VADODARA : નારાયણ વિદ્યાલયમાં દુર્ઘટના બાદ 4 ટ્રસ્ટીઓના નિવેદન લેવાયા
VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) ના વાઘોડિયા રોડ પર ગુરુકુળ ચાર રસ્તા પાસે આવેલી નારાયણ વિદ્યાલય (NARAYAN VIDHYALAYA) ની દિવાલ રિસેસ સમયે ધરાશાઇ થઇ હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ચાર વિદ્યાર્થીઓને નાની-મોટી ઇજાઓ પહોચી હતી. જે બાદ શાળા સંચાલકો સામે કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, કપુરાઇ પોલીસ મથકમાં ભાજપના કોર્પોરેટરના પિતા સહિત ચાર ટ્રસ્ટીઓના નિવેદન લેવામાં આવ્યા છે. આ શાળામાં કુલ સાત ટ્રસ્ટીઓ હોવાનું જાણવા મળી રહ્યું છે. આવનાર સમયમાં બાકીના ટ્રસ્ટીઓના પણ નિવેદન લેવામાં આવશે.
ચાર જેટલા વિદ્યાર્થીઓને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી
વડોદરાની નારાયણ વિદ્યાલયમાં અચાનક રિસેસ સમયે દિવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાના સીસીટીવીમાં સ્પષ્ટ જોવા મળ્યું કે, દિવાલની નજીક વિદ્યાર્થીઓ લંચ બોક્સ હાથમાં લઇને જમી રહ્યા છે. દરમિયાન અચાનક દિવાલ ધરાશાયી થવાના કારણે વિદ્યાર્થીઓ અને બેન્ચ નીચે પડે છે. આ ઘટનામાં ચાર જેટલા વિદ્યાર્થીઓને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. ઘટના બાદ પોલીસ, ડીઇઓ તથા પાલિકા દ્વારા શાળા સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. તો બીજી તરફ વડોદરા પેરેન્ટ્સ એસોસિયેશન દ્વારા શાળાની મંજુરી રદ્દ કરવા સહિતની કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
મંડળમાં કુલ 7 ટ્રસ્ટીઓનો સમાવેશ
દરમિયાન તાજેતરમાં શ્રી સારશ્વત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચિલત નારાયણ વિદ્યાલયના ટ્રસ્ટીઓના કપુરાઇ પોલીસ મથકમાં નિવેદન લેવામાં આવ્યા છે. જેમાં સુત્રોના જણાવ્યા અનુસાર, ભાજપના વોર્ડ નં - 5 ના કોર્પોરેટર નૈતિક શાહના બિલ્ડર પિતા દક્ષેશ શાહ તથા આર. સી. પટેલ, મુકુંદ પટેલ અને સી. એમ. શાહને કપુરાઇ પોલીસ મથકમાં બોલાવીને નિવેદન લેવામાં આવ્યા છે. આ શાળાના ટ્રસ્ટી મંડળમાં કુલ 7 ટ્રસ્ટીઓનો સમાવેશ થાય છે. જે પૈકી 4 ના નિવેદન લેવામાં આવ્યા છે. બાકીના 3 ટ્રસ્ટીઓના પણ નિવેદન ટુંક સમયમાં લેવામાં આવશે. હવે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેશે.
આ પણ વાંચો -- VADODARA : ભાજપના ધારાસભ્ય વિરૂદ્ધ લખતા અગ્રણીનો પિત્તો ગયો