Palanpur : 2 વર્ષની માસુમ બાળાની હત્યા, પરિવારનો હલ્લાબોલ
અહેવાલ - સચિન શેખલીયા
પાલનપુરમાં બે વર્ષની માસુમ બાળકી ગુમ થયા બાદ તેનો નજીકના વિસ્તારમાં અવાવરું જગ્યામાંથી મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. બાળકીની હત્યાથી તેના પરિવારમાં ભારે આક્રંદ મચી ગયો હતો અને ગુનેગારોને કડક સજા કરવાની માગ કરવામાં આવી હતી.
માસુમ બાળકી ગઈકાલે સાંજે છ વાગ્યાના સુમારે ગુમ થઇ ગઇ હતી
પાલનપુર માન સરોવર નજીક આવેલ તારાનગર વિસ્તારની બે વર્ષની માસુમ બાળકી ગઈકાલે સાંજે છ વાગ્યાના સુમારે પોતાના ઘરેથી ગુમ થઈ ગઈ હતી જેને લઇ પરિવારજનો એ આસપાસ શોધખોળ કરી હતી પરંતુ માસુમ બાળાની કોઈ ભાળ મળી ન હતી. જો કે માન સરોવર પાસે અવાવરુ જગ્યામાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
લોકોના ટોળે ટોળાં એકત્ર થઇ ગયા
બાળકીનો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઇ હતી અને લોકોના ટોળે ટોળાં એકત્ર થઇ ગયા હતા. માસુમ બાળાના પરિવારજનોને જાણ થતાં હલ્લા બોલ મચાવ્યો હતો અને વહેલી સવારે કલેક્ટર કચેરી બહાર આવી અમારી દીકરી પર દુષ્કર્મ અને હત્યા થઇ છે તેવો ગંભીર આરોપ લગાવી કલેક્ટર કચેરીની બહાર ધરણાં પર ઉતરી ગયા હતા.
કડક કાર્યવાહી કરવાની માગ
પરિવારે બાળકીના હત્યારાને તત્કાળ પકડીને તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માગ કરાઇ હતી. બાળકીના પરિવારજનો રેલી સ્વરુપે બેનરો લઇને કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. જેથી કલેક્ટર કચેરીનો ગેટ બંધ કરી દેવાયો હતો.
આ પણ વાંચો----SURAT: ડાયમંડ બુર્સથી સુરતના હીરા ઉદ્યોગને મળશે વૈશ્વિક માર્કેંટ