VADODARA : વિશ્વામિત્રી રી-ડેવલોપમેન્ટના દ્વાર ખુલ્યા, ગૃહમંત્રીની મોટી જાહેરાત
VADODARA : વડોદરા (VADODARA) વિતેલા કેટલાય દિવસોથી પૂરની પરિસ્થિતીનો સામનો કરી રહ્યું હતું. તેવામાં ગતરોજથી પૂરના પાણી ઓસરતા શહેરમાં સઘન સ્વચ્છતા ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. ગતરોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (GUJARAT CM - BHUPENDRA PATEL) અને રાજ્યના ગૃહમંત્રી તથા વડોદરાના પ્રભારી મંત્રી હર્ષભાઇ સંઘવી (HOME MINISTER OF GUJARAT HARSH SANGHAVI) મુલાકાતે આવ્યા હતા. તેમણે પૂરગ્રસ્તોની મુલાકાત લઇને મોડી રાત્રે મોટી જાહેરાત કરી હતી. હર્ષભાઇ સંઘવીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી દ્વારા વડોદરાના સૌ નાગરિકો માટે ગણતરીની સેકંડોમાં નાગરિકોના હિતમાં પ્રોજેક્ટની સૈદ્ધાંતિક મંજૂરી આપવાની સાથે રૂ. 1200 કરોડ સૈદ્ધાંતિક મંજુર કરાયા છે. આમ, શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના રી-ડેવલોપમેન્ટના દ્વાર ખુલ્યા હોવાનું હાલ લાગી રહ્યું છે.
ગણતરીની સેકંડોમાં પ્રોજેક્ટની સૈદ્ધાંતિક મંજૂરી
વડોદરાની મુલાકાતે આવેલા રાજ્યના ગૃહમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષભાઇ સંઘવીએ મીડિયાને જણાવ્યું કે, વડોદરાના નાગરિકો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા ભાજપના કાર્યકર્તાઓ, પાલિકા સાથે મળીને મુખ્યમંત્રી પાસે વડોદરાના શહેરીજનો માટે વિશ્વામિત્રી રીવર રી-ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ માટેની પરવાનગી માંગવામાં આવી. મુખ્યમંત્રી દ્વારા વડોદરાના સૌ નાગરિકો માટે ગણતરીની સેકંડોમાં નાગરિકોના હિતમાં પ્રોજેક્ટની સૈદ્ધાંતિક મંજૂરી આપવાની સાથે રૂ. 1200 કરોડ સૈદ્ધાંતિક મંજુર કરાયા છે.
કેશડોલ આપવાનું શરૂ થઇ ગયું
તેમણે ઉમેર્યું કે, આ પ્રોજેક્ટ ઐતિહાસીક છે. જેના થકી વિશ્વામિત્રી નદીની ક્ષમતા વધારવાની સાથે સાથે ડેમ તથા અન્ય પાણી સાથે જોડાયેલા વિષયોનો પ્રોજેક્ટમાં સમાવેશ કરવાનો મુખ્યમંત્રીએ સુચન કર્યું છે. સાથે સાથે વહીવટી તંત્રને ગણતરીના દિવસોમાં પ્રોજેક્ટનો પ્લાન તાત્કાલીક રજુ કરવા જણાવ્યું છે. કેશડોલ આપવાનું શરૂ થઇ ગયું છે. મુખ્યમંત્રી દ્વારા વધુ ટીમો બનાવીને કેશડોલનું કામ તાત્કાલીક કરવા જણાવ્યું છે. રાશનની કીટો મુખ્યમંત્રી દ્વારા મોટાપાયે મોકલવામાં આવી છે. આજે 35 હજાર જેટલી રાશન કીટો મોકલાઇ છે.
લોકોને તકલીફ ન પડે તે માટેની વ્યવસ્થા ઉભી કરવા જણાવ્યું
વધુમાં તેમણે જણાવ્યું કે, નુકશાનનો સરવે માટે ટીમમાં 400 લોકોનો ઉમેરો કરી, સરવે પૂર્ણ કરી, સરકારને સોંપવામાં આવે.કોઇની દુકાન-ઘર તથા અન્યત્રે જે નુકશાન થયા છે, તેના ઇન્શ્યોરન્સ જલ્દી મેળવી શકે તે માટે ઉચ્ચ અધિકારીઓ કંપનીઓ જોડે સંકલન કરી, લોકોને તકલીફ ન પડે તે માટેની વ્યવસ્થા ઉભી કરવા જણાવ્યું છે. વધુ 500 સફાઇ કર્મચારીઓ પહોંચશે. યુદ્ધના ધોરણે તુટેલા રોડ રીપેર કરવા સૂચન કરવામાં આવ્યું છે. વિશ્વામિત્રી રીવર રી-ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ વડોદરા માટે ખુબ જ મહત્વનો સાબિત થશે.
આ પણ વાંચો -- VADODARA : પાલિકાના મોટા અધિકારી વિરૂદ્ધ ધારાસભ્યની મુખ્યમંત્રીને ફરિયાદ