બેજવાબદાર તંત્રનાં વાંકે હિરણ નદી પ્રદુષિત, ગુજરાત હાઇકોર્ટમાં થઈ જાહેરહિતની અરજી
અહેવાલ : કલ્પીન ત્રિવેદી
સૌરાષ્ટ્રના ગીર-સોમનાથમાંથી પસાર થતી હિરણ નદીમાં પ્રદુષણ મુદ્દે થયેલી જાહેર હિતની અરજીમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા આજે વધુ સુનવણી હાથ ધરવામાં આવી હતી. ગત સુનવણીમાં હાઇકોર્ટના આદેશ બાદ તાલાળા નગરપાલિકાએ સોગંદનામુ રજૂ કર્યું હતું.
સોગંદનામાં શું થયો ઘટસ્ફોટ
તાલાળા નગરપાલિકાના સોગંદનામામાં મહત્વનો ખુલાસો થયો હતો. જેમાં નગરપાલિકાનું કરોડો રૂપિયાનું વીજબીલ બાકી હોવાથી STP પ્લાન્ટને વીજ કનેક્શન આપવા PGVCL એ ઇન્કાર કર્યો છે. આમ STP પ્લાન્ટ ચાલુ ન થવાને કારણે પ્રદૂષિત પાણી સીધેસીધું હિરણ નદીમાં ઠલવાતું હોવાનો તાલાળા નગતપાલિકાએ હાઇકોર્ટ સમક્ષ સ્વીકાર કર્યો છે. અગાઉ પણ PGVCL એ બાકી વીજબીલની ભરપાઈ કરવા તાલાળા નગરપાલિકાને નોટિસ પાઠવી હતી. હાઇકોર્ટમાં અરજીની ગંભીરતાને ધ્યાને રાખી તાલાળા નગરપાલિકાએ PGVCL ને વીજ જોડાણ આપવા વિનંતી કરી છે. તાલાળા નગર પાલિકાનું લાંબા સમય સુધી 7.89 કરોડ વિજ બીલ બાકી હોવાનું ધ્યાને આવ્યું છે.
હિરણ નદી પ્રદુષિત થવાથી ક્યાં થાય છે અસર
ઉલ્લેખનીય છે કે જાહેર હિતની આ અરજીમાં અરજદારના વકીલ પ્રશાંત ચાવડાએ અગાઉ હાઇકોર્ટમાં દલીલ કરી હતી કે, અમરેલીમાં એશિયાટિક લાયન્સ પણ હિરણ નદીના પાણીનો પીવા માટે ઉપયોગ કરે છે. જેથી આ પ્રદૂષિત પાણીના કારણે અનેક જીવોને નુકસાન થઈ શકે છે.
આ પણ વાંચો : ઇસુદાન ગઢવી સામે FIR થતાં ગોપાલ ઇટલીયાએ ભાજપ પર કર્યા પ્રહાર, જુઓ Video