બદલાતા સમય અને સોશિયલ મીડિયાના કારણે દિવાળીની શુભેચ્છા ગ્રીટિંગ કાર્ડની વર્ષો જૂની પરંપરા વિસરાઈ
અહેવાલ - નામદેવ પાટીલ
દિવાળી પર્વ પૂર્વે રંગબેરંગી અને સુંદર લખાણ સાથેના ગ્રીટીંગ કાર્ડ થકી નુતનવર્ષ અને દિવાળીની શુભકામનાઓ પાઠવવાની વર્ષો જૂની પરંપરા હવે વિસરાઈ રહી છે. બદલાતા સમય સાથે હવે સોશિયલ મીડિયાના માધ્યમથી હવે સંદેશા મોકલવાનું શરૂ થયું છે. જેની સીધી અસર વેપારીઓ, કુરિયર-પોસ્ટ ઓફીસ અને પ્રિન્ટિંગ ઉદ્યોગને પડી છે. આ સાથે વર્તમાન યુવા પેઢી ગ્રીટિંગ કાર્ડ અને વર્ષો જૂની પરંપરાથી જાણે અજાણ હોય એમ લાગી રહ્યું છે.
સમય સાથે દરેક વસ્તુમાં બદલાવ આવી રહ્યો છે સાથે જ આધુનિક ઉપકરણોના માધ્યમથી વર્તમાન સમય ખૂબ જ ફાસ્ટ બન્યો છે. પરંતુ ઝડપી બની રહેલા સમયની સાથે તહેવારોની અસ્મિતા અને આત્મીયતાનો ભાવ ક્યાંક અને ક્યાંક વિસરાતો જોવા મળી રહ્યો છે. આ જ સ્થિતિ હાલ સોશિયલ મીડિયાને લઈ દિવાળી અને નૂતન વર્ષના અભિનંદન શુભેચ્છા પાઠવતાં ગ્રીટીંગ કાર્ડની જોવા મળી રહી છે. વર્ષો અગાઉ દિવાળી પૂર્વે ગ્રીટીંગ કાર્ડ થકી પોતાના સ્નેહીજનોને શુભકામનાઓ પાઠવવાની પરંપરા હાલ સંપૂર્ણપણે વિસરાઈ રહી છે અને જેનું સ્થાન whatsapp, facebook અને instagram જેવી સોશિયલ મીડિયાની એપ્લિકેશનોએ લઈ લીધું છે જેની સીધી અસર ગિફ્ટ શોપના વેપારીઓ પર જોવા મળી રહી છે. જોકે આજની યુવા પેઢી કદાચ ગ્રીટીંગ કાર્ડની જાણકારીથી પણ દૂર હશે એમ કહેવું પણ અતિશયોક્તિ નથી. આજે પણ વડીલો યુવા પેઢીને વિસરાઈ રહેલી પરંપરા માટે જાગરૂકતા લાવવા અપીલ કરી રહ્યા છે.
વર્ષોથી તહેવાર અને પ્રસંગમાં આમંત્રણ આપવા અથવા શુભેચ્છાઓ પાઠવવા માટે ગ્રીટીંગ કાર્ડ, કંકોત્રીનો ઉપયોગ કરવામાં આવતો હતો સાથે જ સ્નેહીજનો પણ આતુરતાપૂર્વક પોતાના સ્વજન અથવા સ્નેહીજનની શુભેચ્છાઓ તેમજ આમંત્રણ પત્રિકાની કાગડોળે રાહ જોતાં હતા અને જેનું માધ્યમ પોસ્ટ ઓફિસ અને પોસ્ટમેન બન્યા હતા. પરંતુ સમય સાથેના બદલાવે પોસ્ટમેનનું સ્થાન કુરિયર સર્વિસે લીધું હતું. ત્યારબાદ હવે સતત બદલાઈ રહી રહેલી વર્તમાન સ્થિતિ વચ્ચે આ તમામ બાબત વિસરાઇ રહી છે અને તેનું સ્થાન હવે સોશિયલ મીડિયાએ લીધું છે. દિવસો બાદ પહોંચતા ગ્રીટીંગ્સ કાર્ડ, આમંત્રણ પત્રિકા અને કંકોત્રી વગેરે હવે લોકો એક જ સેકન્ડમાં એક સાથે વધુ વ્યક્તિઓ સુધી પહોંચાડવામાં સરળતા રહેતી હોવાથી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. જોકે, સમય સાથે બદલાવ અને પરિવર્તન પણ જરૂરી છે. પરંતુ સોશિયલ મીડિયાએ હાલ લીધેલા સ્થાનમાં સંબંધો વચ્ચેની આત્મીયતા ચોક્કસ ઘટી રહી હોવાનું જોવા મળી રહ્યું છે.
મેસેજ અથવા ફોન થકી થતી મુલાકાતો બાદ વ્યક્તિઓ કે મિત્રો એકબીજાને રૂબરૂ પ્રત્યક્ષ મળવાનું હવે વિસરી રહ્યા છે એવું હાલની સર્જિત સ્થિતિ થકી જોવા મળી રહ્યું છે. માત્ર આમંત્રણ કે શુભેચ્છાઓ માટેનું માધ્યમ સોશિયલ મીડિયા બન્યું છે એમ નથી પરંતુ હાથ વગા બનેલા મોબાઈલ ફોનને લઈ હવે મહત્તમ ખરીદી પણ યુવા પેઢી ઓનલાઇન એપ્લિકેશનના માધ્યમથી કરી રહી છે. જેની સીધી અસર બજારમાં દુકાન લઈ બેઠેલા વ્યાપારીઓ ઉપર પણ જોવા મળી રહી છે. અગાઉ ઢગલાબંધ વેચાતા દિવાળીના ગ્રીટીંગ કાર્ડ હવે કેટલાક વેપારીઓએ તો દુકાનમાં વેચાણ માટે રાખવાનું જ બંધ કરી દીધું છે તો કેટલાક વેપારીઓ જણાવી રહ્યા છે કે માંડ એક ટકા ગ્રાહક પણ ખરીદી માટે આવતો નથી જેથી અમારા ધંધા રોજગારને માઠી અસર પહોંચી રહી છે.
આ પણ વાંચો - દિવાળીમાં વર્ષોની પરંપરા વિસરાઈ, આ વ્યવસાયને તહેવારમાં પડી રહી છે ખૂબ જ અસર, જાણો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે