વતનનું ઋણ ચૂકવવાના પ્રોજેક્ટનું ખાતમૂહુર્ત, ભૂગર્ભજળ ઉંચા લાવવાનો અનોખો સેવાયજ્ઞ
અહેવાલઃ મુકેશ જોશી, મહેસાણા
લાડોલના અગ્રણી યોગેશભાઇ પટેલ દ્વારા રૂપિયા 60 લાખના ખર્ચે ભૂગર્ભજળ ઊંચાં લાવવા 11 બોરવેલ બનાવી આપવામાં આવી રહ્યા છે.
મહેસાણા જિલ્લા સાથે ઉત્તર ગુજરાતમાં ભૂગર્ભ જળ સ્તર નીચા જતા પાણીની ભારે સમસ્યા જોવા મળી છે ત્યારે મહેસાણા જિલ્લાના લાડોલ ગામના રહીશે વતનનું ઋણ ચૂકવવા 11 પરકોલેટિંગ બોરવેલ બનાવી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. માતૃભૂમિનું ઋણ અદા કરવા લાડોલના અગ્રણી યોગેશભાઇ પટેલ દ્વારા રૂપિયા 60 લાખના ખર્ચે ભૂગર્ભજળ ઊંચાં લાવવા 11 બોરવેલ બનાવી આપવામાં આવી રહ્યા છે. 11 ગામતળાવમાં વરસાદી પાણી શુદ્ધ કરી પાઇપલાઇનથી જમીનમાં ઉતારવાના કામનું ખાતમુહૂર્ત કરાયું. મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં ભૂગર્ભ જળસ્તર ઊંડા જઇ રહ્યાં છે, ત્યારે રાજ્ય સરકારના ભૂગર્ભજળ ઉંચા લાવવાના જળક્રાંતિ સેવાયજ્ઞના ભાગરૂપે વિજાપુર તાલુકાના લાડોલ ગામના વતની અને સાફલ્ય ગ્રુપ અમદાવાદના યોગેશભાઇ મણિભાઇ પટેલ દ્વારા માતૃભૂમિનું ઋણ અદા કરવાના ભાગરૂપે લાડોલ ગામની આજુબાજુના 11 તળાવોમાં વરસાદી પાણી શુદ્ધિકરણ કરી પાઇપ લાઇન દ્વારા ભૂગર્ભમાં ઉતારવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે.
ગામનું ઋણ અદા કરવા આ 11 બોરવેલ બનાવવામાં સહભાગી બન્યા છીએઃ યોગેશ પટેલ
આ પ્રોજેકટ અંતર્ગત 11 પરકોલેટીંગ વેલ બનાવવાના કામનું ખાતમુહૂર્ત રવિવારે સાંસદ શારદાબેન પટેલ અને જુગલજી ઠાકોરના હસ્તે કરાયું હતું. દાતા યોગેશભાઇ ઉર્ફે બકાભાઈ પટેલે જણાવ્યું કે, અમે વર્ષોથી અમદાવાદ સ્થાયી થયા છીએ. ગામનું ઋણ અદા કરવા આ 11 બોરવેલ બનાવવામાં સહભાગી બન્યા છીએ. ગામની આજુબાજુના 11 તળાવમાં પાઇપ લાઇન ઉતારી એક નવી પદ્ધતિ અપનાવી વરસાદી પાણી શુદ્ધ કર્યા બાદ જમીનમાં ઉતારવામાં આવશે. ઉત્તર ગુજરાતમાં 1200 ફૂટ ઊંડા જળસ્તર પહોંચ્યાં છે, જે આ પદ્ધતિથી ઊંચાં આવશે જેનો લાભ વિસ્તારના ખેડૂતો અને લોકોને થશે. એક બોરવેલ બનાવવા સાડા પાંચ લાખ રૂપિયા ખર્ચનો અંદાજ છે.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદભાઈ પરમાર, હરિભાઈ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ તેમજ સામાજિક અગ્રણી કિરીટભાઈ પટેલ દેવગઢ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
11 પરકોલેટિંગ વેલ નું કામ 45 દિવસમાં પૂર્ણ થશે
મહેસાણાના વિજાપુર તાલુકાના લાડોલ ગામે 1200 ફૂટ ઊંડા ઉતરેલા જળ સ્તર ઊંચા લાવવા અનોખો સેવા યજ્ઞ હાથ ધરાયો છે. લાડોલ ખાતે સીએમ ના હસ્તે ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવા 11 પરકોલેટિંગ વેલનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જો કે સીએમ અંગત કારણોસર આવી શક્યા ન હતા. જ્યાં મહેસાણાના સાંસદ જુગલ ઠાકોર અને સાંસદ શારદાબેન પટેલના હસ્તે 11 વેલનું ખાત મુર્હૂત કરવામાં આવ્યું હતું. 11 પરકોલેટિંગ વેલ નું કામ 45 દિવસમાં પૂર્ણ થશે અને આગામી પાંચ વર્ષમાં આ વેલ થકી વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતારવામાં આવશે અને એ પણ ફિલ્ટર કરીને ઉતારવામાં આવશે. લાડોલ વિસ્તારમાં 1200 ફૂટ ઊંડા ભૂગર્ભ જળ પહોંચ્યા છે. જેને આ વેલ થકી આગામી 5 વર્ષમાં 300 ફૂટ ઊંચા લાવવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. જે ધીમે ધીમે વધુ ઊંચા આવશે તેમ પ્રોજેક્ટ ના આયોજક યોગેશ પટેલે અને સાંસદ જુગલ ઠાકોર એ જણાવ્યું હતું.