VADODARA : વડસરમાંથી વધુ 16 લોકોને સલામત બહાર કાઢતું NDRF
VADODARA : વડોદરા (VADODARA) શહેર નજીક વડસર (VADSAR) માં પાણી ભરાવાના કારણે સોસાયટીમાં ફસાયેલા લોકોને સલામત બહાર કાઢવાનું અભિયાન આજ બીજા દિવસે પણ રાષ્ટ્રીય આપદા મોચન દળના જવાનો દ્વારા જારી રાખવામાં આવ્યું હતું. જેમાં ૧૬ વ્યક્તિને બોટમાં બેસાડી બહાર કાઢવામાં આવી હતી.
કોર્પોરેશન દ્વારા ભોજન સહિતની વ્યવસ્થા
વિશ્વામિત્રી નદી (VISHWAMITRI RIVER) ના જળસ્તરમાં વધારો થવાના કારણે પણ વડસરમાંથી લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. ગઇ કાલ ગુરુવારે સ્થાનિક તંત્ર અને એનડીઆરએફ દ્વારા વડસરમાંથી કુલ ૧૦૨ વ્યક્તિને સ્થળાંતરિત કરી આશ્રય સ્થાનમાં રાખવામાં આવી હતી. જેમના માટે કોર્પોરેશન દ્વારા ભોજન સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી.
૧૮૭૭ વ્યક્તિને સ્થળાંતરિત કરવામાં આવ્યા
આપત્તિ વ્યવસ્થાપન નિયંત્રણ કક્ષ પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર ગુરુવાર સુધીમાં કુલ ૨૬૨ વ્યક્તિને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કુલ ૧૮૭૭ વ્યક્તિને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. આ લોકો માટે ભોજન સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી.
એનડીઆરએફની કામગીરી જારી
દરમિયાન, આજ શુક્રવારે સવારે પણ વડસરમાંથી નાગરિકોને સલામત રીતે બહાર કાઢવાની કામગીરી એનડીઆરએફ દ્વારા જારી રાખવામાં આવી હતી. એનડીઆરએફના એક દસ્તાએ વડસરમાંથી કુલ ૧૬ લોકોને રેસ્ક્યુ કર્યા હતા. જેમાં પાંચ પુરુષ, છ મહિલા, ચાર બાળકો અને એક નવજાત બાળકોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો -- VADODARA : જળબંબાકારની સ્થિતી વચ્ચે સૌથી મોટા રાહતના સમાચાર