Iran : ભૂતપૂર્વ જનરલ સુલેમાનીની કબર પાસે બે બોમ્બ વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને 100ને પાર
ઈરાનમાં (IRAN) ભૂતપૂર્વ જનરલ કાસિમ સુલેમાનીની (QASEM SOLEIMANI) કબર પાસે બુધવારે બે ઘાતક વિસ્ફોટ થયા હતા, જેમાં મૃતકોની સંખ્યા વધીને હવે 103 થઈ ગઈ છે, જ્યારે 170 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. સુલેમાનીની ચોથી પુણ્યતિથિ પર આયોજિત એક કાર્યક્રમને નિશાન બનાવીને આ વિસ્ફોટ કરવામાં આવ્યા હતા.
ઈરાનના સરકારી ટેલિવિઝને આ વિસ્ફોટોને આતંકવાદી હુમલા ગણાવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ હુમલા એવા સમયે થયા છે જ્યારે ઈરાનના (IRAN) સહયોગી અને હમાસના નંબર ટુ કમાન્ડર સાલેહ અલ-અરૂરીની બેરૂત ડ્રોન હુમલામાં મોત થઈ હતી. ઈરાનમાં આ હુમલા કરમાન શહેરમાં સાહેબ અલ-ઝમાન મસ્જિદ પાસે થયા હતા, જ્યાં સુલેમાનીની કબર આવેલી છે અને તેમના મૃત્યુની ચોથી વર્ષગાંઠ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. પહેલો વિસ્ફોટ ઈરાનના કરમાન શહેરમાં પૂર્વ ઈરાની આર્મી જનરલ સુલેમાનીની કબર પાસે થયો હતો. જે બાદ બીજો વિસ્ફોટ થયો હતો.
રિમોટ કંટ્રોલથી વિસ્ફોટ કરાયો
કરમાનના (Karman) ડે. ગવર્નરે આ વિસ્ફોટોને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. ઈરાનની સરકારી સમાચાર એજન્સીએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, ઘટનાસ્થળે બે બેગમાં બોમ્બ હતા, જેમાં બ્લાસ્ટ થયો હતો. એવું લાગે છે કે આ બોમ્બને રિમોટ કંટ્રોલની મદદથી વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. કરમાનના મેયર સઈદ તબરીજીનું કહેવું છે કે આ બોમ્બ વિસ્ફોટ 10 મિનિટના અંતરાલમાં થયા હતા. વિસ્ફોટ બાદ ભીડમાં જે નાસભાગ મચી છે તે ઘટનાના ઓનલાઈન ફૂટેજમાં જોઈ શકાય છે.
સૌજન્ય- Google
નાસભાગમાં અનેક ઘવાયા
આ બોમ્બ હુમલા બાદ સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી. કહેવાય છે કે નાસભાગને કારણે ઘણા લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઘણા અહેવાલોમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કબ્રસ્તાન તરફ જતા રસ્તા પર ગેસના કેટલાય કન્ટેનર પણ ફાટ્યા હતા. પરંતુ સ્થાનિક અધિકારીએ આ મામલે હજુ સુધી કોઈ પુષ્ટિ કરી નથી. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે વિસ્ફોટ ગેસ સિલિન્ડરથી થયો હતો કે અન્ય કોઈ વસ્તુથી. આ ઘટનાને આતંકવાદી હુમલો પણ માનવામાં આવી રહ્યો છે.
ઇઝરાયેલ પર આરોપ
કરમાન પ્રાંતના ઈરાની સાંસદ હુસૈન જલાલીએ કહ્યું કે, આ બેવડા વિસ્ફોટ માટે ઈઝરાયેલ ચોક્કસપણે જવાબદાર છે. સુલેમાનીની કબર પર થયેલા આ વિસ્ફોટોમાં અત્યાર સુધીમાં 103 લોકોના મોત થયા છે જ્યારે 170 લોકો ઘાયલ થયા છે.
કેવી રીતે થયું હતું ભૂતપૂર્વ જનરલનું મોત?
ભૂતપૂર્વ જનરલ સુલેમાની 3 જાન્યુઆરી, 2020 ના રોજ બગદાદ એરપોર્ટ પર યુએસ ડ્રોન હુમલામાં માર્યા ગયા હતા. સુલેમાની ઈરાનમાં (IRAN) એક શક્તિશાળી વ્યક્તિત્વ હતા. તેઓ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેની પછી દેશના બીજા સૌથી શક્તિશાળી વ્યક્તિ માનવામાં આવતા હતા. તે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સની વિદેશી ઓપરેશન શાખા કુડ્સ ફોર્સનો કમાન્ડર હતા. તે ઈરાનના ઈન્ટેલિજન્સ મિશન સાથે સંકળાયેલા હતા. તેમણે હમાસ અને હિઝબુલ્લાહ તેમ જ ઘણી સહયોગી સરકારો અને સશસ્ત્ર જૂથોને પણ માર્ગદર્શન આપ્યું હતું. સાલ 2020 માં, ટ્રમ્પે સુલેમાનીના મૃત્યુને સૌથી મોટી જીત ગણાવી અને તેને વિશ્વનો નંબર વન આતંકવાદી પણ ગણાવ્યો.
આ પણ વાંચો - Iran Blast : ઈરાનમાં પૂર્વ જનરલ સુલેમાનીની કબર પાસે બે બ્લાસ્ટ, 70 થી વધુ લોકોના મોત