ઘૂસણખોરી કરતા 11 બાંગ્લાદેશીઓની BSF એ કરી ધરપકડ, ભારત અને BANGLADESH ની બોર્ડર ઉપર કરાયું રેડ એલર્ટ
- બાંગ્લાદેશના ઘણા નાગરિકો ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે
- BSF એ ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા 11 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી
- વચગાળાની સરકારના શપથ લીધા બાદ પણ BANGLADESH માં હિંસા અને પ્રદર્શન ચાલુ
BANGLADESH માં થયેલી હિંસાએ આખા વિશ્વનું ધ્યાન તેમની તરફ ખેંચ્યું છે. બાંગ્લાદેશમાં ભારે હિંસા બાદ તેમના પ્રધાનમંત્રી શેખ હસીનાએ પણ દેશ છોડીને ભાગીને જવું પડ્યું હતું. ઠેર ઠેર હિંસા અને અવ્યવસ્થાને કારણે હવે બાંગ્લાદેશના ઘણા નાગરિકો ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હવે BSF એ પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મેઘાલયની સરહદોથી ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા 11 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી છે. બાંગ્લાદેશમાં આવેલા રાજકીય સંકટ બાદ ભારતની BANGLADESH સાથેની બોર્ડર ઉપર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
BANGLADESH ના લોકોની ઘૂસણખોરી થઈ નિષ્ફળ
11 Bangladeshi nationals apprehended while trying to infiltrate into India through
West Bengal, Tripura, Meghalaya borders: BSF— Press Trust of India (@PTI_News) August 11, 2024
બાંગ્લાદેશ હિંસા બાદ હજી પણ ત્યાંની પરિસ્થિતિ દિવસે દિવસે વણસી રહી છે. જેના કારણે બાંગ્લાદેશના નાગરિકો ભારતની બોર્ડર ઉપરથી ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. દિવસે દિવસે આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અગાઉ, 9 ઓગસ્ટે, BSF, બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB) ની મદદથી, પશ્ચિમ બંગાળના કૂચ બિહાર જિલ્લામાં બાંગ્લાદેશ સાથેની સરહદ પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. મળતી માહિતીના અનુસાર, બીએસએફને માહિતી મળી કે બિહારમાં ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર 1,000 બાંગ્લાદેશી નાગરિકો ભારતમાં શરણ મેળવવાના ઈરાદાથી સરહદ પાર કરી રહ્યા છે. જેના બાદ બીએસએફે આ બાંગ્લાદેશી નાગરિકોને પરત લેવા માટે તરત જ BGBનો સંપર્ક કર્યો. આ પછી, બંને એજન્સીઓ દ્વારા ખાતરી કરવામાં આવી હતી કે સરહદ પર પરિસ્થિતિ શાંતિપૂર્ણ રીતે નિયંત્રિત છે.
અગાઉ પણ કરાઇ છે ધરપકડ
ઉલ્લેખનીય છે કે, અગાઉ મુંબઈમાંથી 5 બાંગ્લાદેશીઓની ધરપકડ કરાઈ હતી. તેઓ બાંગ્લાદેશ-ભારત સરહદેથી ઘૂસણખોરી કરીને ત્યાંથી નવી મુંબઈ પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વચગાળાની સરકારના શપથ લીધા બાદ પણ BANGLADESH માં હિંસા અને પ્રદર્શન ચાલુ છે. બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલન શરૂ થયા બાદથી તેને હિંસક સ્વરૂપ લીધું હતું. જેના બાદ શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દેવું પડયું હતું અને તેમણે દેશ છોડવો પડ્યો હતો.