'15 ઓગસ્ટે ત્રિરંગો ફરકાવતા નહીં' આતંકવાદી પન્નુની ધમકી
- પન્નુની ધમકી, પંજાબમાં તિરંગાને લઈને તણાવ વધારવાનો પ્રયાસ
- પન્નુનો વિવાદાસ્પદ નિવેદન, ભારત સરકારને પડકાર
- પન્નુનો ઉગ્ર સ્વર, પંજાબમાં તિરંગાને લઈને ધમકી
ખાલિસ્તાની સમર્થક અને આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને ધમકી આપી છે. પન્નુ, જે શીખ ફોર જસ્ટિસ (SFJ) સંસ્થાનો મુખ્ય સહયોગી છે, તેણે કહ્યુ છે કે પંજાબ ભારતનો ભાગ નથી, તેથી મુખ્યમંત્રીને પંજાબમાં તિરંગો ન ફરકાવવો જોઈએ. પન્નુએ એવો દાવો કર્યો છે કે તિરંગાના નેતૃત્વ હેઠળ શીખો પર અન્ન્યાય થયા છે અને પંજાબના ખેડૂતોની દયનીય સ્થિતિ માટે ભગવંત માનની સરકાર જવાબદાર છે.
પન્નુનું વિવાદાસ્પદ નિવેદન
પન્નુએ એક વીડિયો દ્વારા આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, જેમાં તેણે 15 ઓગસ્ટને શીખો અને પંજાબનો સ્વતંત્રતા દિવસ ન ગણાવતાં, મુખ્યમંત્રી ભગવંત માનને ખાસ ધમકી આપતા જલંધરમાં તિરંગો ન ફરકાવવા કહ્યું છે. પન્નુએ કહ્યું છે કે ભારતના તિરંગા હેઠળ શીખોનો નરસંહાર થયો છે અને શીખ ખેડૂતોની આત્મહત્યા માટે ભગવંત માનને જ જવાબદાર ગણાવ્યા છે. આતંકવાદી પન્નુએ તિરંગો ફરકાવનારી કોઈ પણ વ્યક્તિને રોકવા માટે 1 કરોડ રૂપિયાની લાલચ આપી છે. પન્નુએ આ ધમકી ભરી જાહેરાતમાં જણાવ્યું કે 15 ઓગસ્ટ શીખોનો સ્વતંત્રતા દિવસ નથી અને પંજાબને ભારતથી અલગ કરવાના પ્રયાસોમાં તે પોતાનું દાવ ચલાવી રહ્યો છે. ગુરપતવંત સિંહ પન્નુ, જે કેનેડામાં હત્યા થયેલા આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરનો સહયોગી હતો, તે ભારત વિરુદ્ધ ઝેર ઓકતો રહે છે. નિજ્જરની હત્યા પછી પન્નુના ભારત વિરોધી અભિપ્રાયો વધુ તીવ્ર બન્યા છે અને તે વિવિધ શહેરોમાં દેશ વિરોધી નારા લખવાનું અને શીખોને ઉશ્કેરવાનું કામ કરી રહ્યો છે.
ભારતે પન્નુને સત્તાવાર રીતે આતંકવાદી જાહેર કર્યો હતો
પન્નુએ શીખો માટે 2020ના જનમત આંદોલનનો પ્રારંભ પણ કર્યો હતો, જેમાં તે શીખોને અલગ ખાલિસ્તાન રાજ્ય માટે મત આપવાની અપીલ કરી રહ્યો છે. 2019માં, ભારત સરકારે શીખ ફોર જસ્ટિસ (SFJ)ને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ હેઠળ પ્રતિબંધિત કરી હતી, અને 1 જુલાઈ 2020ના રોજ ગુરપતવંત સિંહ પન્નુને સત્તાવાર રીતે આતંકવાદી જાહેર કર્યો હતો.
આ પણ વાંચો: વિપક્ષના વલણથી નારાજ રાજ્યસભાના અધ્યક્ષ Jagdeep Dhankhar, કહ્યું- 'રોજ મારું અપમાન થાય છે...'