Sawan 2023 : આજે અધિક માસની અમાસ, મોટી સંખ્યામાં ભાવિકોએ દામોદર કુંડમાં સ્નાન કર્યું
આજે અધિક માસની અમાસનો પાવન દિવસ, ત્રણ વર્ષે આવતી અધિક અમાસના દિવસે દામોદર કુંડમાં સ્નાન કરીને પિતૃ તર્પણ કરવાનો મહિમા છે, આજે મોટી સંખ્યામાં ભાવિકોએ પવિત્ર દામોદર કુંડમાં સ્નાન કર્યું હતું, ખાસ કરીને આ દિવસે મહિલાઓ ગોરમાનું વિસર્જન કરે છે સમગ્ર અધિક માસ દરમિયાન પરિવારની સુખ સમૃધ્ધિ અને પુણ્યની પ્રાપ્તિ હેતુ કરવામાં આવતું વ્રત આજે પૂર્ણ થાય છે.
સામાન્ય દિવસોમાં પણ અમાસનો દિવસ પિતૃ તર્પણનો દિવસ છે અને તેમાં પણ અધિક માસની અમાસ ત્રણ વર્ષે આવતી હોવાથી તેનું વિશેષ મહત્વ છે અને આજના દિવસે ખાસ કરીને જૂનાગઢ અને આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભાવિકો પવિત્ર દામોદર કુંડમાં સ્નાન કરવા આવે છે, તિર્થક્ષેત્રમાં પિતૃ તર્પણ કરે છે, અધિક માસમાં ખાસ કરીને મહિલાઓ અને યુવતીઓ ગોરમાનું વ્રત કરે છે, જેમાં સમગ્ર અધિક માસ દરમિયાન ભગવાન પુરૂષોત્તમરાયજી કે જે ભગવાન વિષ્ણુ સ્વરૂપ છે અને અધિક માસના દેવતા છે તેની પૂજા અર્ચના કરવામાં આવે છે, ઉપવાસ એકટાણાં કરીને વ્રત કરવામાં આવે છે, અમાસના દિવસે આ વ્રતના પારણાં થાય છે, અધિક માસ દરમિયાન જવારાનું પૂજન કર્યું હોય તેને પવિત્ર દામોદર કુંડ ખાતે લાવીને તેનું પૂજન કરવામાં આવે છે અને બાદમાં તેનું વિસર્જન કરીને વ્રત પૂર્ણ કરવામાં આવે છે.
દામોદર કુંડ અને દામોદરજી મંદિરનું જેટલું પૌરાણિક મહત્વ છે એટલું જ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ છે, અહીં ભગવાન પુરૂષોત્તમરાયજીનું સ્વરૂપ બિરાજે છે જેને આપણે અધિક માસ એટલે કે પુરૂષોત્તમ માસ કહીએ છીએ અને તેનું એકમાત્ર પૌરાણિક સ્વરૂપના અહીં દર્શન થાય છે. હિન્દુ પંચાગ અનુસાર સમગ્ર વર્ષ દરમિયાન અંદાજે 10 થી 11 તિથિઓનો ક્ષય થાય છે જે ત્રણ વર્ષે એક મહિનો થઈ જાય છે જે અધિક માસ થયો.
અધિક માસને કોઈ દેવી દેવતાઓએ સ્વીકાર્યો નહીં તેથી તે ભગવાન વિષ્ણુ પાસે ગયો અને ભગવાન વિષ્ણુએ તેને અપનાવ્યો અને પોતાનું સ્વરૂપ આપ્યુ જે પુરૂષોત્તમ કહેવાયું અને તેથી જ અધિક માસ પુરૂષોત્તમ માસ કહેવાય છે, પુરૂષોત્તમ માસ દરમિયાન .ભાવિકો ભગવાન પુરૂષોત્તમરાયજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે, અધિક માસમાં દામોદર કુંડમાં સ્નાન કરી, ભગવાન પુરૂષોત્તમરાયજીની પૂજા અર્ચના કરી પિતૃ તર્પણ કરીને પુણ્યની પ્રાપ્તિ થાય છે અને સર્વ મનોરથ પૂર્ણ થાય છે.
અહીં આવનાર ભાવિકો ગોરમાંનું વિસર્જન કર્યા બાદ પિપળે જલ અર્પણ કરી પિતૃ તર્પણ કરે છે, પવિત્ર દામોદર કુંડ જેટલો પૌરાણિક છે તેટલું જ તેનું ધાર્મિક મહત્વ છે અને લોકોની આસ્થાનું કેન્દ્ર છે, મોટી સખ્યામાં ભાવિકો અમાસના દિવસે અહીં આવીને આસ્થાની ડૂબકી લગાવી પુણ્યનું ભાથું બાંધે છે ત્યારે અહીં આવનાર ભાવિકો ઉપર જોખમ પણ તોડાયેલું છે.
ગત 22 જુલાઈના રોજ જૂનાગઢમાં પુર આવ્યું ત્યારે દામોદર કુંડના પુલ પરની દિવાલ ધરાશાયી થઈ હતી, મોટી સંખ્યામાં ભાવિકો આ પુલ પરથી પસાર થાય છે ત્યારે દિવાલ નહીં હોવના કારણે કોઈ અકસ્માતે પટકાઈ જવાની દુર્ઘટના બની શકે છે ત્યારે હજુ આગામી શ્રાવણ અને ભાદરવા માસમાં પણ મોટી સંખ્યામાં ભાવિકો અહીં આવવાના છે ત્યારે તંત્ર દ્વારા પુલની દિવાલનું કામ કરી લેવામાં આવે તે પણ જરૂરી બન્યું છે.
અહેવાલ : સાગર ઠક્કર, જુનાગઢ
આ પણ વાંચો : Ahmedabad News : જીવરાજ પાર્કમાં આવેલી બિલ્ડિંગની લિફ્ટમાં લાગી આગ, લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા