KOTESHWAR MAHADEV : નવહતી મેળામા હજારોની સંખ્યામાં આદીવાસી સમાજે અસ્થી વિસર્જન કર્યું
KOTESHWAR MAHADEV : આપણા દેશમાં અલગ અલગ પ્રકારના મેળાઓ યોજાતા હોય છે, પરંતુ અમુક મેળાઓ ખાસ વિશેષતા ધરાવતા હોય છે. વાત કરવામાં આવે તો ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજીથી સાત કિલોમીટર દૂર આવેલા કોટેશ્વર ( KOTESHWAR ) ખાતે પાછલા હજારો વર્ષોથી આદિવાસી સમાજ ફાગણ વદ તેરસના દિવસે વહેલી સવારથી જ સરસ્વતી નદીના તટ ઉપર નવહતીનો મેળો યોજાતો હોય છે. આ મેળો પહેલા રાત્રિના સમયમાં યોજાતો હતો, પરંતુ છેલ્લા 14 વર્ષથી ગરાસિયા સમાજના આગેવાનો દ્વારા રાત્રી મેળો બંધ કરવામાં આવેલ છે.
KOTESHWAR MAHADEV
અમીરગઢ,દાંતા અને રાજસ્થાન સહિતના મોટી સંખ્યાના આદિવાસી સમાજના લોકો વર્ષ દરમિયાન પોતાના ઘરે જે પણ સ્વજનના મૃત્યુ થાય તેના અગ્નિ સંસ્કાર કર્યા બાદ તેના અસ્થિ ઘરની બહાર માટીની નાની કુલડીમા મૂકી દે છે અને જ્યારે નવહતીનો મેળો આવે ત્યારે એક દિવસ અગાઉ પરિવારના સભ્યો સ્વજનના અસ્થિ જમીનથી બહાર કાઢીને કોટેશ્વર ખાતે લાવવામાં આવે છે.
કોટેશ્વર ખાતે પરિવારના અને કુટુંબના લોકો મોટી સંખ્યામાં આવે છે અને પરિવારના લોકો સ્વજનના અસ્થિને હાથમાં લઈને તેને ખૂબ યાદ કરે છે,રડે છે અને ત્યારબાદ સરસ્વતી નદીના કુંડમાં અસ્થિનુ વિસર્જન કરવામાં આવે છે. ત્યારબાદ પરિવારના સભ્યોનો શોક કુટુંબના લોકો દૂર કરે છે. અસ્થિ વિસર્જન કર્યા બાદ પરિવારના લોકો ઘરેથી લોટ તેલ સીધું સામાન લાવીને કોટેશ્વર મહાદેવના દર્શન કરીને દાન કરતા હોય છે. ઘણા લોકો ઘરેથી મીઠાઈ લઈને આવતા હોય છે અને બધાને પ્રસાદ આપતા હોય છે. સરસ્વતી નદીના કુંડમાં અસ્થિ વિસર્જન કરવાથી મૃતક ની આત્માને શાંતિ મળે છે અને તેનો નવો જન્મ પણ સારી જગ્યાએ થાય છે તેવી માન્યતા છે. મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકોએ સરસ્વતી કુંડમાં સ્નાન કર્યું.
નવહતીનો મેળો અન્ય મેળા કરતાં અલગ
કોટેશ્વર ( KOTESHWAR ) ખાતે આદિવાસી સુધારણા સમિતિ દ્વારા અલગ અલગ નિયમો મેળા માટે બનાવવામાં આવ્યા છે જેના કારણે મેળાનું મહત્વ વધવા પામ્યુ છે. સરસ્વતી નદીમાં અસ્થિ વિસર્જન કર્યા બાદ પરિવારના અને કુટુંબના લોકો મેળામાં ફરીને વસ્તુની ખરીદી કરે છે અને ખુશીથી પોતાના ઘર તરફ પ્રયાણ કરે છે. આ કાર્યક્રમમાં આદિવાસી સમાજ સુધારણા સમિતિના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સાથે સાથે કુંભારિયા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ ગોવાભાઇ ડુંગાઈચા,સિમ્બ્લ પાણીના સરપંચ પુનાભાઈ સહિત મોટી સંખ્યામાં આદિવાસી આગેવાનો સરપંચો હાજર રહીને મેળાની સુંદર વ્યવસ્થા કરી હતી.
અહેવાલ : શક્તિસિંહ રાજપુત
આ પણ વાંચો : VADODARA : બાળકો ભાન ભુલ્યા, રીક્ષાની એસેસરીઝ પર ઉભા રહી કરી જોખમી સવારી