Junagadh : દેવદિવાળીની મધ્યરાત્રીએ ગિરનારની પરિક્રમાનો વિધિવત રીતે પ્રારંભ કરાયો
અહેવાલ - સાગર ઠાકર
દેવદિવાળીની મધ્યરાત્રીએ ગિરનારની પરિક્રમાનો વિધિવત રીતે પ્રારંભ થયો. જીલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ તથા સાધુસંતોના હસ્તે પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો. ભગવાન ગુરૂ દત્તાત્રેયનું પૂજન, દિપપ્રાગ્ટય અને શ્રીફળ વધેરીને પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો. દર વર્ષે કારતક સુદ 11 થી પૂનમ સૂધી ગિરનારની પરિક્રમા યોજાય છે, જેમાં લાખોની સંખ્યામાં ભાવિકો પરિક્રમા કરી પુણ્યનું ભાથું બાંધે છે. ચાલુ વર્ષે પણ ભીડને લીધે દેવદિવાળીના એક દિવસ પહેલાં પરિક્રમાના દ્વાર ખોલી નાખવામાં આવ્યા હતા અને અત્યાર સુધીમાં ચાર લાખ ભાવિકોએ પરિક્રમા કરી છે.
દેવદિવાળીની મધ્યરાત્રીએ ભવનાથ તળેટીમાં ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત રીત્ પ્રારંભ થયો. શાસ્ત્રોક્ત વિધિથી મંત્રોચ્ચાર સાથે સૌપ્રથમ ભગવાન દત્તાત્રેયનું પૂજન કરવામાં આવ્યું, બાદમાં દિપ પ્રાગટ્ય કરી રીબીન કાપીને શ્રીફળ વધેરીને પરિક્રમાનો પ્રારંભ થયો હતો. મેયર ગીતાબેન પરમાર, જીલ્લા કલેક્ટર, એસપી, ડીડીઓ, કમિશ્નર સહીતના અધિકારીઓ અને સાધુ સંતોએ વિધિવત રીતે પરિક્રમાનો પ્રારંભ કરાવ્યો હતો. આતશબાજી સાથે પરિક્રમા પ્રારંભ થતાં હર હર મહાદેવ અને જય ગિરનારીના નાદ સાથે પરિક્રમાની શરૂઆત થઈ હતી.
ગરવા ગિરનારની પરિક્રમા કરવાનો અનેરો મહિમા છે. ધર્મ મનુષ્યને પ્રકૃતિની નજીક લાવવાનો અને પ્રકૃતિના ખોળે પ્રકૃતિનું જતન કરીને ઈશ્વરને પામવાનો આ અવસર છે. ગિરનારની પરિક્રમા 36 કીમીની હોય છે, જે ભવનાથ તળેટી થી શરૂ કરીને જીણાબાવાની મઢી, સરખડીયા હનુમાન, માળવેલા, બોરદેવી જેવા મહત્વના સ્થળો પર થઈને ફરી ભવનાથ તળેટીમાં પૂર્ણ થાય છે. લોકો 36 કીમીની પગપાળા યાત્રા કરીને પ્રકૃતિની સાથે ગિરનારના આધ્યાત્મને માણે છે. પુણ્યનું ભાથું બાંધવા દુર દુરથી લોકો આવે છે અને પગપાળા આ યાત્રા કરે છે. પ્રકૃતિના સાનિધ્યમાં દેવદર્શનનો લ્હાવો મળે છે.
દર વર્ષે કારતક સુદ 11 એટલે કે દેવદિવાળી ની મધ્યરાત્રીએ પરિક્રમા શરૂ થાય છે. પરંતુ બે દિવસ અગાઉથી જ લોકોની ભીડ ઉમટી પડતી હોય છે. તેથી પરિક્રમાના દ્વારા વહેલા ખોલી નાખવામાં આવે છે. તેમ છતાં દેવ દિવાળીના દિવસે જ પરિક્રમા શરૂ કરવી જોઈએ અને તેજ પરંપરાને જાળવતાં ભાવિકો પરિક્રમા દ્વાર પર પ્રથમ ભગવાન ગુરૂ દત્તાત્રેયની આરાધના કરે છે. બાદમાં પરિક્રમા શરૂ કરે છે તો ઘણાં ભાવિકો પરિક્રમા શરૂ કરતાં પહેલા સબરસ એટલે કે થોડું નમક, મગના દાણા, સોપારી મુકીને સ્વસ્તિક કરી તેના પર દિવડો કરીને પૂજન કરીને પરિક્રમાની શરૂઆત કરે છે. ખાસ કરીને મહિલાઓ પરિક્રમા માર્ગની બાજુએ આ રીતે દિવડા પ્રગટાવીને ગિરનારની પૂજા કરીને પરિક્રમાની શરૂઆત કરે છે. આમ અહીં ભાવિકોની શ્રધ્ધાનું પણ દર્શન થાય છે.
આ પણ વાંચો -- Watch : ફિક્કી પડશે ઉંધિયાની રંગત, શિયાળાની શરૂઆતમાં જ શાકભાજીના ભાવમાં ઉછાળો