ગુજરાતના તમામ શહેરો સ્માર્ટ સિટી અને વાઇબ્રન્ટ સોશિયો ઇકોનોમિક એપિસેન્ટર બને તેવી રાજ્ય સરકારની નેમ
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજકોટ મહાનગરપાલિકા ખાતે રાજકોટમાં સ્માર્ટ સિટી, મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના કુલ રૂ. ૭૦૫.૪૨ કરોડના પ્રકલ્પોના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરાયા હતા. જેમાં રૂ.૩૩૯.૬૧ કરોડના વિવિધ ૭ વિકાસ પ્રકલ્પોના ઈ-લોકાર્પણ તથા રૂ.૨૯૧.૪૯ કરોડના વિવિધ...
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજકોટ મહાનગરપાલિકા ખાતે રાજકોટમાં સ્માર્ટ સિટી, મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના કુલ રૂ. ૭૦૫.૪૨ કરોડના પ્રકલ્પોના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરાયા હતા. જેમાં રૂ.૩૩૯.૬૧ કરોડના વિવિધ ૭ વિકાસ પ્રકલ્પોના ઈ-લોકાર્પણ તથા રૂ.૨૯૧.૪૯ કરોડના વિવિધ ૨૨ વિકાસ પ્રકલ્પોના ઈ-ખાતમુહૂર્ત રીમોટના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીએ કર્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ વર્ચ્યુઅલ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, ૧૦ દિવસ પહેલા જ રાજકોટ ખાતે પ્રધાનમંત્રીશ્રીએ વિકાસકાર્યોની હેલી વરસાવી હતી.
ગુજરાત રાજ્યના તમામ નગરો અને મહાનગરો સ્માર્ટ સીટી બને તેવી ડબલ એન્જિન સરકારની નેમ છે. તે માટે રાજકોટને “સ્માર્ટ સિટી મિશન” અંતર્ગત વરસાદી પાણીનો સંગ્રહ કરવા રૂ. ૧૩૬ કરોડના ખર્ચે અટલ સરોવરનું નિર્માણ થયું છે. અને રૂ. ૧૭.૫૦ કરોડ ખર્ચે ૮ એમ.એલ.ડી.ક્ષમતા ધરાવતા ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ થકી શુદ્ધ થનાર પાણી અટલ સરોવરમાં ભરી શકાશે. અટલ સરોવર અને ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાનએ જળસંરક્ષણ પ્રકલ્પો માટે અનેરું ઉદાહરણ સાબિત થશે. આ પ્રોજેક્ટ 'એક પંથ દો કાજ' જેવો છે.
અટલ સરોવર શહેરીજનો માટે પાણીનું સંગ્રહસ્થાન અને પર્યટન સ્થળ બની રહેશે
અટલ સરોવર શહેરીજનો માટે પાણીનું સંગ્રહસ્થાન અને પર્યટન સ્થળ બની રહેશે. પ્રધાનામંત્રીશ્રી દ્વારા રાજકોટને અપાયેલ એઈમ્સ હોસ્પિટલ, લાઈટ હાઉસ અને અમૃત સરોવર સહીતના પ્રોજેક્ટ દ્વારા અનેક લાભો મળ્યા છે. આજે લોકાર્પિત થનાર રૂ. ૯૦.૪૧ કરોડના ખર્ચે વોટર વર્કસના ચાર પ્રોજેક્ટ દ્વારા સાડા ચાર લાખથી વધુ લોકોને પીવાનું પાણીની સુવિધા થશે. દરેકને ઘરના ઘર માટે મોદીની ગેરંટી છે. રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રાજ્યમાં નવ લાખ પરિવારને ઘરનું ઘર મળ્યું છે અને આજે ૧૯૩ આવાસોનો ડ્રો થવાથી સાગરનગર અને બેટ દ્વારકા સ્લમના લાભાર્થીઓને ઘરનું ઘર મળી રહેશે.
