VADODARA : ચાંદીપુરા વાયરસ સામે દવાઓનો પૂરતો જથ્થો અને પર્યાપ્ત બેડ ઉપલબ્ધ
VADODARA : વડોદરા જિલ્લામાં (VADODARA DISTRICT) અન્ય જિલ્લામાંથી ચાંદીપુરા વાયરસ (Chandipura vesiculovirus) ના શંકાસ્પદ કેસ સામે આવ્યા છે, ત્યારે આ વાયરસ મુદ્દે સતર્કતા દાખવવામાં આવી રહી છે. આ સંદર્ભે કલેક્ટર બીજલ શાહના અધ્યક્ષ સ્થાને એસ. એસ. જી. હોસ્પિટલ તંત્ર અને જિલ્લા આરોગ્ય તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, દવાઓના જથ્થો અને સારવાર માટેના સાધનોની ઉપલબ્ધિની સમીક્ષા કરવામાં આવી હતી.
શંકાસ્પદ તમામ કેસના નમૂના પરીક્ષણ અર્થે મોકલાયા
બેઠક બાદ કલેક્ટર બીજલ શાહે પત્રકારોને જણાવ્યું હતું કે, ચાંદીપુરા વાયરસને લઈને જિલ્લા આરોગ્ય તંત્ર એક્શનમાં છે. અન્ય જિલ્લામાંથી શંકાસ્પદ કેસ દાખલ થતા જ એસ. એસ. જી. હોસ્પિટલ અને જિલ્લા આરોગ્ય તંત્રના તબીબોને સ્ટેન્ડ બાય રહેવા સૂચના અપાઈ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડોદરાના આજુબાજુના જિલ્લામાંથી દાખલ ૭ કેસમાંથી ૪ દર્દીના મૃત્યુ થયા છે, જ્યારે ૩ બાળક સારવાર હેઠળ છે. જે પૈકી ૨ બાળકની તબિયતમાં સુધાર આવતા તેઓને પીડિયાટ્રિક વોર્ડમાં રાખવામાં આવ્યા છે, જ્યારે એક બાળક આઈ. સી. યુ. માં સારવાર હેઠળ છે. શંકાસ્પદ તમામ કેસના નમૂના પરીક્ષણ અર્થે પુણે સ્થિત નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી ખાતે મોકલી આપવામાં આવ્યા છે.
૯૦ બેડ પીડિયાટ્રિક વોર્ડમાં ઉપલબ્ધ
બેડની સુવિધા અંગેની વિગતો આપતા કલેક્ટર બીજલ શાહે જણાવ્યું છે કે, એસ. એસ. જી. હોસ્પિટલ અને ગ્રામ્ય વિસ્તારોની હોસ્પિટલમાં પર્યાપ્ત માત્રામાં બેડ ઉપલબ્ધ છે. એસ. એસ. જી. હોસ્પિટલના પીડિયાટ્રિક વોર્ડમાં વેન્ટીલેટર સાથેના ૧૮ બેડ ઉપલબ્ધ છે. આવી જ રીતે ગ્રામ્ય વિસ્તારની પારૂલ હોસ્પિટલમાં વેન્ટીલેટર સાથેના ૪૦ બેડ, ધીરજ હોસ્પિટલમાં વેન્ટીલેટર સાથેના ૨૫ બેડ તેમજ ગોત્રીમાં ૮ વેન્ટીલેટર બેડ સહિત કુલ ૯૦ બેડ પીડિયાટ્રિક વોર્ડમાં ઉપલબ્ધ છે. આ સાથે દવાઓનો પણ પર્યાપ્ત જથ્થો છે. જિલ્લા આરોગ્ય તંત્ર સંભવિત શંકાસ્પદ કેસ અને પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ હોવાનું તેમણે ઉમેર્યું હતું.
વડોદરા જિલ્લાનો એક પણ કેસ નથી
આ સાથે જ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે સંલગ્ન ખાનગી હોસ્પિટલમાં પીડિયાટ્રિક વોર્ડના વેન્ટીલેટર સહીતના કુલ બેડની સંખ્યા અને અન્ય જરૂરી માહિતી મંગાવવામાં આવી છે, તેમ કલેક્ટરે જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, દાખલ થયેલા ૭ શંકાસ્પદ કેસ એ આજુબાજુના જિલ્લામાંથી નોંધાયેલા છે, જેમાં વડોદરા જિલ્લાનો એક પણ કેસ નથી.
આ પણ વાંચો -- Chandipura Virus : રાજ્યમાં મૃત્યુઆંક 20 એ પહોંચ્યો, CM ની બેઠક, કોંગ્રેસ નેતાનો મુખ્યમંત્રીને પત્ર