VADODARA : લોકોએ કોર્પોરેટરનો ઘેરાવો કર્યો, ધારાસભ્યએ પ્રશ્નો ઉકેલવાની આપી બાંહેધારી
VADODARA : આજરોજ વડોદરા (VADODARA) ના વહીવટી વોર્ડ નં - 5 માં સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત આવી પહોંચેલા કોર્પોરેટરનો ઘેરાવો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પોલીસ પણ દોડી આવી હતી. પૂર (FLOOD - 2024) સમયે સ્થાનિકોને કોઇ પણ મદદ ના મળી હોવાનું અને તેમના વિસ્તારને કેશડોલના સરવેમાંથી બાકાત રાખવામાં આવ્યો હોવાની ઉગ્ર રજુઆત તમામે એકત્ર થઇને કરી હતી. જો કે, કાર્યક્રમમાં હાજર મહિલા ધારાસભ્ય મનીષાબેન વકીલ દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા માટેની બાંહેધારી આપી હતી. બાદમાં પોલીસના પહેરા વચ્ચે જ ધારાસભ્ય અને કોર્પોરેટરો લોકોની વચ્ચે ફર્યા હતા. આ વોર્ડ પાલિકાના પૂર્વ ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલનો છે.
કોઇ સહાય આવી નથી
આ અંગે સ્થાનિક પૂર પીડિતે જણાવ્યું કે, વડોદરામાં પૂર આવ્યું ત્યારે 70 ટકા શહેર ડુબી ગયું હતું. મારા ઘરમાં અઢી દિવસ સુધી પાણી હતું. અહિંયા કોઇ કોર્પોરેટર જોવા આવ્યા નથી. વોટ્સએપ પર ફોટા મોકલ્યા, રજુઆતો કરી કોઇ જોવા આવ્યું નથી. કોઇ મદદ માટે આવ્યું નથી, કોઇ સહાય આવી નથી. અમારે ત્યાં સરવેની કામગીરી ચાલી રહી છે, તેમાંથી અમારા વિસ્તારને બાકાત રાખવામાં આવ્યો છે.
સેવાસેતુના સ્ટેજ પર શા માટે બેસવા જોઇએ
વધુમાં જણાવ્યું કે, મારે મીડિયાના માધ્યમથી કહેવું છે કે, અમારા વિસ્તારમાં સરવે કેમ કરવામાં નથી આવ્યો, શું અમે કોર્પોરેટરોનો મત નથી આપ્યા, અમારી જોડે અન્યાય કેમ કરી રહ્યા છો. અમારા કોર્પોરેટર પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેન્દ્ર પટેલ, નૈતિક શાહ, પ્રફુલ્લાબેન જેઠવા તથા તેજલબેન વ્યાસ છે. વોટ લેવા આવ્યા બાદથી તેઓ અહિંયા આવ્યા જ નથી. કાઉન્સિલરો કામ ના કરતા હોય તો તેમના પર ધારાસભ્ય મનીષા બેને ધ્યાન રાખવું જોઇએ. સેવાસેતુ કાર્યક્રમ અમારી માટે ખુશીની વાત છે. વોર્ડ નં 5 ના કોર્પોરેટરો પૂરના સમયે કોઇ દેખાયું ન્હતું. તેઓ સેવાસેતુના સ્ટેજ પર શા માટે બેસવા જોઇએ. અમારી આસપાસમાં કોઇ સરવે થયો નથી. ફૂડ પેકેટનો પણ અમને લાભ મળ્યો નથી.
પાણીના કાયમી નિકલ અંગે પ્રયત્નો કરવામાં આવશે
ધારાસભ્ય મનીષા બેન વકીલે (BJP MLA MANISHABEN VAKIL) જણાવ્યું કે, વિસ્તારના લોકોની રજુઆત હતી કે, વરસાદી પાણી ઘરમાં અઢી ફૂટ આવી ગયા હતા. અહિંયા કેશડોલનો સરવે કરવામાં નથી આવ્યો. સરવેની ટીમ અહિંયા આવી ગઇ છે. અને તેઓ સરવે કરી રહ્યા છે. આગામી વર્ષોમાં પાણી ફરી વખત ના આવે તે માટે તેમની વરસાદી કાંસની માંગણી છે. તેના માટે કોર્પોરેટર સાથે વાત કરીને આગળ રજુઆત કરીશું. પાણીના કાયમી નિકલ અંગે પ્રયત્નો કરવામાં આવશે. ધારાસભ્ય તરીકે તેમણે મને જે રજુઆત કરી છે, તે પૂર્ણ કરવામાં આવશે.
આ પણ વાંચો -- VADODARA : પાલિકાની સભામાં શાસક-વિપક્ષ વચ્ચે માત્ર "નિવેદનબાજી"