Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભુજનું કચ્છીયત થીમ પર બનેલા આઇકોનિક બસ પોર્ટનું કામ પૂર્ણ થવાના આરે, લોકાર્પણ ક્યારે ?

અહેવાલઃ કૌશીક છાંયા, ભૂજ  ભુજમાં ST બસ સ્ટેશનની મૂળ જગ્યાએ વર્ષ 2017માં અદ્યતન બસ પોર્ટ બનાવવાના પ્રોજેક્ટનું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ભૂમિ પૂજન કર્યું હતું, હાલ 40 કરોડના ખર્ચે બસ પોર્ટનું કામ પૂર્ણ થઈ ગયું છે. 220 શોપિંગ દુકાનો સાથેનું કચ્છીયતની...
07:31 PM May 26, 2023 IST | Vishal Dave

અહેવાલઃ કૌશીક છાંયા, ભૂજ 

ભુજમાં ST બસ સ્ટેશનની મૂળ જગ્યાએ વર્ષ 2017માં અદ્યતન બસ પોર્ટ બનાવવાના પ્રોજેક્ટનું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ભૂમિ પૂજન કર્યું હતું, હાલ 40 કરોડના ખર્ચે બસ પોર્ટનું કામ પૂર્ણ થઈ ગયું છે. 220 શોપિંગ દુકાનો સાથેનું કચ્છીયતની થીમ પર આ બસ સ્ટેશનનું નિર્માણ થયું છે. બસ પોર્ટનું હવે વહેલી તકે લોકાર્પણ કરવામાં આવે તેવી લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

નવા આઈકોનિક બસ પોર્ટ અંગે માહિતી આપતા વિભાગીય કચેરી નિયામક વાય.કે.પટેલે જણાવ્યું હતું કે, ભુજમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂપિયા 10.32 કરોડના ખર્ચે બસ ટર્મિનલ ફેસેલિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. પીપીપી પ્રોજેક્ટ હેઠળ આઈકોનિક બસ પોર્ટ આકાર પામ્યું છે. જેનું 95 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. આ આઈકોનિક બસ પોર્ટ બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ત્રણ માળની ઈમારત મળીને કુલ 20,760 સ્કવેર ફૂટમાં બન્યું છે. આ પોર્ટમાં બસ માટે 15 પ્લેટફોર્મ, વેઇટિંગ રૂમ, ફૂડ કોર્ટ અને વોલ્વો બસ વેઇટિંગ રૂમ, લેડીઝ અને જેન્ટ્સ માટે અલગ અલગ વ્યવસ્થાઓ સહીતની તમામ સુવિધા ઉભી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ભુજનું આઈકોનિક બસ પોર્ટ બસ ટર્મિનલ ફેસેલિટીનું 10.32 કરોડ રૂપિયા અને કોમર્શિયલ વિભાગનું 28.85 કરોડ રૂપિયા સહિત કુલ 39.17 કરોડ રૂપિયામાં બાંધકામ થયું છે.અન્ડર ગ્રાઉન્ડ પે પાર્કિંગમાં 400 વાહનો પાર્ક કરવાની સુવિધા ઊભી કરવામાં આવી છે. ઉપરાંત કોઈપણ પ્રસંગની ઉજવણી માટે 300 વ્યક્તિને સમાવી શકાય એવો વિશાળ હોલ ઊભો કરવામાં આવ્યો છે, જેમાં તમામ સુવિધાઓ ભાડેથી મળશે. આ બસ પોર્ટમાં રેસ્ટોરન્ટ પણ હશે તો સાથે જ 4 જેટલા મલ્ટીપ્લેક્સ સિનેમાઘર પણ હશે તો મુલાકાતીઓ વિવિધ ખરીદી કરી શકે તે માટે અંદાજે 220 જેટલી દુકાનો સાથેનું શોપિંગ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે

ખાસ કરીને ભુજના આઇકોનિક બસપોર્ટમાં કચ્છના જે મહત્વના પ્રવાસન સ્થળો છે. જેવા કે માતાના મઢ, માંડવીના વિજય વિલાસ, ભુજના આઇના મહલ, પ્રાગ મહલ, સ્મૃતિ વન, રીજનલ સાયન્સ સેન્ટર, શ્યામજી કૃષ્ણવર્મા ક્રાંતિતીર્થ વગેરે જેવા પ્રવાસન સ્થળોની થીમ પણ ઊભી કરવામાં આવી છે. તો કચ્છી ભાતીગળ સંસ્કૃતિ અને હસ્તકળાની ઝાંખી માટે પોર્ટ પર જુદી જુદી જગ્યાએ કચ્છી મડવર્ક કરવામાં આવ્યું છે અને કચ્છીયત થીમ ઊભી કરવામાં આવી છે.

ભુજના આ આઈકોનિક બસ પોર્ટના આયુષ્યની વાત કરવામાં આવે તો ઓછામાં ઓછી 100 વર્ષ જેટલું તેનું આયુષ્ય છે. આ બસ પોર્ટની કોન્ટ્રાકટર દ્વારા 30 વર્ષ સુધી જાળવણી કરવામાં આવશે. આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા હોવાથી બસ પોર્ટમાં પાણી ભરાવવાની સમસ્યાનો ઉકેલ શોધી લેવાયો છે અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમથી જોડી જોડાણ કરવામાં આવ્યો છે. જેથી આગામી ચોમાસામાં પાણી ભરાવાની કોઈ સમસ્યા ઊભી નહીં થાય.

હાલ બસ સ્ટેશન તૈયાર થયું છે અને ઉદઘાટનની રાહ જોવાઇ રહી છે પણ બસ સ્ટેશનની આગળના ભાગમાં આવેલી પાલિકાની દુકાનો વિઘ્ન બની રહી છે,અને આધુનિક બસ સ્ટેશનની શોભામાં ઘટાડો કરી રહી છે,આ દુકાનો અહીંથી દૂર થાય તો જ બસોની અવરજવરની સમસ્યાનો નિરાકરણ આવે તેમ છે,આગળ દુકાન ધરાવતા વેપારીઓના કહેવા મુજબ દુકાન દૂર થાય તેમાં વાંધો નથી પણ પાલિકાના વર્ષો જુના દુકાનદારોને વૈકલ્પિક વ્યવસ્થા કરવી જરૂરી છે,નવા બસ સ્ટેશનમાં જે દુકાનો બનાવવામાં આવી છે તેના ભાવ પોષાય તેમ ન હોવાનું અંસુલભાઈ વછરાજાનીએ જણાવ્યું હતું.

Tags :
Bhujbus portBus stopcompletedInaugurateinaugurated
Next Article