Pahalgam Terror Attack : પહેલગામ હુમલા પર સર્વપક્ષીય બેઠકમાં સરકારે સુરક્ષામાં ચૂક સ્વીકારી, રિજિજુએ કહ્યું - તપાસ કરીશું
- પહેલગામ હુમલામાં સરકારે પોતાની ભૂલ સ્વીકારી
- તમામ પક્ષોએ આ આતંકવાદી હુમલાની નિંદા કરી
- સર્વપક્ષીય બેઠકમાં તમામ પક્ષોનું સરકારને સમર્થન
Pahalgam Terror Attack: પહેલગામ આતંકવાદી હુમલા અંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તમામ પક્ષોએ આ આતંકવાદી હુમલાની નિંદા કરી હતી. બેઠક પૂરી થયા બાદ કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ સ્વીકાર્યું કે સરકારથી ચૂક થઈ છે. તેમણે કહ્યું, "આ ઘટના કેવી રીતે બની અને ચૂક ક્યાં થઈ તેની ચર્ચા બેઠકમાં કરવામાં આવી. અમારા અધિકારીઓએ જણાવ્યું કે ઘટના કેવી રીતે બની."
સર્વપક્ષીય બેઠકમાં સરકારે પોતાની ભૂલ સ્વીકારી
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું, "જે જગ્યાએ આ ઘટના બની તે મુખ્ય માર્ગ પર નથી. બધા પક્ષોને કહેવામાં આવ્યું કે બધું બરાબર હોવા છતાં, ચૂક થઈ છે અને દરેક વ્યક્તિ આનાથી દુઃખી છે. અમે તપાસ કરીશુ કે ચૂક ક્યાં થઈ. ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. બધા પક્ષના નેતાઓએ એક સ્વરમાં કહ્યું છે કે સરકાર જે પણ પગલાં લેશે, અમે તેનું સમર્થન કરીશું. કેટલાક મુદ્દાઓ પણ સામે આવ્યા, જેના પર સ્પષ્ટતા આપવામાં આવી."
કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ કહ્યું, "આ ખૂબ જ દુઃખદ ઘટના છે. છેલ્લા ઘણા વર્ષોથી કાશ્મીરમાં લોકો શાંતિપૂર્ણ રીતે પોતાનો વ્યવસાય કરી રહ્યા હતા, પ્રવાસીઓ આવી રહ્યા હતા, પ્રવૃત્તિઓ ચાલી રહી હતી અને બધું ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું હતું. તમામ રાજકીય પક્ષોએ પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા અને એક વાત સામે આવી કે દેશને એક થઈને અને એક અવાજે બોલવું જોઈએ. તમામ પક્ષોએ કહ્યું છે કે તેઓ સરકાર સાથે છે."
આ પણ વાંચો : Pahalgam Terror Attack : રામબનના દ્રશ્યો...પાકિસ્તાનને નથી છોડવાનું...ચિનાબનું પાણી રોકાયું..
કયા નેતાઓએ બેઠકમાં હાજરી આપી હતી?
સર્વપક્ષીય બેઠકની શરૂઆતમાં, પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતોના માનમાં મૌન પાળવામાં આવ્યું. સરકાર વતી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ, વિદેશ પ્રધાન એસ જયશંકર, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ અને સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુ હાજર રહ્યા હતા. આ બેઠકમાં રાજ્યસભામાં ગૃહના નેતા જેપી નડ્ડા, રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ હાજર હતા.
તમને જણાવી દઈએ કે, 22 એપ્રિલના રોજ બનેલી આંતકી ઘટનામાં 26 લોકોના જીવ ગયા છે. જે જગ્યા પર આ ઘટના બની ત્યાં કોઈ જ સુરક્ષા વ્યવસ્થા ન હતી. હવે સવાલ એ થાય છે કે પહેલગામ, જ્યાં આશરે 2000 પ્રવાસીઓ પહોંચ્યા હતા. પરંતુ તે અંગેની જાણ ન તો ગુપ્ત એજન્સીઓને હતી ન તો સરકારને. તેવામાં આતંકીઓએ આસાનીથી પ્રવાસીઓને નિશાન બનાવ્યા અને ઘટનાને અંજામ આપ્યો. સર્વપક્ષીય બેઠકમાં સરકારે સુરક્ષાંમાં ચૂક થઈ હોવાનુ તો સ્વીકાર્યુ છે પણ એક સવાલ એ પણ છે કે સુરક્ષા જ ક્યાં હતી તો ચૂક થાય. અહીં તો આતંકીઓએ આસાનીથી પ્રવાસીઓને નિશાન બનાવ્યા, જે સરકારની નબળાઈ દર્શાવે છે.
આ પણ વાંચો : Jammu Kashmir : પોલીસે બાંદીપોરામાં લશ્કર-એ-તૈયબા મોડ્યુલનો કર્યો પર્દાફાશ