JAPAN : ભૂકંપના કારણે તબાહીનું મંજર, 8ના મોત, 32 હજારથી વધુ ઘરોમાં વીજળી ગુલ! જુઓ Video
જાપાન (JAPAN) માટે નવા વર્ષ 2024 ની શરૂઆત ખૂબ જ દુ:ખદ રહી છે. દુનિયા જ્યારે નવા વર્ષની ઉજવણી કરી રહી હતી તે દરમિયાન જાપાનમાં તબાહીનો મંજર જોવા મળ્યો. સોમવારે જાપાનમાં 7.2ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ (Earthquake) આવ્યો હતો, જેમાં અત્યાર સુધી 8 લોકોના મોત નીપજ્યા હોવાની માહિતી છે, જ્યારે 100 થી વધુ ઘર તબાહ થયા છે. 32 હજારથી વધુ ઘરોમાં વીજળી ગુલ થઈ છે.
જાપાનમાં (JAPAN) આવેલા 7.2 ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપના કારણે લોકોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. જ્યારે કેટલાક લોકો બેઘર થયા છે. એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જાપાનમાં એક દિવસમાં 155 ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુનાઈટેડ ઝૂઓલોજિકલ સરવે અનુસાર, આ ભૂકંપ સ્થાનિક સમય અનુસાર સાંજે લગભગ 4:10 વાગ્યે ઈશિકાવા (Ishikawa) પ્રાન્તના નોટો પ્રાયદ્વીપ (Noto Peninsula) ખાતે આવ્યો હતો. ભૂકંપનો આંચકો 10 કિમીની ઉંડાઈએ અનુભવાયો હતો.
સુનામીની ચેતવણી, 100થી વધુ ઘર-દુકાનોમાં આગ
જાપાનમાં (JAPAN) ધરતી ધ્રૂજતાની સાથે જ કેટલીક ઈમારતો ધરાશાયી થઈ ગઈ, આગ ફાટી નીકળી અને પૂર્વી રશિયા સુધી સુનામીની ચેતવણી જારી કરવામાં આવી, જ્યારે જાપાનના (JAPAN) દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સ્થળાંતર કરવાનો આદેશ આપવામાં આવ્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભૂકંપના કારણે 100 થી વધુ ઘર અને દુકાનોમાં આગ લાગી હતી. આગની ચપેટમાં દુકાનો અને ઘર બળીને ખાખ થયા હતા.
32 હજારથી વધુ ઘરોમાં વીજળી ગુલ
જાપાનમાં (JAPAN) ભૂકંપના કારણે ઇશિકાવા (Ishikawa) પ્રાન્તના વાજિમા શહેરમાં આગ ફાટી નીકળી હતી અને 32 હજારથી વધુ ઘરોમાં વીજળી ગુલ થઈ હતી. હવામાન એજન્સીએ શરૂઆતમાં ઈશિકાવા માટે મોટી સુનામીની ચેતવણી પણ જારી કરી હતી. જાપાનના વડા પ્રધાન ફુમિયો કિશિદાએ (Fumio Kishida) સોમવારે રાત્રે સંબંધિત અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તેમણે મીડિયાને કહ્યું હતું કે, મેં બચાવ દળ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને શક્ય તેટલી વહેલી તકે ઘટનાસ્થળે પહોંચવાની સૂચના આપી છે. અત્યારે ઠંડી ચરમસીમાએ છે. મેં અધિકારીઓને એરક્રાફ્ટ, જહાજોનો ઉપયોગ કરવા અને તરત જ પાણી, ખોરાક, ધાબળા, ગરમ તેલ, ગેસોલિન અને અન્ય જીવન જરૂરિયાત આવશ્યક વસ્તુઓની સપ્લાય કરવાની સૂચના આપી છે.