Porbandar :ઝેરી કેમિકલ પીવાથી બે માછીમારોના મોત
અહેવાલ - કિશન ચૌહાણ,પોરબંદર
પોરબંદરના સુભાષનગરમાં એક હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં દરિયામાંથી કેમિકલ ભરેલું એક કેન મળી આવ્યા બાદ તેને દારુ સમજીને ઢીંચી જનારા નવથી વધુ શખ્સોને ઝેરી અસર થતાં સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બે વ્યક્તિના મોત નિપજ્યાનું જાહેર થતાં સનસનાટી સાથે ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુભાષનગર તથા સિવિલ હોસ્પિટલે દોડી ગયા હતા. તો બીજી તરફ મૃતકો અને ઝેરી અસરથી પીડિતોના પરિવારજનો પણ મોટી સંખ્યામાં ભાવસહજી હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. આ ઘટનામાં ઉચ્ચ તપાસના આદેશ થાય તેવા એંધાણ પણ વર્તાઈ રહ્યા છે.
મળતી વિગતો મુજબ પોરબંદરના સુભાષનગર વિસ્તારમાંથી સાતથી આઠ માછીમારો ગત તા.૨ ઓગસ્ટના રોજ દરિયામાં માછીમારી કરવા માટે ગયા હતા. આ દરમિયાન તેમને દરિયામાંથી એક પાંચ લિટરનું કેન મળ્યું હતું. સુરેશભાઈ નામના માછીમારે આ કેન ખોલીને જોતાં તેમાં સફેદ રંગનું પ્રવાહી જોવા મળ્યું હતું, જે તેમણે દેશી દારુ સમજીને પોતે તો પીધું, પરંતુ પોતાના સાથી માછીમારોને પણ પીવડાવ્યું. આમાં સુરેશ જેબર તથા વિઠ્ઠલ પરમાર નામના માછીમારે આ કેમિકલયુક્ત પ્રવાહીને દારુ સમજીને ખૂબ પીધું અને આખરે બે દિવસ બાદ તબિયત ખૂબ લથડતાં મોતને ભેટ્યા.
9 થી વધુ લોકોએ દરિયામાંથી મળેલું કેમિકલ પીધું: બેના મોત : અન્ય સારવારમાં
પોરબંદરના દરિયામાં માછીમારી કરવા ગયેલા સુભાષનગરના ૯થી વધુ લોકોએ દરિયામાંથી મળેલું કેમિકલ્સ પીતા વિઠ્ઠલ સીદીભાઇ પરમાર (ઉ.પ૦)અ ને સુરેશ બોઘા જેબર (ઉ.૩પ)નું મૃત્યુ થયું છે. જ્યારે રવિ ભીમજી કિશોર (ઉ.૩૧), વિજય હરજી સલેટ (ઉ.૩પ), કિશોર લાલજી ચામડિયા (ઉ.૪૧), ભીખુ છગન ચૌહાણ (ઉ.૪૭), વિજેશ ચીના પવનિયા (ઉ.૪૯), જયેશ હરજી ચામડિયા (ઉ.૩ર) અને મુકેશ હીરાભાઇ જેબરને કેમિકલ્સની ઝેરી અસર થતા તેમને પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પોરબંદર પોલીસે આ અંગે તપાસ હાથ ધરતા ૯થી પણ વધુ લોકોએ આ કેમિકલ પીધું હોવાનું જાણવા મળતા સુભાષનગર ખાતે પહોંચી જે લોકોએ આ કેમિકલ પીધું છે તેની તપાસ હાથ ધરી છે.સુભાષનગરના કેમિકલકાંડમાં નવી બંદર ખારવા સમાજના પ્રમુખ કાંતિભાઈ કાણકિયાએ ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, માછીમાર ભાઈઓને અપીલ છે કે, આવું કોઈ કેમિકલ દરિયામાંથી મળે તો તુરંત સમાજ અથવા પોલીસને સોંપી દેવું, જેથી કરીને આવી ઘટનાઓ ન સર્જાય.
સુરેશ'એ સહુને ચખાડ્યું, ને સહુએ મોજથી દારુ સમજીને પી લીધું! અસરગ્રસ્ત સાગરખેડૂ
સુભાષનગરમાં દારુ સમજીને કેમિકલ પીનારા સાત માછીમારો પૈકી બેના મોત થતાં પોલીસ વિભાગ દોડતો થયો છે. તો પ્રાથમિક તપાસણી બાદ રજા આપવામાં આવી છે, તે અન્ય પાંચ લોકોને હોસ્પિટલે પરત બોલાવવામાં આવી રહ્યા છે, જે પૈકી જય ચામડિયા, જે હાલ હોસ્પિટલે સારવાર હેઠળ છે. જય ચામડિયાએ જણાવ્યું હતું કે, `ચાર થી પાંચ માછીમારો ફિશીંગ કરવા માટે ગયા હતા. આ દરમિયાન દરિયામાંથી એક કેન મળી આવ્યું હતું. આ કેનને સુભાષનગર કાંઠે સહુ આવ્યા. કિનારે આવીને કેન ચેક કરી પીલાણામાંથી જ છોડી દીધું હતું. ત્યારબાદ મરણ જનાર સુરેશભાઈએ તે કેમિકલવાળા કેનને લઈને પાંચ વ્યક્તિને કેમિકલ `દારુ` સમજી આપી દીધું અને સહુએ તે પીધું. ત્યારબાદ તેમાંના બે વ્યક્તિએ આ કેમિકલ પી લેતાં તેમનું મોત નિપજ્યું હતું. બાકીનાં માછીમારોએ ફક્ત કેમિકલ થોડું ચાખ્યું હતું. દારુ સમજીને તમામ માછીમારોએ કેમિકલ પી લીધું. બે દિવસ પહેલાં મરણ જનાર બંને માછીમારોએ કેમિકલ પીધું હતું, જેની અસર બે દિવસ બાદ થતાં મોત નિપજ્યા હતા.