G20-RIIG મીટિંગમાં ટકાઉ બ્લુ ઇકોનોમી પર મંતવ્યો રજુ કરવામાં આવ્યા
• પ્રથમ દિવસે કુલ ચાર સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું
• કોન્ફરન્સમાં 35 થી વધુ વિદેશી પ્રતિનિધિઓ અને 40 ભારતીય નિષ્ણાતો, પ્રતિનિધિઓ અને આમંત્રિતોએ ભાગ લીધો હતો
• આજે તમામ પ્રતિનિધિઓ ગીર નેશનલ પાર્ક અને ગુજરાતના પ્રખ્યાત સોમનાથ મંદિરની મુલાકાત લેશે
ભારતની G20 પ્રેસિડન્સી દ્વારા ગુરુવારે દીવ (દીવ, દમણ, નગર હવેલી)માં 5મી G20 રિસર્ચ એન્ડ ઇનોવેશન ઇનિશિયેટિવ ગેધરિંગ (RIIG) કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. બે દિવસીય સમ્મેલનમાં G20 સભ્યોના પ્રતિનિધિઓ, આમંત્રિત અતિથિ દેશો, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને વૈજ્ઞાનિક સમુદાયના આમંત્રિત નિષ્ણાત સહભાગીઓએ ટકાઉ બ્લુ ઇકોનોમીના નિર્માણ તરફ આગળના માર્ગો પર ચર્ચા કરી. કોન્ફરન્સમાં 35 થી વધુ વિદેશી પ્રતિનિધિઓ અને 40 ભારતીય નિષ્ણાતો, પ્રતિનિધિઓ અને આમંત્રિતોએ ભાગ લીધો હતો. પ્રથમ દિવસે કુલ ચાર સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ટકાઉ ભવિષ્યના નિર્માણ માટે આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવાની જરૂરિયાત પર ભાર
મીટિંગના પ્રથમ દિવસે અલગ-અલગ સત્રોમાં બ્લુ ઇકોનોમી ક્ષેત્રો અને તકો, દરિયાઇ પ્રદૂષણ, તટીય-દરિયાઇ ઇકોસિસ્ટમ્સ અને જૈવવિવિધતા, ઊંડા સમુદ્રમાં સંશોધન અને નવી અને પુન:પ્રાપ્ય અપતટીય ઉર્જા સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. કોન્ફરન્સ દરમિયાન G20 શેરપા શ્રી અમિતાભ કાંતે દીવમાં 5મી G20-RIIG મીટિંગમાં ટકાઉ બ્લુ ઇકોનોમી પર તેમના મંતવ્યો રજૂ કર્યા. તેમણે દરિયાઈ પર્યાવરણ સામેના પડકારો અને ટકાઉ ભવિષ્યના નિર્માણ માટે આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. તેમણે ભાવિ પેઢીઓ માટે દરિયાઈ સંસાધનોની સુરક્ષા સાથે આર્થિક વિકાસ અને રોજગાર સર્જન પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું.
જી-20 મુલાકાતને દર્શાવતા એક સપ્તાહના પ્રદર્શનનું પણ દીવમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું
જ્યારે દીવના પ્રશાસક શ્રી પ્રફુલ્લ કે. પટેલે દીવમાં 5મી G20 RIIG બેઠકમાં વિશ્વભરના G20 પ્રતિનિધિઓને આવકારવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે મત્સ્યઉદ્યોગ અને પ્રવાસન, આર્થિક કલ્યાણ અને કાર્યક્ષમ સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવા પર તેમના મંતવ્યો જણાવ્યા હતા.ભારતની જી-20 મુલાકાતને દર્શાવતા એક સપ્તાહના પ્રદર્શનનું પણ દીવમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ભારતના G20 શેરપા અમિતાભ કાંત, કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ ડૉ. શ્રીવરી ચંદ્રશેખર, કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ, દમણ અને દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલ ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ G20 RIIG કોન્ફરન્સનું સંકલન પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા કરવામાં આવી રહ્યું છે.
તમામ પ્રતિનિધિઓ ગીર નેશનલ પાર્ક અને ગુજરાતના પ્રખ્યાત સોમનાથ મંદિરની મુલાકાત લેશે
અગાઉ, રિસર્ચ એન્ડ ઇનોવેશન ઇનિશિયેટિવ કોન્ફરન્સ (RIIC) માં ભાગ લેવા પહોંચેલા G20 પ્રતિનિધિઓનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે તમામ પ્રતિનિધિઓ ગીર નેશનલ પાર્ક અને ગુજરાતના પ્રખ્યાત સોમનાથ મંદિરની મુલાકાત લેશે. અગાઉની RIIG કોન્ફરન્સ ફોર સસ્ટેનેબલ એનર્જી, સર્ક્યુલર બાયો-ઈકોનોમી ફોર એનર્જી ટ્રાન્ઝિશન અને ઈકો-ઈનોવેશન રાંચી, દિબ્રુગઢ અને ધર્મશાળામાં યોજાઈ ચૂકી છે.