Panchmahal : ગોધરામાં શરૂઆતી વરસાદમાં જ ખાડાઓ પડતા વાહનચાલકોમાં રોષ, Photos
પંચમહાલ જિલ્લામાં હજી તો વરસાદી માહોલ જામ્યો નથી કે તંત્ર ની પોલ ખુલી નથી, એક તરફ તંત્ર દ્વારા કરવામાં આવેલ પ્રી મોન્સૂન કામગીરીના દાવાની પોલ વરસાદી પાણીએ ખોલી નાખી છે. ત્યારે બીજી તરફ ચોમાસાની શરૂઆતી વરસાદમાં જ રોડ રસ્તાનો મેકઅપ ધોવાઈ જતા રોડ રસ્તાઓમાં મસમોટા ખાડાઓ પડી ગયા છે. ગોધરા શહેરના આંતરિક માર્ગોમાં હાલ ગાબડા પડી જવા સાથે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. શહેરના શહેરા ભાગોળ,પીમ્પ્યુટકર ચોક,પોલન બજાર, એસપી પટેલ માર્ગ,બગીચા રોડ સહિતના માર્ગો ઉપર પડેલા ગાબડાના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો ખૂબ જ હાલાકી અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.જાગૃત નાગરિકો માર્ગની ગુણવત્તા સામે પણ સવાલો કરી રહ્યા છે અને તાત્કાલિક બિસમાર માર્ગોનું સમારકામ કરવામાં આવે એવી માંગણી કરી રહ્યા છે.
ગોધરા શહેરમાં દિવાળીના સમયગાળા દરમિયાન તમામ આંતરિક માર્ગોનું નવીનીકરણ કરાયું હતું જેથી અગાઉ ખાડારાજથી ત્રાહિમામ ગોધરવાસીઓ ખૂબ જ આનંદિત થઈ ગયા હતા.જોકે જેનાબાદ નગરપાલિકા દ્વારા જ આ નવીન બનેલા કેટલાક માર્ગ ઉપર ખોદકામ કરવામાં આવતાં માર્ગની હાલત બદતર બની હતી.એસપી પટેલ માર્ગ ઉપર પાઇપલાઇન નાંખવા માટે ખોદકામ કરાયું હતું જે લાંબા સમય સુધી યથાવત સ્થિતિમાં રહેતાં વાહન ચાલકો,દુકાનદારો અને રાહદારીઓ ખૂબ જ હેરાન થયા હતા.
ત્યારબાદ અહીં પાઇપલાઇન નાંખ્યા બાદ માત્ર માટી પુરી સંતોષ માનવામાં આવ્યો હતો અને ડામર ફીનીસીંગ કરવાની આજદિન સુધી તસ્દી લેવામાં આવી નથી જેથી હાલ અહીંથી પસાર કરતાં સૌ પરેશાનીનો સામનો કરી પસાર થઈ રહ્યા છે. એવી જ રીતે પીમ્પ્યુટકર ચોકના માર્ગ ની હાલત પણ આવી જ છે અહીં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા વિના પાલિકાએ નવા માર્ગો બનાવ્યા હતા જે પણ તૂટી જવા સાથે અહીં હાલ ખાડા રાજની સ્થિતિ જોવા મળી રહ્યા છે.
ઉલ્લેખનીય છેકે આ વિસ્તારમાં મંદિર અને શાકભાજી માર્કેટ આવેલું હોવાથી શહેરીજનોની સતત અવરજવર રહેતી હોય છે.જ્યારે ગોધરા એસટી બસ સ્ટેન્ડ થી રેલવે મથકના માર્ગ ઉપર આવેલા અટલ ઉદ્યાન પાસે પણ માર્ગ ઉપર ખાડા પડી ગયા છે સાથે એસટી બસ પ્રવેશદ્વાર પાસે પણ મસમોટા ગાબડા પડી ગયા છે. આ ઉપરાંત સોસાયટી વિસ્તારમાં પણ આંતરિક માર્ગો તૂટી બિસમાર બની જતાં હાલ શહેરીજનો હાલાકી નો સામનો કરી રહ્યા છે અને જલ્દીથી સમારકામ કરવામાં આવે એવી માંગ કરી રહ્યા છે.
એક અગ્રણી તો કોન્ટ્રાકટર દ્વારા ટેન્ડરની જોગવાઈ મુજબ કામગીરી નહિ કરવામાં આવી હોવાથી આ સ્થિતિ નું નિર્માણ થયું હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. ગોધરા શહેરના મોટા ભાગના રસ્તા પર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે જેના કારણે વાહન ચાલકોની કમરના મણકા હલી જાય છે, તેમજ આ ખાડાઓમાં વરસાદી પાણી ભરાયા જવાના કારણે અકસ્માતોનું ભય પણ હોય છે, તે સાથે જ ટ્રાંફિક જામ પણ થતું હોય છે, ત્યારે આ મસ મોટા ખાડાઓના કારણે રાહદારીઓ અને નાના મોટા વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરવા મજબુર બન્યા છે, પાલિકા દ્વારા કરોડોના રોડ રસ્તાઓનું નિર્માણ કરવામાં આવે છે પરંતુ આ રોડ રસ્તાઓ મોટા ભાગે એક બે વરસાદ પણ ખમી શકતા નથી ઠેર ઠેર ખાડા જોવા મળતા શહેર ખાડામાં હોય તેવી સ્થિતિનું નિર્માણ થયુ.
ચોમાસાની સીઝનમાં ગોધરા શહેરમાં રસ્તાની હાલત ખખડધજ બનતા શહેરીજનો ને ભારે હાલાકી પડી રહી છે, ચોમાસાની સીઝનમાં રોડ રસ્તાનું મોટા પાયે ધોવાણ થયું છે, જેને લઈને શહેરના મોટાભાગના રોડ રસ્તાઓ જર્જરિત બન્યા છે બિસ્માર બન્યા છે, જેના કારણે ગોધરા શહેરના શહેરીજનો અને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા ગ્રામજનોને આ બિસ્માર માર્ગ પરથી નાના મોટા વાહનો કઇ રીતે હાકવું તેને લઈને રાહદારીઓમાં પણ મુંઝવણ ઉભી થઇ છે, તે સાથે જ દર વર્ષે ચોમાસામાં ધોવાઈ જતા રોડ રસ્તાના ગુણવત્તા વિશે પણ પ્રશ્નાર્થ ઉભો થયો છે,
અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ
આ પણ વાંચો : Delhi – Mumbai હાઇવે પર ભરૂચ પાસે સતત ત્રીજા દિવસે મેગા જામ, વાહનોની 18 કિમી લાંબી કતારો જામી