VADODARA : જુનીગઢીના ગણેશજીની વિસર્જન યાત્રા શરૂ, પોલીસનો લોખંડી બંદોબસ્ત
VADODARA : વડોદરા (VADODARA) ના જુનીગઢી મિત્ર મંડળ દ્વારા બિરાજમાન ગણેશજીની વિસર્જન યાત્રા શરૂ થઇ ગઇ છે. યાત્રા સંવેદનશીલ વિસ્તારોમાંથી પસાર થતી હોવાના કારણે ઠેર ઠેર લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગતરોજ પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર ખુદ જુની ગઢીના ગણેશજીની વિસર્જન યાત્રાના રૂટ પર ફૂટ પેટ્રોલીંગમાં જોડાયા હતા. જુની ગઢીના ગણેશજીનું સાતમાં દિવસે વિસર્જન થાય છે. અને પોલીસ તંત્ર માટે આ વિસર્જન લીટમસ પેપર સમાન ગણાવામાં આવે છે. કોઇ પણ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસે રૂટ પર તમામ તાકાત જોખી દીધી છે. આ વખતે કલકી અવતાર થીમ પર ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી.
યાત્રા સંવેદનશીલ વિસ્તારોમાંથી પસાર થઇને નવલખી મેદાન પહોંચશે
વડોદરાના સૌથી જુના અને જાણીતા જુની ગઢી મિત્ર મંડળ દ્વારા સ્થાપિત ગણેશજીની વિસર્જન યાત્રા શરૂ થઇ ગઇ છે. યાત્રા શરૂ થાય તે પહેલા જ શહેરના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા અન્ય દ્વારા મહા આરતી કરવામાં આવી હતી. જુનીગઢી ગણેશજીના વિસર્જનની યાત્રા પોલીસ માટે લીટમસ ટેસ્ટ સમાન ગણવામાં આવે છે. ભૂતકાળમાં જુની ગઢીના ગણેશજીની વિસર્જન યાત્રામાં અનિચ્છનિય ઘટના સામે આવી હતી. જો કે, છેલ્લા ઘણા સમયથી પોલીસના પ્રયાસોના કારણે તેનું પુનરાવર્તન થયું નથી. આ ગણેશજીની વિસર્જન યાત્રા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાંથી પસાર થઇને નવલખી મેદાન ખાતે આવેલા કૃત્રિમ તળાવ પહોંચશે.
અશ્વદળ અને ડ્રોનની વિશેષ તૈનાતી કરવામાં આવી
વિસર્જન યાત્રાના રૂટ પર પોલીસનો લોખંડી બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. પોલીસે અશ્વદળ અને ડ્રોનની વિશેષ તૈનાતી કરી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. જરૂર જણાય ત્યાં રૂટ પર પોલીસ દ્વારા પતરા મારીને અવર-જવર નિષેધ કરી દેવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે વડોદરા શહેર ઉપરાંત અન્ય અધિકારીઓની ખાસ તૈનાતી કરવામાં આવી છે.
આ પણ વાંચો -- AHMEDABAD : વિનાયકગ્રુપ દ્વારા સ્થાપિત ગણેશજીની મૂર્તિ બંગાળી કારીગરોએ તૈયાર કરી