VADODARA : ફાયર વિભાગે પહેલા નોરતે ગરબામાં સલામતી અંગેની નિયમાવલી જાહેર કરી
VADODARA : વડોદરા (VADODARA) ના ફાયર વિભાગે પહેલા નોરતે ગરબા આયોજકો માટે સલામતીના સુચનોની નિયમાવલી જાહેર કરતા ગરબા આયોજકોમાં ચિંતાની લકીર જોવા મળી રહી છે. વડોદરામાં તાજેતરમાં ફાયર વિભાગના હંગામી વડા પાર્થ બ્રહ્મભટ્ટ વિવાદમાં આવ્યા બાદ તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેની જગ્યાએ નિકુંજ આઝાદને ચાર્જ સોંપવામાં આવ્યો છે. આજે રાત્રે પહેલા નોરતાના ગરબા રમાવવા જઇ રહ્યા છે, ત્યારે સવારે અખબાર માધ્યમોમાં જાહેર નોટીસ તરીકે સુરક્ષાની નિયમાવલી જાહેર કરવી તંત્રની કેટલી ગંભીર લાપરવાહી દર્શાવે છે, તેનો અંદજો લગાડવો સહેલો છે.
આજે સાંજે પ્રથમ નોરતાના ગરબા યોજાશે
વડોદરાના ગરબા વિશ્વ વિખ્યાત છે. અહિંયા ગરબા રમવા અને ગરબા માણવા લોકો દેશ-વિદેશથી આવે છે. બીજી તરફ વડોદરાનું પાલિકા તંત્ર લાપરવાહ છે. આ વર્ષે હરણી બોટ કાંડ અને ત્રણ-ત્રણ વખત પૂર જેવી પરિસ્થિતી બાદ પણ તંત્રની ઢીલાશ દુર થઇ નથી. જેનું ઉદાહરણ આપતી ઘટના આજે સામે આવવા પામી છે. આજે નવરાત્રીનો પ્રથમ દિવસ છે. અને આજે સાંજે પ્રથમ નોરતાના ગરબા યોજાશે. ત્યારે છેક આજે સવારે અખબાર માધ્યમો થકી ગરબા આયોજકો માટેની નિયમાવલી જાહેર કરી છે. તેમાં વિવિધ પ્રકારના 24 નિયમોનો ઉલ્લેખ છે.
છેલ્લી ઘડીએ ફાયર વિભાગની નિયમાવલીએ દોડાવ્યા
વડોદરાની નવરાત્રી આખુંય વિશ્વ જોતું હોય ત્યારે આ પ્રકારની લાપરવાહી કેમ, આવા અનેક સવાલો શહેરભરમાં ચર્ચાઇ રહ્યા છે. છેલ્લી ઘડીએ નિયમો જાહેર કરીને ફાયર વિભાગ પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી રહ્યું હોય તેવો લોકો અને ગરબા આયોજકોને અહેસાસ થઇ રહ્યો હોય તેમ જણાઇ રહ્યું છે. અચાનક આવેલા વરસાદ બાદથી દોડધામમાં વ્યસ્ત આયોજકોને છેલ્લી ઘડીએ ફાયર વિભાગની નિયમાવલીએ દોડાવ્યા છે, તેમ કહેવું સહેજ પણ ખોટું નથી.
આ પણ વાંચો --- VADODARA : રજુઆત છતાં કાર્યવાહી નહી થતા મોટું ઝાડ પડ્યું, ત્રણ ઇજાગ્રસ્ત