સુરતના કોન્ટ્રાક્ટરનું થયું અપહરણ, ગોંડલ પાલિકાના 4 વ્યક્તિ સામે પોલીસે ગુનો નોંધ્યો
ટેન્ડર ભરવા આવેલા સુરતના કોન્ટ્રાક્ટરનું અપહરણ કરી, ગોંધી રાખી, માર મારવાના 3 માસ જૂના કેસમાં હાઈકોર્ટના આદેશ બાદ થઈ કાર્યવાહી, ગોંડલ પોલીસે ફરિયાદ લેવાની ના પાડી દીધી હતી.
ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના ટેન્ડરની પ્રક્રિયા માટે સુરતથી ગત તા.22 ડિસેમ્બર 2023ના રોજ ગોંડલ આવેલા દરબાર વેસ્ટ કોર્પોરેશનના સંચાલક અને તેમના સાથીદારનું અક્ષર મંદિર પાસેથી અપહરણ કરી જઈ એક બંગલામાં ગોંધી રાખી બેફામ માર મારી ત્યારબાદ ચીફ ઓફિસર સહિતના શખ્સોએ કેટલાક કાગળો પર લખાણ કરાવી લીધાની ઘટનામાં 3 મહિના બાદ અંતે ગોંડલ બી ડિવિઝન પોલીસે નગરપાલિકાના કારોબારીના ચેરમેન, ચીફ ઓફિસર અને એક સદસ્ય સહિત ચાર વ્યક્તિ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
ગોંડલ પોલીસે કોન્ટ્રાક્ટરની ફરિયાદ ન નોંધતા મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો
ચંદુભાઈ ડાભી
એ.જે. વ્યાસ
ગોંડલ પોલીસે કોન્ટ્રાક્ટરની ફરિયાદ ન નોંધતા મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો ત્યાંથી આદેશ આવ્યા બાદ પોલીસ ઈન્સપેક્ટર ગોસાઈએ અંતે કાનૂની રાહે કાર્યવાહી કરવી પડી છે. ગોંડલમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટેનું ટેન્ડર પ્રસિધ્ધ થયું હતું જેમાં સુરતના દરબાર વેસ્ટ કોર્પોરેશનના સંચાલક બિપીનસિંહ પીલુદરિઆએ પણ ટેન્ડર ભર્યું હતું અને આ માટે તેઓ ગત તા.22-12-2023ના રોજ તેમના સાથીદાર દિનેશભાઈ સતાણી સાથે ગોંડલ આવ્યા હતા. તેઓ અક્ષરમંદિર પાસે હતા ત્યારે ગોંડલ નગરપાલિકાના કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ રઘુરાજસિંહ જાડેજા, સદસ્ય ચંદુભાઈ મોહનભાઈ ડાભી અને મયંકભાઈ કચરાભાઈ વૈષ્ણવ સહિતના શખ્સો બિપીનસિંહ અને તેમના સાથીદાર દિનેશભાઈનું અપહરણ કરી જઈ અક્ષરમંદિરથી થોડે દૂર આવેલા બંગલે લઈ ગયા હતા જ્યાં બંનેને ગોંધી રાખી બિપીનસિંહને બેફામ માર મારવામાં આવ્યો હતો.
બપોરના સમયે ગોંડલ નગરપાલિકાના ચીફ ઓફિસર અશ્વિન જે. વ્યાસ પણ બંગલે દોડી આવ્યા હતા ત્યારબાદ બિપીનસિંહ અને દિનેશભાઈ સતાણીને પ્રગટેશ્વર ઝેરોક્ષની દુકાને લઈ જઈ કેટલાક લખાણો કરાવીને તેમાં સહીઓ કરાવી લેવામાં આવી હતી. બિપીનસિંહ પાસેથી બળજબરીથી એવું લખાણ કરાવાયું હતું કે, તેઓને હવે કોઇપણ પ્રકારનું ટેન્ડર ભરવું નથી અને હવે પછી કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવાની થતી નથી. આટલુ કર્યા બાદ બિપીનસિંહ અને તેના સાથીદારને છોડી દેવાયા હતા.
પોતાની સાથે થયેલા અન્યાય બાદ બિપીનસિંહે ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઈન્સપેક્ટર જે.પી. ગોસાઈ પાસે જઈને પોતાનું અપહરણ કરી ગોંધી રાખી માર મારવા અંગેની તેમજ ચીફ ઓફિસરે બળજબરીથી લખાણ કરાવી લેવા અંગેની ફરિયાદ નોંધવા જણાવ્યું હતું. જો કે પી.આઈ. ગોસાઈએ કોઇ કાર્યવાહી કરી ન હતી ત્યારબાદ પીલુદરીઆએ રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ લેખિતમાં રજૂઆત કરી હતી પરંતુ કોઇ નિવેડો આવ્યો ન હતો આથી તેઓએ હાઈકોર્ટમાં ઉપરોક્ત બાબતે અરજી કરતા હાઈકોર્ટે બિપીનસિંહની ફરિયાદ નોંધવા હુકમ કરતા બી ડિવિઝન પોલીસે ઉપરોક્ત ચાર વ્યક્તિ સામે કાર્યવાહી શરૂ કરી છે.
કારોબારી ચેરમેને પત્રકાર પરિષદમાં બનાવને સમર્થન આપ્યું’તું
ગોંડલમાં 22 ડિસેમ્બર 2023એ બનેલી ઘટના બાદ ગોંડલ પાલિકાના કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરીને પોતે કોઇનું અપહરણ કર્યું નથી, માર માર્યો નથી કે પછી ચીફ ઓફિસરે કોઇ પાસેથી બળજબરીથી લખાણ કરાવ્યું નથી તેવું જણાવ્યું હતું. જો કે ત્રણ દિવસથી રાજેન્દ્રસિંહે ફરી પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને બિપીનસિંહ અને તેમના સાથીદાર દિનેશભાઈ સતાણીને ચા-પાણી પાઈને પોતાની કારમાં બેસાડી એક બંગલે લઈ ગયાનુ અને ત્યાં પણ ચા-પાણી પાઈ સારી રીતે વાતચીત કરી હોવાનું જણાવ્યું હતું. તેમજ ચીફ ઓફિસરને પણ બંગલે બોલાવીને બિપીનસિંહે કહ્યું તે મુજબ લખાણ કરાવ્યાનું પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. આમ, અપહરણ, ગોંધી રાખવું, માર મારવું અને બળજબરીથી લખાણ કરાવી લેવા સંદર્ભેની તમામ વિગતોના ગુનામાં સ્થળ અને તે જ સમયે પોતાની હાજરી હોવાનું રાજેન્દ્રસિંહ જાડેજાએ સારી ભાષામાં પ્રેસ કોન્ફરન્સમાં સ્વીકારી લીધું હતું.
અહેવાલ - વિશ્વાસ ભોજાણી
આ પણ વાંચો -- SURAT NEWS : શું ખરેખર સુરતમાં હાર્ટ એટેકથી મોત થઇ રહ્યા છે ? વાંચો અહેવાલ