હિંમતનગર પાલિકાનો સપાટો! 20 મટન શોપને સીલ કરી દેવાઇ
Himatnagar : હિંમતનગર નગરપાલિકાની સીમામાં આવતા કેટલાક વિસ્તારોમાં લાંબા સમયથી સ્લમ વસાહતોમાં રહેતા દુકાનદારો કોઈ પણ પ્રકારની મંજૂરી વિના માંસાહારી ખોરાકનું વેચાણ કરી રહ્યા હતા. ત્યારે ખોરાક અને ઔષધ નિયમનનું લાયસન્સ ન હોવાને કારણે મંગળવારે નગરપાલિકાના અધિકારીઓએ 20 મટન શોપને સીલ કરી દીધી છે.
હિંમતનગરમાં મટન શોપ પર પાલિકાનો દરોડો
સમગ્ર મામલે પાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાય અને ચીફ ઓફિસર ગજેન્દ્રસિંહ ગઢવીના જણાવ્યા પ્રમાણે, પોલોગ્રાઉન્ડ, મોટી વ્હોરવાડા અને મુખ્ય પોસ્ટ ઓફિસની પાછળના વિસ્તારોમાં કેટલાક વેપારીઓ કોઇપણ પ્રકારના લાયસન્સ વિના માંસાહારી ખોરાકનો વેપાર કરી રહ્યા હતા, જેનાથી સ્થાનિક પરિવારો માટે સમસ્યા ઊભી થઈ રહી હતી. નગરપાલિકાએ 20 દિવસ પહેલાં આ દુકાનદારોને નોટિસ આપી હતી, પરંતુ તેમ છતાં અગમ્ય કારણોસર નગરપાલિકાએ આપેલી નોટીસની અવગણના કરવામાં આવતી હતી. જેથી આખરે મંગળવારે નગરપાલિકાના અધિકારીઓએ પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર જઇને તપાસ કર્યા બાદ 20 મટન શોપ ગેરકાયદે ચાલતી હોવાનું માની સીલ મારી દેવામાં આવ્યા છે.
મટન શોપની ચાલાકી સામે પાલિકા નિષ્ફળ
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ નગરપાલિકાએ મટન શોપ સીલ કરવાની ઝુંબેશ શરૂ કરી હતી. પરંતુ અગમ્ય કારણોસર કેટલાક મટન શોપના માલિકોએ નગરપાલિકાની પરવાનગી વિના સીલ તોડીને ધંધો શરૂ કરી દીધો. એટલુ જ નહી પણ પોસ્ટ ઓફિસની પાછળ મટન શોપનો ધંધો કરતા કેટલાક વેપારીઓએ કુનેહ વાપરીને એક જ મકાનમાં અંદર પ્રવેશવાના તથા બહાર નિકળવાના રૂમના દરવાજા અગાઉથી બનાવી દીધા હોવાને કારણે જયારે પણ નગરપાલિકા સીલ મારે ત્યારે મટન શોપના દુકાનદારોને કોઇ ફરક પડતો નથી.
ખોરાક વિભાગની તપાસની માંગ ઉઠી
દરમિયાન કેટલાક રાજકારણીઓની રહેમ નજર હેઠળ કેટલાક દુકાનદારો બિન્દાસ મટનનું વેચાણ કરી રહ્યા હોવાની ચર્ચા ચોરેને ચોટે ચાલી રહી છે. ત્યારે ખાસ કરીને ખોરાક અને ઔષધ નિયમન વિભાગના અધિકારીઓએ ખાનગી રાહે તપાસ કરીને જરૂર પડે યોગ્ય કાર્યવાહી કરવી જોઇએ. એટલુ જ નહીં પણ આ દુકાનદારો કયાંથી અને કેવી રીતે કાચી ચીજવસ્તુઓ કયારે લાવે છે તેની પણ તપાસ થવી જરૂરી છે.
આ પણ વાંચો : Ahmedabad: હોટલમાં ખાવા જતા પહેલા ચેતી જજો,પનીરની શબ્જીમાંથી ચિકન નીકળ્યું