Nepal : નવા વર્ષની શરૂઆત પહેલા નેપાળમાં ધરા ધ્રુજી, ઉજવણી કરતા લોકોમાં ફેલાયો ફફડાટ!
સમગ્ર વિશ્વમાં હાલ નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે નેપાળથી (Nepal) મોટા સમાચાર આવ્યા છે. નેપાળમાં ફરી એકવાર ધરા ધ્રૂજી છે. નવા વર્ષની શરૂઆત પહેલા જ નેપાળમાં ફરી એકવારમાં ભૂકંપના આંચકા લોકોએ અનુભવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, નેપાળમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર સિંધુપાલચોકના લિસ્ટિકોટમાં હોવાનું કહેવાઈ રહ્યું છે. અહીં રાત્રે 10.21 વાગ્યે ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 નોંધવામાં આવી હતી. હાલમાં કોઈ જાન-માલના નુકસાનની માહિતી નથી.
ભૂકંપના (Earthquakes) આંચકા અનુભવાતા જ નવા વર્ષની ઉજવણી કરતા લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો. જણાવી દઈએ કે, નવા વર્ષની ઉજવણી માટે લોકો ઘણી જગ્યાએ એકઠા થયા હતા. દરમિયાન નેપાળના (Nepal) મોટાભાગના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેપાળ ઉપરાંત ભારતના કેટલાક ભાગોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે.
Earthquake of Magnitude 4.3 on the Richter Scale strikes Nepal: National Center for Seismology pic.twitter.com/YAZdmiofh8
— ANI (@ANI) December 31, 2023
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2023 દરમિયાન પણ નેપાળમાં ઘણી વખત ભૂકંપના આંચકા આવ્યા હોવાના સમાચાર આપણી સામે આવી ચૂક્યા છે. નેપાળમાં (Nepal) વર્ષ 2023ની શરૂઆત પણ ભૂકંપ જેવી દુર્ઘટના સાથે થઈ હતી. નેપાળ આ વર્ષે ઘણી વખત ભૂકંપથી હચમચી ગયું હતું. 2023માં અહીં 5.0 ની તીવ્રતાના ડઝનેક ભૂકંપ આવ્યા, જેમાં 24 જાન્યુઆરીએ 5.9 તીવ્રતા, 22 ફેબ્રુઆરીએ 5.2 અને 22 ઓક્ટોબરે 6.1 તીવ્રતાના ભૂકંપનો સમાવેશ થાય છે.
નેપાળમાં 3 નવેમ્બરે પણ ભૂકંપ આવ્યો હતો, જે રાત્રે 11.32 કલાકે 6.4 ની તીવ્રતાનો ભૂકંપ હતો, જેમાં 157 લોકો માર્યા ગયા હતા. સેંકડો મકાનો ધરાશાયી થયા હતા. બીજા દિવસે 4 નવેમ્બરે ફરીથી 4.2ની તીવ્રતાનો આફ્ટરશોક નોંધાયો હતો. નેપાળમાં આજે છેલ્લા દિવસે પણ જે રીતે ભૂકંપના આંચકા અનુભવાયા છે તેનાથી લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. માહિતી મુજબ, રવિવારે રાત્રે લગભગ 10.21 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશન સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 નોંધવામાં આવી હતી.
ઈન્ડોનેશિયામાં પણ ભૂકંપ
ઈન્ડોનેશિયામાં 30 ડિસેમ્બરે ભૂકંપના (Earthquakes) આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપ સમુદ્રની નીચે એક વિક્ષેપ બાદ આવ્યો હતો. અચાનક ભૂકંપ આવતા લોકોના શ્વાસ અટકી ગયા હતા. ગભરાટના કારણે લોકો પોતાનો જીવ બચાવવા માટે ખુલ્લી જગ્યા પર જવા દોડવા લાગ્યા હતા. જોકે સદનસીબે કોઈ મોટું નુકસાન થયું ન હતું. પરંતુ ભૂકંપના કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.