આ શાળામાં 1000 થી વધુ બાળકો શૈક્ષણિક કાર્યની શરૂઆત જય શ્રી રામ બોલીને કરે છે
બાળકો જય શ્રી રામ બોલી અભ્યાસની શરુઆત કરે છે
હાલમાં સમગ્ર દેશમાં રામ મંદીરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22 જાન્યુઆરીના રોજ યોજાવા જઇ રહ્યો છે. ત્યારે આખા દેશમાં ભગવાન રામની અલગ અલગ ઉજવણી કરાઈ રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલી 75 વર્ષ જૂની શાળામા પણ રામ મંદિરથી પ્રેરાઈને બાળકો પણ જય શ્રી રામ બોલી અભ્યાસની શરુઆત કરે છે.
બનાસકાંઠા જિલ્લામાં દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી રાજમણી વિદ્યાલય જે સનાલી ગામે આવેલી છે. આ શાળામા 3 સંકુલ ખાતે 1000 થી વધુ બાળકો અભ્યાસ કરે છે. આ શાળામા સવારે બાળકો પગ મુકે ત્યારે પગથીયે પગે પડીને જય શ્રી રામ બોલી પ્રવેશ કરે છે. શાળાના વર્ગમા જયારે વર્ગ શિક્ષક આવે ત્યારે પણ તમામ બાળકો એકસાથે ઊભા થઈને જય શ્રી રામ બોલે છે.
યસ સર બોલવાની જગ્યાએ જય શ્રી રામ બોલી હાજરી પુરાવે છે
જયારે વર્ગ શિક્ષક બાળકોની હાજરી પુરે ત્યારે પણ તમામ બાળકો યસ સર બોલવાની જગ્યાએ જય શ્રી રામ બોલી હાજરી પુરાવે છે. જયારે બાળકો પ્રથમ પીરીયડની શરુઆત કરે ત્યારે જય શ્રી રામ લખી ભણતરની શરુઆત કરે છે. બનાસકાંઠાના પ્રથમ સાંસદ અકબરભાઈ ચાવડાએ સ્થાપેલી આ શાળામાં હાલમાં તો રામભક્તિ બાળકો કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે. બનાસકાંઠાના પ્રથમ સાંસદ અકબરભાઈ ચાવડા હતા અને બીજા સાંસદ પણ તેઓ જ હતા અને ત્રીજા સાંસદ તરીકે તેમના પત્ની રહી ચૂક્યા છે.
પ્રથમ સાંસદની જીવનશૈલી ખુબજ સરળ હતી
અકબરભાઈ ચાવડાની જીવનશૈલીની વાત કરવામાં આવે તો તેઓ આઝાદી વખતે પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. પરંતુ આઝાદીની લડાઈમાં જોડાવા માટે તેમને પોલીસ કોન્સ્ટેબલની નોકરી પણ છોડી હતી. ત્યારબાદ તેઓ પોતાના કપડાં પહેરવાનું પણ છોડી દીધું હતું. ગાંધીજી જેવા કપડાં પહેરવાનું ચાલુ રાખીને તેઓ અનેક સેવાકીય કાર્યો કર્યા હતા અને વર્ષો અગાઉ દાંતા તાલુકાના સનાલી ગામે તેમને રાજમણી વિદ્યાલય નો પાયો નાખ્યો હતો. આજે આ શાળા મોટી વટવૃક્ષ બની ગઇ છે.