વિકસિત ભારત બનાવવા માટે વિકસિત ગુજરાત@૨૦૪૭ની બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી
આવાસ ઉપરાંત ગટર, પાણી, રોડ રસ્તા વગેરે સુવિધાઓ આપવાની નેમ ડબલ એન્જિન સરકારે પૂરી કરી છે. આ ઉપરાંત જામનગર રોડ પર હયાત ૨ લેન સાંઢિયા પુલને ડીસમેન્ટલ કરીને રૂ.૭૪.૩૨ કરોડના ખર્ચે નવો ફોર લેન ઓવર બ્રિજ બનાવવાના પ્રોજેક્ટનું ખાતમુહુર્ત કરવામાં આવી રહ્યું છે. વિકસિત ભારત બનાવવા માટે વિકસિત ગુજરાત@૨૦૪૭ની બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. જે અંતર્ગત રાજકોટ શહેર વિશ્વ કક્ષાનું શહેર બને તેવું આયોજન છે. રાજકોટ સહિત ગુજરાતના તમામ શહેરો સ્માર્ટ સિટી અને વાઇબ્રન્ટ સોશિયો ઇકોનોમિક એપીસેન્ટર બને તે માટે સરકાર પ્રતિબદ્ધ છે.
પ્રધાનમંત્રીશ્રીએ મહિલા અનામત બિલ પાસ કરીને મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરી
સામાજિક ન્યાય અને અધિકારિતા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, મહિલા દિનની ઉજવણી થઈ રહી છે ત્યારે પ્રધાનમંત્રીશ્રીએ મહિલા અનામત બિલ પાસ કરીને મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરી છે અને સખીમંડળો અને અન્ય યોજનાઓ દ્વારા મહિલાઓને સશક્ત કરવા અનેક પ્રયાસો કરાઇ રહ્યા છે. વડાપ્રધાનશ્રીએ ગયા મહિને જ રૂ. ૪૦ હજાર કરોડથી વધુના વિકાસકાર્યોની રાજકોટને ભેટ આપી હતી. આજે પણ અનેક વિકાસ કાર્યોની ભેટ મળવા જઈ રહી છે.
“અટલ સરોવર”એ રાજકોટને મળેલ નવલું નજરાણું
મેયર શ્રીમતિ નયનાબેન પેઢડીયાએ ઉદબોધનમાં આજે લોકાર્પિત થનાર પ્રકલ્પોની રૂપરેખા આપી જણાવ્યું હતું કે, “અટલ સરોવર”એ રાજકોટને મળેલ નવલું નજરાણું છે. આ પ્રસંગે રાજકોટના વિકાસના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અર્થે જનસુખાકારીનો સતત વિચાર કરતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રીશ્રીનાં આપણે સૌ ખુબ ખુબ આભારી છીએ.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગોકુલનગર વિસ્તારના બાકી આવાસો તેમજ નવા આવાસોનો ડ્રો મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાના હસ્તે કરવામાં આવ્યો હતો. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જયમીનભાઇ ઠાકરે શાબ્દિક સ્વાગત કર્યું હતું. વોટર વર્કસ સમિતિના ચેરમેન શ્રી અશ્વિનભાઈ પાંભરે આભારવિધી કરી હતી.
મોટી સંખ્યામાં લાભાર્થીઓ તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યા
Advertisement
આ કાર્યક્રમમાં સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા અને શ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્યો સર્વેશ્રી ઉદયભાઇ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, શ્રી રમેશભાઈ ટીલાળા, બાંધકામ સમિતિના ચેરમેન શ્રી ભાવેશભાઈ દેથરીયા, રૂડાના ચેરમેનશ્રી જી.વી.મિયાણી, અગ્રણીશ્રી મુકેશભાઈ દોશી, શ્રી મનીષભાઈ રાડિયા, શ્રી અશ્વિનભાઈ મોલીયા , શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા, શ્રી માધવ દવે, પૂર્વ મેયરશ્રી પ્રદીપ ડવ સહિત જન પ્રતિનિધિશ્રીઓ, કલેકટરશ્રી પ્રભવ જોશી, મ્યુનિસિપલ કમિશનરશ્રી આનંદ પટેલ, ડેપ્યુટી કમિશનર શ્રી સ્વપ્નીલ ખરે અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા઼.
અહેવાલ - રહીમ લખાણી