VADODARA : ઢાઢર અને નર્મદા નદીના હેઠવાસના ગામોમાં સાવચેત રહેવા સૂચના
VADODARA : વાઘોડિયા (VAGHODIA) નજીક આવેલા દેવ ડેમ (DEV DAM) અને તે ઉપરાંત નર્મદા ડેમ (NARMADA DAM) માં સતત પાણી આવકના કારણે છલકાવાની સ્થિતિ છે અને તે બાબતને ધ્યાને લઈ બંને નદીના કિનારે આવેલા ગામોના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. વધુ પૂરના સંજોગોમાં સલામત સ્થળે ખસી જવા તાકીદ કરવામાં આવી છે.
સચેત રહેવા સૂચના
ઢાઢર નદીમાં આવેલા પૂરને પરિણામે વડોદરા જિલ્લાના ૩૬ ગામોના નાગરિકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સચેત રહેવા સૂચના આપવામાં આવી છે. નદીઓમાં પાણી ઉફાન ઉપર હોય ત્યારે તેને પાર કરવાનું દુઃસાહસ ના કરવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.
આ ગામો ખાસ ધ્યાન રાખે
ઢાઢર નદીના કિનારે આવેલા ડભોઇ તાલુકાના નવાપૂરા, રાજલી, અંગુઠણ, થુવાવી, ઢોલાર, કરાલીપૂરા, બહેરામપૂરા, કરજણ તાલુકાના ખેરડા, હરસુડા, પિંગલવાડા, માનપૂર, સુરવાડા, સંભોઇ, વીરજઇ, અભરા, ઉમજ, પાદરા તાલુકાના વણછરા, કોટાણા, શહેરા, સદાદ, કોઠાવાડા, વાસણારેફ, નેદ્રા, વડોદરા તાલુકાના તલસટ, ચિખોદ્રા, અલ્હાદપૂરા, ધનિયાવી, શાહપૂરા, રાઘવપૂરા, પાતરવેણી, વડદલા, અજીતપૂરા, પોર, રમણગામડી, ગોસીન્દ્રા, ઉટીયા મેઢાદના ગ્રામજનોએ પૂરની બાબતે સાવચેતી રાખે એ હિતાવહ છે.
ડભોઇ તાલુકાના ચાંદોદ, કરનાળી અને નંદેરિયા, શિનોર તાલુકાના અંબાલી, બરકાલ, દિવેર, માલસર, દરિયાપૂરા, મોલેથા, ઝાંઝડ, કંજેઠા, શિનોર, માંડવા, સુરાશામળ તથા કરજણ તાલુકાના પુરા, આલમપુરા, રાજલી, લીલાઇપુરા, નાની કોરલ, મોટી કોરલ, જુના સાયર, સાગરોલ, ઓઝ, સોમજ, દેલવાડા, અરજપુરા ગામનો સમાવેશ થાય છે.
નદીના પટમાં નહી જવા અપીલ
નર્મદા ડેમમાંથી પાણી છોડવાની શક્યતાઓને ધ્યાને રાખીને આ ત્રણેય તાલુકાના ઉક્ત ૨૫ ગામોના નાગરિકોને નદીના પટમાં ના જવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન મંડળ દ્વારા પૂરની સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે. આપત્તિના સમયે ૧૦૭૭ નંબર ઉપર સંપર્ક કરી શકાય છે.
આ પણ વાંચો -- VADODARA : રીલ્સના ચક્કરમાં ત્રણ સવારી બાઇક પર સીન સપાટા