VADODARA : વિશ્વામિત્રીનું જળળસ્તર વધતા એનાઉન્સમેન્ટ કરી લોકજાગૃતિનો પ્રયાસ
VADODARA : વડોદરા (VADODARA) માં સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે વિશ્વામિત્રી નદીનું જળસ્તર ધીરે ધીરે ઉંચું આવી રહ્યું છે. વડોદરા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે આગામી સમયમાં વિશ્વામિત્રી નદીનું જળ સ્તર ભયજનક સપાટી સુધી આવી પહોંચે તે પહેલા તંત્ર દ્વારા લોકજાગૃતિના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પબ્લીક એનાઉન્સમેન્ટ કરીને લોકો સુધી માહિતી પહોંચાડવામાં આવી રહી છે. વડોદરા તથા આસપાસના જળાશયોમાં પાણીના લેવલ પર તંત્ર બાજ નજર રાખી રહ્યું છે.
પાણીની સપાટી ભયજનક સ્તરે પહોંચવાની શક્યતાઓ
વડોદરામાં ચોમાસું જામ્યું છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર ગતસાંજથી જ વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદના પગલે શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધી રહ્યું છે. વધુ વરસાદની આગાહી હોવાના કારણે વિશ્વામિત્રી નદીમાં પાણીની સપાટી ભયજનક સ્તરે પહોંચવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. તેવામાં તંત્રએ લોકજાગૃતિના પ્રયાસો હાથ ધર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
નીચાણવાળા વિસ્તારોના નાગરીકોને ચેતવણી
શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ફાયર બ્રિગેડ દ્વારા એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે. જેમાં કહેવામાં આવે છે કે, વિશ્વામિત્રી નદીમાં પાણીનું લેવલ વધી રહ્યું છે. જેથી ભયજનક સપાટી સુધી પહોંચવાની શક્યતા છે. જેથી નીચાણવાળા વિસ્તારોના નાગરીકોને ચેતવણી આપવામાં આવે છે. કે સલામત સ્થળે સ્થળાંતર કરવા વિનંતી.
આજવા સરોવરના દરવાજામાંથી પાણી વહી રહ્યું છે
તો બીજી તરફ સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે. આજવા સરોવરના દરવાજામાંથી પાણી વહી રહ્યું છે. જેને કારણે વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધશે તેવી શક્યતાઓ પ્રબળ થઇ રહી છે. ગતરોજ વિશ્વામિત્રી નદીની મુલાકાતે પહોંચેલા મ્યુુનિસિપલ કમિશનર દ્વારા સબ સલામત હોવાની વાત મીડિયા સમક્ષ કરવામાં આવી હતી.
આ પણ વાંચો -- VADODARA : ફતેગંજમાં મોલ બહાર ઝાડની મોટી ડાળખી પડી, લારીને નુકશાન