VADODARA : રેશનીંગની ત્રણ દુકાનોમાં ધાંધલીનો મામલો લોકાયુક્તમાં પહોંચ્યો
VADODARA : વડોદરા જિલ્લામાં આવતી ત્રણ ગામોની રેશનિંગની દુકાનોમાં ચાલતી ધાંધલીનો મામલો સપાટી પર આવ્યા બાદ પુરવઠા ખાતા દ્વારા તપાસ કરવામાં આવી હતી. ત્યાર બાદ આ મામલો છેક લોકાયુક્ત સુધી પહોંચ્યો હોવાની વિગતો સપાટી પર આવી રહી છે. જેને પગલે અધિકારીઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. હવે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું. (GOVT RATION SHOP MISCONDUCT ISSUE REACH TO LOKAYUKTA - VADODARA)
મોટા પ્રમાણમાં સરકારી અનાજના જથ્થામાં વધ-ઘટ મળી આવી
વડોદરા જિલ્લામાં આવતા કરચિયા, રાઘવપુરા અને ચિખોદ્રા ગામે આવેલી રેશનિંગની દુકાનોમાં ભારે ગેરરીતિ આચરવામાં આવતી હોવાની બુમો ઉઠતા પુરવઠા વિભાગ એક્શનમાં આવ્યું હતું. અને એક મહિના પહેલા ત્રણેય દુકાનોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્રણ પૈકી કરચિયાની દુકાનમાં મોટા પ્રમાણમાં સરકારી અનાજના જથ્થામાં વધ-ઘટ મળી આવી હતી. જો કે, તે સમયે પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરી સામે શંકા ઉભી કરીને બાદમાં લોકાયુક્તમાં ફરિયાદ કરવામાં આવી હતી.
પુરવઠા અધિકારી સહિત અન્યને હાજર રહેવા માટેની નોટીસ
આ મામલો લોકાયુક્ત સુધી પહોંચતા જ જિલ્લા કલેક્ટર પાસેથી આ અંગેનો જવાબ માંગવામાં આવ્યો હતો. જેને પગલે જિલ્લા કલેક્ટર દ્વારા આ દુકાનોમાં ફરી તપાસ કરાવવામાં આવી હતી. લોકાયુક્તમાં આ મામલે તાજેતરમાં એક મુદત પડી હતી. જેમાં પુરવઠા અધિકારી સહિત અન્યને હાજર રહેવા માટેની નોટીસ પાઠવવામાં આવી હતી. લોકાયુક્ત સુધી મામલો પહોંચતા જ અધિકારીઓમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. લોકાયુક્ત સમક્ષ આગામી મુદતમાં શું જવાબ રજુ કરવો તેને લઇને અધિકારીઓએ કમર કસી છે.
આ પણ વાંચો --- VADODARA : રોડ પરના જોખમી કટ અંગેનો રિપોર્ટ સોંપાયો, 25 સ્થળે કાર્યવાહી