડનું પરિણામ શું આવ્યું?
-આ હત્યાકાંડની માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં નિંદા કરવામાં આવી હતી. આ હત્યાકાંડ દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં એક વળાંક સાબિત થયો. સમગ્ર ભારતમાં વ્યાપક આક્રોશ ફેલાયો હતો. મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયા. બ્રિટિશ શાસનનો અંત લાવવાની હાકલ થઈ.
-આ ઘટનાની તપાસ હન્ટર કમિશન દ્વારા કરવામાં આવી હતી, જેણે ડાયરના કાર્યોની ટીકા કરી હતી. પરંતુ તેને સીધી રીતે જવાબદાર ઠેરવવામાં આવ્યો ન હતો. ડાયરને એકમાત્ર સજા એ મળી કે તેને તેના પદ પરથી દૂર કરવામાં આવ્યો અને નિવૃત્તિ લેવાનું કહેવામાં આવ્યું.
આ પણ વાંચો : ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્વનો વળાંક... PM મોદીએ જલિયાવાલા બાગ હત્યાકાંડના શહીદોને યાદ કર્યા