VADODARA : ભવિષ્યમાં પૂર અટકાવવા માટેની તૈયારીઓના ભાગરૂપે ટીમનું નિરીક્ષણ
VADODARA : વડોદરા (VADODARA) ઐતિહાસીક માનવસર્જિત પૂર (FLOOD - 2024) માંથી માંડ બહાર આવ્યું છે. સૌ કોઇ વડોદરાવાસીઓ ફરી પૂર ના આવે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. ત્યારે ભવિષ્યમાં પૂર અટકાવવા માટે સરકાર અને તંત્ર પણ સતર્ક છે. જે માટે નિષ્ણાંતની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવી છે. તેના દ્વારા આજે સેન્ટ્રલ વોટર કમિશનની ટીમ આજે વડોદરા આવી પહોંચી છે. અને તેઓ વિવિધ જળાશયોની મુલાકાત લેશે. અને જેની સંગ્રહ શક્તિ સહિતના પાસાઓની ઝીણવટભરી માહિતી એકત્ર કરશે. ત્યાર બાદ જરૂરી સુચનો આપનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
કમિટીની રચના કરીને તેની તપાસ કરવામાં આવી રહી છે
વિતેલા બે મહિનામાં ત્રણ વખત વડોદરામાં પૂરની પરિસ્થીતી સર્જાઇ હતી. આ ચોમાસામાં સર્જાયેલી પરિસ્થિતીઓ ફરી ક્યારે લોકોના જીવનમાં ના આવે તેવી તમામ પ્રાર્થના કરી રહ્યા છે. ત્યારે વડોદરાના ભવિષ્યને પૂરમાંથી ઉગારવા માટે સરકાર પણ ચિંતિત છે. અને કમિટીની રચના કરીને તેની તપાસ કરવામાં આવી રહી છે. અગાઉ કમિટીના સભ્યો દ્વારા બે વખત પાલિકામાં મિટીંગ કરવામાં આવી હતી. આજે ત્રીજી વખત તેઓ વિવિધ જળાશયોની મુલાકાતે જનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
એન્જિનીયરીંગ કક્ષાએ શું સુધારા વધારા થઇ શકે તેનો અભ્યાસ
સેન્ટ્રલ વોટર કમિશન વિભાગ દિલ્હીની ટીમ આજે વડોદરામાં આવી પહોંચી છે. આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું કે, વિશ્વામિત્રી નદીમાં જે પૂર આવ્યું તે ફરી ના આવે તે માટે એન્જિનીયરીંગ કક્ષાએ શું સુધારા વધારા થઇ શકે, તેનો અભ્યાસ કરવા માટે ગુજરાત સરકારે ભારત સરકારના પૂર્વ સચિવ નવલાવાલાની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરી છે. અને તે કમિટી દ્વારા સેન્ટ્રલ વોટર કમિશનની એક ટીમ વડોદરા ખાતે આવી છે. તેઓ વિશ્વામિત્રી નદી, આજવા સરોવર, પ્રતાપુરા ડેમ, વિવિધ તળાવોની મુલાકાત લેશે. અને પછી જે કોઇ સુધારા-વધારા ધ્યાને આવશે, તેનું સુચન કરશે. તે માટે ટીમ અહિંયા આજે આવી છે.
આ પણ વાંચો -- VADODARA : રમત-રમતમાં બાળકોથી થઇ ગઇ ગંભીર ભૂલ, હવે....