VADODARA : વિશ્વામિત્રી નદીનું જળસ્તર ઘટવાનું શરૂ, તંત્રને મોટી રાહત
VADODARA : વડોદરા (VADODARA) શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી (VISHWAMITRI RIVER - VADODARA) નું જળસ્તર ઘટવાનું શરૂ થઇ ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે. સવારે 7 - 15 કલાકે વિશ્વામિત્રી નદીની સપાટી 32.50 ફૂટ જોવા મળી રહી છે. ગતરોજ વિશ્વામિત્રી નદીની સપાટી 35 ફૂટની આસપાસ હતી. પાલિકા તંત્ર દ્વારા કેલ્ક્યુલેટેડ રીસ્ક લઇને આજવા સરોવરના દરવાજા બંધ કર્યા બાદ આજે તેના સુખદ પરિણામો ધીરે ધીરે હવે સામે આવી રહ્યા છે. વિશ્વામિત્રી નદીનું જળસ્તર ઘટતા જ કાલાઘોડા બ્રિજ પરનો વાહન વ્યવહાર હાલ ચાલુ કરી દેવામાં આવ્યો છે.
કેલ્ક્યુલેટેડ રીસ્ક લઇને આજવા ડેમના દરવાજા બંધ કરી દીધા
વડોદરા છેલ્લા કેટલાય દિવસથી પૂરની પરિસ્થિતીનો સામનો કરી રહ્યું છે. આ વખતે વરસાદના રેડ એલર્ટને પગલે શહેરની સ્થિતી વધારે ખરાબ થઇ હતી. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. જે વિસ્તારોમાં ક્યારે પણ પાણી ભરાતા ન હતા, ત્યાં પણ આશ્ચર્યજનક રીતે પાણી ભરાઇ ગયા હતા. શહેરની સ્થિતી બેહાલ થતા જ આર્મી, એનડીઆરએફ અને એસડીઆરએફની ટુકડીઓને રાહત અને બચાવ કાર્યમાં જોડવામાં આવી હતી. દરમિયાન પાલિકાના સત્તાધીશો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કેલ્ક્યુલેટેડ રીસ્ક લઇને આજવા ડેમના દરવાજા બંધ કરી દીધા હતા. જે બાદ વિશ્વામિત્રી નદીનું જળસ્તર ઘટે તેવી આશાઓ સેવાઇ રહી હતી.
ધીરે ધીરે વડોદરાનું જનજીવન સામાન્ય થવા તરફ
આ નિર્ણયના સુખદ પરિણામો હાલ ધીરે ધીરે સામે આવી રહ્યા છે. વિશ્વામિત્રી નદીનું જળસ્તર સવારે 7 - 15 કલાકે અંદાજીત 32.50 ફૂટ જોવા મળી રહ્યું છે. વિશ્વામિત્રી નદીનું જળસ્તર કાલ સુધીમાં 35 ફૂટની આસપાસ રહેતું હતું. આજે સવારે પાણી ઓસરવાનું શરૂ થતા જ કાલાઘોડા બ્રિજ પરનો વાહન વ્હવહાર પુન: શરૂ કરી દેવામાં આવ્યો છે. આવનારા 12 કલાકમાં પાણી ભયજનક સપાટી 27 ફૂટની નીચે જાય તેવી વકી છે. આમ, ધીરે ધીરે વડોદરાનું જનજીવન સામાન્ય થવા તરફ જઇ રહ્યું હોવાનું દેખાઇ રહ્યું છે. આખરે વિતેલા ત્રણ દિવસથી પડતી મુશ્કેલીઓ હવે દુર થઇ રહી છે, જેની વાટ વદોદરાવાસીઓ આતુરતાથી જોઇ રહ્યા છે.
આ પણ વાંચો -- VADODARA : ફાયર સ્ટેશનમાં પડેલી દોઢ ડઝન જેટલી બોટ પૂર સમયે પડી રહી !