School Management - શાળા વ્યવસ્થાપન અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અભિનવ પહેલ
- રાજ્યના સવા ચાર લાખ જેટલા શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો સાથે વિડિયો સંવાદ સાધ્યો
- વ્યવસ્થાપન સમિતિઓના સવા ચાર લાખ જેટલા સભ્યો સાથે ગાંધીનગરથી જોડાયા
- ગામની શાળા તથા બાળકોના શિક્ષણ સ્તરને વધુ ઉન્નત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel) સ્પષ્ટપણે જણાવ્યું કે, જ્ઞાન અને શિક્ષણની આ ૨૧મી સદીમાં બાળકોને વિશ્વ સાથે કદમથી કદમ મિલાવતા મૂલ્યનિષ્ઠ શિક્ષણ માટે શાળા વ્યવસ્થાપન (School Management) સમિતિની સહભાગીતા આવશ્યક છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું : “વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા પર ભાર આપીને નાનામાં નાના ગામ સુધી સુવિધાઓ પહોંચાડી છે અને શિક્ષણનો વ્યાપ વધ્યો છે. ત્યારે SMC જેટલી સક્રિય હશે તેટલો વ્યાપક લાભ ગામની શાળાઓના શિક્ષણમાં મળતો થશે.”
વ્યવસ્થાપન સમિતિઓના સવા ચાર લાખ જેટલા સભ્યો સાથે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યભરની સરકારી, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની શાળા વ્યવસ્થાપન(School Management) સમિતિઓના સવા ચાર લાખ જેટલા સભ્યો સાથે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ સંવાદનો સૌપ્રથમ અભિનવ ઉપક્રમ હાથ ધર્યો હતો. શિક્ષણ મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર તથા રાજ્ય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયા પણ આ વિડીયો સંવાદમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) શાળા વ્યવસ્થાપન(School Management) સમિતિઓના સભ્યો સાથે વાતચીત દ્વારા તેમના પ્રસ્તાવો અને ફીડબેક પણ મેળવ્યા હતા.
ગામની શાળા તથા બાળકોના શિક્ષણ સ્તરને વધુ ઉન્નત
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, રાજ્ય સરકારે અદ્યતન શિક્ષણ વ્યવસ્થાના આયામો અપનાવ્યા છે. એટલું જ નહીં, શિક્ષકો પણ હવે બાળકોની શાળામાં હાજરી સહિત અભ્યાસ અંગેની ઝીણામાં ઝીણી બાબતોની કાળજી લે છે. તેવા સંજોગોમાં SMCએ પણ તેમની સાથે સક્રિયતાથી જોડાઈને પોતાના ગામની શાળા તથા બાળકોના શિક્ષણ સ્તરને વધુ ઉન્નત બનાવવું જોઈએ.
મુખ્યમંત્રીશ્રીએ આ અંગે વધુમાં કહ્યું કે, SMCના સભ્યો નિયમિતપણે બેઠક યોજીને શાળાની સુવિધાઓ, બાળકોની હાજરી, અભ્યાસ સહિતની બાબતોનું સર્વગ્રાહી મૂલ્યાંકન કરીને પોતાના સુઝાવો આપે તેવી અપેક્ષા છે.
શ્રી ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel) જણાવ્યું કે, શિક્ષણ જ વિકાસનો મુખ્ય આધાર છે. ત્યારે વડાપ્રધાનશ્રીએ આપેલા સૌના સાથ સૌના વિકાસના ધ્યેયને સાકાર કરવા બાળકોને અવશ્ય ભણાવીએ અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું નિર્માણ સૌ સાથે મળીને કરીએ.
વિકસિત ભારત માટે આપેલા નવ સંકલ્પો
મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી(PM Narendra Modi)એ વિકસિત ભારત માટે આપેલા નવ સંકલ્પોમાં ખાસ કરીને કેચ ધ રેઈન અભિયાન, એક પેડમાં કે નામ, સ્વસ્થતા-સ્વચ્છતા અને તંદુરસ્ત રોગમુક્ત જીવન માટે વ્યાયામ તથા પ્રાકૃતિક ખેતીના સંકલ્પો પાર પાડવામાં SMCના સભ્યો, શિક્ષકો અને અગ્રણીઓ બાળકોને પ્રાથમિક શિક્ષણ સ્તરેથી જ કેળવે તેવો અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વિડીયો સંવાદમાં પ્રતિક રૂપે જામનગર, બનાસકાંઠા, દાહોદ, મહીસાગર અને નવસારીની ગ્રામીણ વિસ્તારની શાળાઓના વ્યવસ્થાપન સમિતિના સભ્યો સાથે સંવાદ- વાર્તાલાપ કર્યો હતો.
વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ
શિક્ષણ મંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરે(Kunerbhai Dindor) આ પ્રસંગે જણાવ્યું કે, રાજ્યની શાળાઓમાં ૨૦૦૯થી RTE એક્ટ અન્વયે શાળા વ્યવસ્થાપન સમિતિઓની રચના કરવામાં આવેલી છે. SMCના સભ્યો અને શિક્ષકોની સહિયારી જવાબદારીથી આત્મનિર્ભર ભારતના ભાવિ નાગરિકનું ઘડતર વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ દ્વારા શાળાઓમાં થાય છે.
શાળાઓમાં બાળકોના નામાંકન, દિવ્યાંગ બાળકો માટેની કાળજી, વિવિધ યોજનાઓના અમલીકરણ વગેરેમાં SMCની સહભાગીતા મળી રહી છે તેની પણ ભૂમિકા શિક્ષણ મંત્રીશ્રીએ આપી હતી.
સરકાર અને SMCનું જે સુચારુ સંકલન
શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા(Prafull panseria)એ રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં શાળા શિક્ષણ અન્વયે સરકાર અને SMCનું જે સુચારુ સંકલન છે તેની સરાહના કરી હતી.
તેમણે કહ્યું કે, મૂલ્ય નિષ્ઠા આધારિત શિક્ષણ સાથે સમરસતા પર વિશેષ ફોકસ કરીને બાળકોના ચારિત્ર્ય ઘડતરની આપણી દિશા છે. શ્રી પાનસેરીયાએ ગામોની શાળાઓમાં કિચન ગાર્ડન, કુપોષણ મુક્તિ માટેના પ્રયાસો અને યોજનાકીય લાભ લોકોને પહોંચાડવાની જે કાળજી SMC અને શિક્ષકો લેછે તેને બિરદાવ્યા હતા.
આ વિડીયો કોન્ફરન્સ સંવાદમાં શિક્ષણ અગ્ર સચિવ શ્રી મુકેશકુમાર, મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી જોષી અને શિક્ષણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ તથા રાજ્યની છેક ગ્રામ્ય સ્તર સુધીની SMCના સભ્યો જોડાયા હતા.
(અહેવાલ: કનુ જાની)