VADODARA : માતાના અસ્થિ વિસર્જન માટે ચાંદોદ ગયેલા પુત્રનો પગ લપસતા લાપતા
VADODARA : વડોદરા (VADODARA) ના સરવૈયા પરિવારમાં વૃદ્ધ માતાનું નિધન થતા તેમના અસ્થિ વિસર્જન માટે પુત્ર સહિતનો પરિવાર પવિત્ર યાત્રાધામ ચાંદોદ (YATRADHAM CHANDOD) માં ગયો હતો. જ્યાં કુંડળ ઘાટના કિનારે અસ્થિ વિસર્જન કરવા પહોંચ્યા ત્યાં અચાનક પુત્રનો પગ લપસ્યો હતો. અને જોતજોતામાં તેઓ પાણીના પ્રવાહમાં તણાવવા લાગ્યા હતા. દરમિયાન પિતાને બચાવવા પુત્રએ છલાંગ લગાવી હતી. જો કે, તે પણ ડુબવા લાગતા સ્થળ પર હાજર લોકોએ તેને બચાવી લીધો હતો. સમગ્ર મામલે જાણ થતા પોલીસના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને વધુ તપાસ હાથ ધરી હતી.
એકાએક પગ લપસી પડતા નદીના ઊંડા પ્રવાહમાં તણાયા
વડોદરાના આજવા રોડ વિસ્તારમાં આવેલી માધવ નગર સોસાયટીમાં રહેતા ધનસુખભાઈ નારણભાઈ સરવૈયા (ઉં. 60 વર્ષ) ના માતા સવિતાબેન નારણભાઈ સરવૈયાનું તાજેતરમાં નિધન થયું હતું. મૃતક માતાના અસ્થિ વિસર્જન અર્થે પુત્ર તેમજ પરિવારજનો સાથે યાત્રાધામ ચાંદોદ ખાતે ગુરુવારે સવારે કારમાં આવી પહોંચ્યા હતા. અને ચાંદોદના માળી કુંડળ ઘાટના કિનારે અસ્થિ વિસર્જન અર્થે પહોંચ્યા હતા. દરમિયાન ધનસુખભાઈ સરવૈયાનો એકાએક પગ લપસી પડતા તે નદીના ઊંડા પ્રવાહમાં તણાવા લાગ્યા હતા.
પુત્રએ દોરડું લઈ નદીમાં છલાંગ લગાવી
આ દ્રશ્ય જોતા જ તેમના પુત્ર ગૌતમએ પિતાને બચાવવા માટે બાજુમાં લાંગરેલી હોડીમાંથી દોરડું લઈ નદીમાં છલાંગ લગાવી હતી. પરંતુ તે પણ ડુબવા લાગ્યો હતો. આ સમયે સ્થળ પર હાજર નાવડી ચાલકોએ ગૌતમને દોરડાથી ખેંચીને બચાવી લીધો હતો. પરંતુ ધનસુખભાઈ સરવૈયા જોત જોતા પાણીના ઊંડા પર પ્રવાહમાં ગરકાવ થયા બાદ લાપતા બન્યા હતા. જે બાદ વાત વાયુવેગે પ્રસરતા ચાંદોદના સ્થાનિક તરવૈયાઓ તેમજ ડભોઇથી આવેલી ફાયર વિભાગની ટીમે મોડી સાંજ સુધી લાપતા બનેલા આધેડ ની શોધખોળ આદરી હતી. પરંતુ સફળતા મળી ન્હતી. ધનસુખ સરવૈયા નદીમાં લાપતા થતા પુત્ર સહિત આવેલા પરિવારજનોમાં ભારે આક્રંદ કરી મૂક્યું હતું. ચાંદોદ પોલીસે ઘટના સંબંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો -- VADODARA : વર્ગ - 3 માં સીધી ભરતીનો બનાવટી ઇ-મેલ મોકલી છેતરપીંડિ