વડાલીમાં રખડતા આખલાઓનો ત્રાસ, રસ્તો બદલવા મજબૂર બન્યા લોકો
- વડાલીમાં રખડતા આખલાઓનો ત્રાસ, સ્થાનિકો ભયભીત
- વડાલી હાઈસ્કૂલ પાસે બે આખલાઓની લડાઈથી હાહાકાર
- રખડતા પશુઓનો આતંક: રસ્તા બદલવા મજબૂર લોકો
- નગરપાલિકાની બેદરકારી: રખડતા પશુઓનો પ્રશ્ન યથાવત
- સાબરકાંઠાના શહેરોમાં રખડતા આખલાઓનો આતંક
- વડાલીમાં દિવસે-દહાડે આખલાઓની લડાઈ, નગરજનોમાં દહેશત
- રખડતા પશુઓને કાબૂમાં લેવા નગરપાલિકાની નિષ્ફળતા
- વડાલીમાં આખલાઓની લડાઈ, બાળકો અને વડીલો ભયભીત
- પશુપાલકોની બેદરકારી: લોકો માટે જોખમ બની રહેલા રખડતા પશુઓ
- શહેરી વિસ્તારોમાં રખડતા પશુઓ સામે કડક પગલાં લેવા માંગ
Himatnagar : હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં આવેલા અનેક શહેરી વિસ્તારોમાં કેટલાક પશુપાલકો પોતાના પશુઓને ઘર આંગણે બાંધી રાખવાને બદલે રાત-દિવસ છુટા મુકી દેતા હોવાને કારણે અવારનવાર આવા રખડતા પ્રાણીઓ વિવિધ રસ્તાઓ ઉપર રાત્રે અને દિવસે અતિક્રમણ કરીને મુશ્કેલી ઉભી કરે છે. કયારેક તો કેટલાક પશુઓ એકબીજા સાથે રોષે ભરાઇને લડે છે. ત્યારે કેટલાક કિસ્સાઓમાં નિર્દોષ લોકો ભોગ પણ બને છે. દરમિયાન બુધવારે વડાલી એક હાઇસ્કૂલ પાસે અચાનક બે આખલા સામ સામે લડતા સ્થાનિક લોકોમાં ભય વ્યાપી ગયો છે. લડી રહેલા આ બન્ને આખલાને છુટા પાડવા માટે લોકોએ પ્રયાસ પણ કર્યો હતો. તેમ છતા બન્ને આખલા વચ્ચેની લડાઇ લાંબો સમય ચાલુ રહી હતી. જેથી નગરપાલિકા દ્વારા પશુઓના માલિકો વિરૂદ્ધ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે.
રખડતા આખલાઓનો આતંક
આ અંગેની વિગત એવી છે કે વડાલીમાં આવેલ મોર્ડન હાઇસ્કૂલ પાસે બુધવારે બે આખલા રખડતા હતા. તેઓ અચાનક લડીને એકબીજા સાથે શિંગડા ભરાવી આમથી તેમ દોડતા હતા. આ દ્રશ્યો જોઇને સ્થાનિકોએ તેમને છુટા પાડવા માટે લાકડીઓ લઇ આવી પ્રયાસ કર્યો હતો. જયારે કેટલાક લોકોએ બન્ને આખલા પર પાણી છાંટયુ હતુ. તેમ છતા તેઓ દુર નહી થતા છેવટે પથ્થરમારો કરીને છુટા પાડવામાં આવ્યા હતા. ધોળે દિવસે બનેલી આ ઘટનાને કારણે અહીંથી પસાર થતા બાળકો તથા સ્થાનિકોમાં ભય વ્યાપી ગયો હતો. એટલુ જ નહી પણ રસ્તા ઉપર રખડતા પશુઓને જોઇને છેલ્લા કેટલાક સમયથી લોકો પણ પોતાનો રસ્તો બદલી નાખે છે.
નગરપાલિકાની નિષ્ફળતા
આટલી મોટી સમસ્યા હોવા છતા વડાલી નગરપાલિકાના સત્તાધીશો આવા પશુ માલિકો સામે સખ્ત કાર્યવાહી કરવામાં આળસ દાખવી રહ્યા હોય તેવું સ્થાનિકોનું કહેવું છે. અવારનવાર બનતી ઘટનાઓ રોકવા માટે વડાલી નગરપાલિકાએ યોગ્ય કાર્યવાહી કરવી જોઇએ તેવી માંગ ઉઠવા પામી છે. ઉલ્લેખનીય છે કે એકલા વડાલીમાં નહી પણ ઇડર, હિંમતનગર, પ્રાંતિજ, તલોદ સહિતના અન્ય સ્થળે પણ રોજબરોજ આવી ઘટનાઓ બની રહી છે. ત્યારે અમદાવાદ, વડોદરા જેવા મોટા શહેરોમાં સરકારે રહેણાંક વિસ્તારોમાંથી પશુપાલકોને ખસી જવા માટે જે આદેશ કરાયા છે તેવા આદેશ રાજયના જિલ્લાઓમાં પણ કરવા જોઇએ. ભૂતકાળમાં હિંમતનગરમાં રખડતા પશુઓએ બે મહિલા તથા એક પુરૂષને શિંગડે ચઢાવી ઇજાગ્રસ્ત કર્યા હતા. આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે સ્થાનિક સત્તાવાળાઓએ કાર્યવાહી કરવી જોઇએ તેવી સમયની માંગ છે.
આ પણ વાંચો : હિંમતનગરમાં બે સ્થળે આખલા ગાંડા થયા, 2 વૃદ્ધને ઈજા પહોંચાડી