વડોદરાના દર્શનાર્થીઓને બિહારમાં નડ્યો અકસ્માત, એકનું મોત, બસ ચાલક ફરાર
વડોદરાથી ખાનગી ટ્રાવેલ્સની ટુ બાય ટુ ની બસમાં બિહાર યાત્રાએ ગયેલા 45 જેટલા યાત્રાળુઓની લકઝરી બસને બિહારના ફરાસાઈ ગામ પાસે અકસ્માત નડતા એક મહિલા યાત્રીકનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય 40 જેટલા યાત્રીકોને નાની-મોટી ઇજાઓ પહોંચતા સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જેમાં બે યાત્રીઓને ગંભીર ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માત બાદ ઘાયલ થયેલા તમામ મુસાફરોને અનુમંડલીય હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. તો ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ તાત્કાલિક પહોંચી હતી. મૃતક મહિલાનું નામ હંસાબેન હોવાનું સામે આવ્યું છે. વડોદરાના સાંસદે બિહારના સાંસદ સાથે વાત કરી હતી. તેઓએ ઘાયલોને તમામ મદદ કરવા ખાતરી આપી છે.
મળતી માહિતી અનુસાર, વડોદરાની સ્વામિનારાયણ ટ્રાવેલ્સના મહેશભાઇ સદાશિવ વ્યાસ દ્વારા બિહારના ગયાજી, ગંગાસાગર, જગન્નાથપુરી વગેરે યાત્રાધામોના પ્રવાસનું આયોજન કર્યું હતું. બસમાં 45 જેટલા યાત્રાળુઓ તા. 26 મે, 2023ના રોજ યાત્રાએ જવા માટે નીકળ્યા હતા અને તા. 12 જુન, 2023ના રોજ પરત ફરવાના હતા. આ દરમિયાન યાત્રાળુઓથી ભરેલી બસને ગંગાસાગરથી પરત ફરતા દરભંગાથી 40-50 કિલોમીટર દૂર બસ ખાડામાં ખાબકી હતી.
આ પણ વાંચો : ડ્રાઈવર અને ક્લીનરે જ કરી લેપટોપ ભરેલા કન્ટેનરની ચોરી, પોલીસે 4 આરોપીઓની કરી ધરપકડ