જાણી લો...ઉનાળામાં શરીરને ઠંડક અને પોષણ આપતા વિવિધ રાયતાની રેસિપી
- રાયતાથી શરીરને જરૂરી એવી ઠંડક અને તાજગી પણ મળી રહે છે
- ફળોના રાયતામાં સ્વાદ અનુસાર ચાટ મસાલો પણ એડ કરી શકાય છે
- બુંદી રાયતુ અબાલ વૃદ્ધ સૌ કોઈને પ્રિય છે
અમદાવાદઃ શિયાળા કરતા ઉનાળામાં માનવીની ખોરાક લેવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. ગરમીને કારણે માનવી પ્રવાહી આહારનો ઉપયોગ વધુ કરે છે. આવા કિસ્સામાં ગૃહિણીને ઘરના સભ્યો માટે શું રાંધવું તે જ એક મોટો પડકાર હોય છે. જો કે આ સમસ્યાનું સરળ નિરાકરણ અમે આપની માટે અહીં લાવ્યા છીએ. આજે અમે આપને એક એવી પ્રવાહી વાનગી વિશે જણાવીશું જે ખટમીઠી હોવાથી અબાલવૃદ્ધ સૌ કોઈ હોંશે હોંશે આરોગશે. આ વાનગી સ્વાદિષ્ટ હોવા ઉપરાંત આરોગ્ય માટે પણ ગુણકારી હોવાથી બાળકોથી લઈ વડીલો સુધી કોઈ પણ વિનાની ચિંતા વિના ખાઈ શકે છે. આ વાનગી એટલે દહીના ઘોળવામાંથી બનતા વિવિધ પ્રકારના રાયતા.
પોષણ અને તાજગી પૂરા પાડે છે રાયતા
રાયતા માત્ર સ્વાદ માટે જ નહિ પરંતુ આરોગ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આ વાનગી શરીરને પોષણ અને તાજગી પૂરા પાડે છે. રાયતા પાચનતંત્રને પણ મજબૂત બનાવે છે. વૈદોથી લઈને ડાયેટિશિયન દ્વારા રાયતા આરોગ્યપ્રદ હોવાનું કહેવામાં આવે છે.
વિવિધ રાયતા અને તેની રેસિપી
કાકડી રાયતુઃ
ઉનાળામાં કાકડી રાયતુ ખાવાનું બહુ પ્રચલિત છે. કાકડી અને તાજા દહીંથી શરીરને ઉનાળાની ગરમીમાં ઠંડક મળી રહે છે. આ રાયતુ શરીરને પાચનક્રિયામાં મદદરૂપ થાય છે. આ રાયતુ બનાવવા માટે કાકડીને છીણીને તાજા દહીંના ઘોળવામાં સ્વાદ અનુસાર મીઠું-મરચું-જીરૂં અને સિંધાલૂણ નાખી શકો છો.
આ પણ વાંચોઃ Protein Side Effects: શું વધુ પડતુ પ્રોટીન તમારા સ્વાસ્થ્ય માટે સારું છે કે નહીં? જાણો
બુંદી રાયતુઃ
નાના બાળકોથી મોટેરાઓ સુધીના સૌથી વધુ પ્રિય રાયતુ હોય તો તે છે બુંદી રાયતુ. આ રાયતામાં તાજા દહીંના ઘોળવા સાથે બુંદી મિક્સ કરેલ હોવાથી શરીરને ઊર્જા મળી રહે છે. આ ઉપરાંત ચણાના લોટની બનેલી કરકરી બુંદીમાંથી આ રાયતુ બનતું હોવાથી બહુ સ્વાદિષ્ટ હોય છે. આ રાયતુ બનાવતી વખતે તાજા દહીંના ઘોળવામાં પ્રમાણસર કરકરી બુંદી ઉમેરવી. તેમાં સ્વાદ અનુસાર મંદ પ્રમાણમાં મસાલા ઉમેરવા. થોડી બુરૂ ખાંડ પણ આ રાયતામાં ઉમેરી શકાય છે.
ફળોનું રાયતુઃ
કેળા, સફરજન, દાડમ વગેરે જેવા ફળોથી બનતું આ રાયતુ દરેકને પ્રિય હોય છે. આ રાયતામાં જરૂર અનુસાર મધ ઉમેરવાથી શરીરને જરૂરી સ્નિગ્ધતા પણ મળી રહે છે. આ રાયતુ બનાવવા માટે દહીંના તાજા ઘોળવામાં આ ફળોને છીણીને કે નાના ટુકડા કરીને સારી રીતે મિક્સ કરો. આ રાયતામાં સ્વાદ અનુસાર ચાટ મસાલો પણ એડ કરો. આ રાયતામાં રાઈના કુરિયા પણ નાંખી શકાય છે. આ રાયતુ ફ્રિજમાં ઠંડુ કરીને પણ ખાઈ શકાય છે. ફળોના રાયતામાંથી શરીરને જરૂરી એવા આયર્ન, કેલ્શિયમ અને વિવિધ વિટામીન પણ મળી રહે છે.
રાયતા સંદર્ભે કેટલીક તકેદારી
રાયતા નિઃશંકપણે એક આરોગ્યપ્રદ વાનગી છે પરંતુ આ વાનગી બનાવતી વખતે કેટલીક તકેદારી રાખવી ખૂબ જરૂરી છે. જેમાં રાયતા બનાવવા હંમેશા તાજા દહીંનો ઉપયોગ કરવો. રાયતા બનાવતી વખતે તીખા તમતમતા અને સાંદ્ર મસાલાને બદલે હંમેશા મંદ મસાલાનો ઉપયોગ કરવો. રાયતું હંમેશા તાજુ ખાવાનો આગ્રહ રાખવો. લાંબા સમયથી પડી રહેલા રાયતા ખાવા હિતાવહ નથી. જો આપને ખાટા ફળોની એલર્જી, અલ્સર કે એસિડીટી જેવા રોગો થતા હોય તો ડાયેટિશિયનની સલાહ અનુસાર રાયતાને આરોગવું જોઈએ.
આ પણ વાંચોઃ LUNCH અને DINNER વચ્ચે યોગ્ય સમયનું અંતર નહિ રાખો તો થઈ શકે છે આ રોગો...