મોબ લિંચિંગ પર મૃત્યુદંડ, દેશ વિરુદ્ધ બોલવા પર જેલ, લોકસભામાં નવા ક્રિમિનલ લો પર અમિત શાહનું નિવેદન
લોકસભામાં બુધવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) ત્રણ નવા ફોજદારી કાયદો બિલ પર મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા (CRPC) માં પહેલા 484 કલમો હતી, હવે 531 હશે. 9 નવી કલમો ઉમેરવામાં આવી છે. જ્યારે 39 નવા સબ સેક્શન જોડવામાં આવ્યા છે.
મોબ લિંચિંગ ઘૃણાસ્પદ છે : અમિત શાહ
અમિત શાહે વધુમાં જણાવ્યું કે, CRPCની 177 કલમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જ્યારે 44 નવા પ્રોવિઝન અને સ્પષ્ટીકરણ ઉમેરવામાં આવ્યા છે. 35 સેક્શનમાં ટાઇમ લાઇન જોડવામાં આવી છે અને 14 કલમોને દૂર કરવામાં આવી છે. મોબ લિંચિંગ મામલે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, મોબ લિંચિંગ ઘૃણાસ્પદ છે અને અમે આ કાયદામાં મોબ લિંચિંગના ગુના માટે મૃત્યુદંડની જોગવાઈ કરી રહ્યા છીએ. પરંતુ, હું વિપક્ષથી પૂછવા માગુ છું કે તમે (કોંગ્રેસ) વર્ષો સુધી દેશ પર શાસન કર્યું છે, તમે મોબ લિંચિંગ પર કાયદો કેમ બનાવ્યો નથી? ગૃહ મંત્રીએ વિપક્ષ પર હુમલો કરતા કહ્યું કે, તમે મોબ લિંચિંગ શબ્દોનો પ્રયોગ માત્ર ને માત્ર સરકાર પર આક્ષેપ કરવા માટે કર્યો છે. પરંતુ, સત્તામાં રહ્યા ત્યારે કાયદો ઘડવાનું ભૂલી ગયા.
રાજદ્રોહ જેવા અંગ્રેજોના કાળા કાયદાનો અંત આણ્યો
ગૃહમંત્રી અમિત શાહે સદનમાં માહિતી આપી કે, આ ગૃહમાં મંજૂરી બાદ CRPCનું સ્થાન ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા 2023 (CRPC-2023) લેશે. ઉપરાંત, ભારતીય પુરાવા અધિનિયમ (એવિડેન્સ એક્ટ-1872) ની જગ્યાએ ભારતીય પુરાવા બિલ 2023 અમલમાં મૂકાશે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, ગૃહમંત્રીએ લોકસભામાં રાજદ્રોહ જેવા અંગ્રેજોના કાળા કાયદાનો અંત આણ્યો છે. તેની જગ્યાએ દેશદ્રોહ કાયદો લાવવામાં આવ્યો છે. દેશ વિરુદ્ધ બોલવું હવે ગુનો હશે. જ્યારે સશસ્ત્ર બળવો કરવા માટે જેલ થશે.
આ પણ વાંચો - Land For Job Scam: ED એ લાલુ યાદવ અને ડિપ્ટી CM તેજસ્વી યાદવને પાઠવ્યાં સમન્સ